કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ભૂજમાં ગૌ સંવેદના રેલી કરશે, ગાયના માલિકો માટે સહાયની માગ કરશે
લમ્પી વાયરસથી ગાયોના મોત મુદ્દે રાજકારણ ગરમાયું
ગાયોના મોતનું એપી સેન્ટર બન્યું કચ્છ
CMની કચ્છ મુલાકાત બાદ વિપક્ષ આક્રમક
ગુજરાતભરમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે જેમાં અનેક પશઓના મોત થયાં છે પરંતુ સરકાર હજુ પણ સબ સલામતીના દાવાઓ કરી રહી છે. 1600થી વધુ પશુના મોત થઈ ચૂક્યા છે ખાસ કરીને કચ્છ જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત છે. ગત સોમવારે જ સીએમ ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને માર્ગદર્શન આપી જરુંરી આદેશ કર્યા હતા પણ સહાયની કોઈ જાહેરાત ન કરતાં હવે આગામી ચૂંટણીને ધ્યાને રાખી રાજકારણ શરૂ થઈ ગયું છે. વિપક્ષ લમ્પી વાયરસના મુદ્દે સરકારને ઘેરના પ્રયત્નો કરી રહ્યું છે.
ગૌ સંવેદના રેલીમાં સહાયની માંગ કરશે કોંગ્રેસ
લમ્પી વાયરસથી ગાયોના મોત મુદ્દો રાજકારણની અડફેટે ચડયો છે. ગાયોના મોતનું એપી સેન્ટર કચ્છ બન્યું છે. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલની કચ્છ મુલાકાત બાદ વિપક્ષ આક્રમક દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ભૂજમાં ગૌ સંવેદના રેલી યોજવા જઇ રહ્યા છે. હજારો ગાયોના મોતનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે સરકારની બેદરકારીથી ગાયોએ જીવ ગુમાવ્યો હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ રેલીમાં જગદીશ ઠાકોર ગાયના માલિકો માટે સહાયની માગ કરશે.
શું છે લમ્પી વાયરસના લક્ષણો?
અત્રે ઉલ્લેખનીય છે કે, લમ્પી સ્કીન ડિસીઝ એક વાયરસ જન્ય રોગ છે, જેનો ફેલાવો મચ્છર, માખી, જૂ, ઇતરડી વગેરે દ્વારા તથા રોગિષ્ઠ પશુ સાથે સીધો સંપર્ક, દૂષિત ખોરાક અને પાણીથી પણ ફેલાય છે. પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી આવવું, મોઢામાંથી લાળ પડવી, આખા શરીરે ગાંઠો જેવા નરમ ફોલ્લા થવા, પશુનું દૂધ ઉત્પાદન ઘટવું તથા ખાવાનુ બંધ કરવું કે ખાવામાં તકલીફ પડવી વગેરે આ રોગના લક્ષણો છે. અમુક સંજોગોમાં ગાભણ પશુ તરવાઇ જાય અને ક્યારેક મૃત્યુ પણ પામે છે.
લમ્પી વાયરસને અટકાવવા શુ કરવું ?
પશુપાલકોને તકેદારી સાથે સતર્ક રહેવા અંગે અપીલ કરતાં જણાવ્યું હતું કે, જો કોઈ પશુઓમાં આ રોગના લક્ષણો જણાય તો પશુપાલકોએ એનિમલ હેલ્પલાઈન નં. ૧૯૬૨ પર ફોન કરવો તથા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવો, જેથી સમયસર સારવાર અને રસીકરણ કરી અન્ય પશુંઓમાં આ રોગ ફેલાતો અટકાવી શકાય છે અને આ રોગ પર નિયંત્રણ મેળવી શકાય છે.પશુપાલકોએ સ્થાનિક પશુચિકિત્સા અધિકારીના સૂચન મુજબ રોગીષ્ઠ પશુને સૌ પ્રથમ બીજા તંદુરસ્ત પશુઓથી અલગ કરવુ તથા તેના ખોરાક, પાણી અને માવજત અલગથી કરવી, રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુનું સ્થાળાંતર બંધ કરવું, પશુઓના રહેઠાણની જગ્યાએ સ્વચ્છતા રાખવી, પશુ ચિકિત્સા અધિકારીની સલાહ મુજબ યોગ્ય દવાઓ દ્વારા માખી, મચ્છર અને ઇતરડીના ઉપદ્રવનો અટકાવ કરવો, જેથી આ રોગનું સંક્રમણ અટકાવી શકાય.
ફરજિયાત દૂધને ગરમ કરવું જોઇએ
લમ્પી વાયરસે કહેર વર્તાવતા હવે દૂધ ઉપયોગમાં લેવાય કે નહીં તે અંગે લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે. જેના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આવા પશુના દૂધનો ઉપયોગ કરવાથી મનુષ્યમાં લમ્પી વાયરસ ફેલાતો નથી. જોકે દૂધ ઉકાળીને જ ઉપયોગમાં લેવું જોઇએ તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. સામાન્ય રીતે આપણા ત્યાં બે પ્રકારના દૂધ આવતા હોય છે એક પ્લાસ્ટિકના પાઉચમાં પેક્ડ દૂધ. અને બીજુ પશુપાલકો પાસેથી સીધું ખરીદેલું દૂધ. ડેરીનું દૂધ પેશ્ચુરાઈઝષડ હોય છે. જેથી તેમાં જીવાણુ નાશ પામે છે. પણ છૂટક ખરીદેલું દૂધ સીધું ન પીવું જોઈએ. જેને ફરજિયાત દૂધને ગરમ કરવું અને ત્યાર બાદ જ તેનો ઉપયોગ કરવો જોઈએ.