એનઆઈટી કુરુક્ષેત્ર પણ ઈસરોના આ ‘મહાપ્રોજેક્ટ’માં સામેલ થઈ ગયું છે. આ પ્રોજેક્ટમાં જોડાયેલી ઉત્તર ભારતનું તે એકમાત્ર સંસ્થાન બની ગયું છે. બેંગલુરુ સ્થિત ઈસરોના ડૉ. પી.વી. વેંકટકૃષ્ણન અને એનઆઈટી કુરુક્ષેત્રના ડાયરેક્ટર પદ્મશ્રી ડૉ. સતીશકુમારે આ વાતની પુષ્ટિ કરી છે.
ચંદ્રયાન-2 (Chandrayaan-2) લૉન્ચિંગની સફળતા ભારતની મોટી સિદ્ધિઓમાં સામેલ થઈ ગઈ છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના (ISRO) આ પ્રોજેક્ટ સાથે વિભિન્ન એન્જિનિયરિંગ સંસ્થાનોના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. ઈસરો આવા જ ભાવિ અંતરિક્ષ વૈજ્ઞાનિકો તૈયાર કરવા માટે દેશભરમાં છ અલગ અલગ દિશાઓમાં સ્થાપિત નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (એનઆઈટી)માં (NIT) રિજનલ એકેડેમિક સેન્ટર ખોલવા જઈ રહ્યું છે.
એનઆઈટી કુરુક્ષેત્ર પણ ઈસરોના આ ‘મહાપ્રોજેક્ટ’માં સામેલ થઈ ગયું છે. આ પ્રોજેક્ટમાં જોડાયેલી ઉત્તર ભારતનું તે એકમાત્ર સંસ્થાન બની ગયું છે. બેંગલુરુ સ્થિત ઈસરોના ડૉ. પી.વી. વેંકટકૃષ્ણન અને એનઆઈટી કુરુક્ષેત્રના ડાયરેક્ટર પદ્મશ્રી ડૉ. સતીશકુમારે આ વાતની પુષ્ટિ કરી છે. ઉલ્લેખનીય છે કે, ડૉ. પી.વી. વેંકટકૃષ્ણન ઈસરોના રિસ્પોન્ડ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. એમ.એ.પૉલ સાથે એનઆઈટી કુરુક્ષેત્રની મુલાકાત પણ લઈ આવ્યા છે.
આ સંસ્થાનને તેમણે સેન્ટરની સ્થાપના માટે યોગ્ય ઠેરવ્યું છે અને ત્યારબાદ એમઓયુ તૈયાર કરવામાં આવ્યા છે. ડૉ. પી.વી. વેંકટકૃષ્ણને જણાવ્યું કે, સ્પેસ રિસર્ચને પ્રોત્સાહિત કરવા માટે દેશના છ એનઆઈટી સંસ્થાનોમાં ઈસરો એકેડેમિક સેન્ટર ખોલવા જઈ રહ્યું છે. પ્રારંભિક તબક્કે ત્રણ એનઆઈટીને આ પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમાં ઉત્તર-પૂર્વમાં એનઆઈટી ગુવાહાટી, પશ્ચિમમાં જયપુર અને ઉત્તર ભારતમાં એનઆઈટી કુરુક્ષેત્રનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત દક્ષિણ-પૂર્વમાં એનઆઈટી રાઉરકેલા, દક્ષિણ ક્ષેત્રમાં કર્ણાટકના મેંગલોર એનઆઈટી અને કેન્દ્ર માટે બીએચયુઆઈટી વારાણસીને બીજા તબક્કા માટે પસંદ કરવામાં આવ્યા છે. કોઈ એક પ્રોગ્રામ (પ્રોજેક્ટ) પર ઈસરો એક જ દિશામાં કામ કરે છે, પરંતુ એ જ સમસ્યા આ તમામ સેન્ટરોને પણ આપવામાં આવશે. તેનાથી ફાયદો એ થશે કે, એક પ્રોજેક્ટ પર છ દિશામાંથી સમાધાન મળશે. જે સંસ્થાન તરફથી સૌથી પહેલા પ્રોજેક્ટ સબમિટ કરાવવામાં આવશે તેનો ઈસરો પોતાના પ્રોગ્રામમાં સમાવેશ કરશે.
તમામ રિસર્ચ સેન્ટર પોતાના સ્તર પર જ સંશોધનો કરશે અને તેમાં જે-તે વિસ્તારની એન્જિનિયરિંગ કૉલેજને પણ જોડવામાં આવશે, જેથી નવી નવી પ્રતિભાઓ પણ મળશે.
રિસર્ચ સેન્ટરમાં ઈસરોના વૈજ્ઞાનિકો વિદ્યાર્થીઓને અંતરિક્ષ વિજ્ઞાન અંગે ભણાવશે અને તૈયાર કરશે. તેમના અભ્યાસક્રમમાં રૉકેટ સાયન્સ, સ્પેસ મિશન જેવા મહત્વપૂર્ણ વિષયને પણ આવરી લેવામાં આવશે. ઈસરો દર વર્ષે એક સેન્ટર પર પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.