રાજ્યભરમાં પાણીની પરિસ્થિતિ અંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને CM રૂપાણી વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં રાજ્યમાં અછતની સ્થિતિ અંગે ચર્ચા થઇ અને પાણી પહોંચાડવાની કામગીરીની સમીક્ષા કરાઇ. કેબિનેટ બેઠક બાદ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું હતું કે અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જે વિસ્તારમાંથી ફરિયાદો આવે છે ત્યાં પાણી પહોંચાડીએ છીએ. કચ્છ, સૌરાષ્ટ્રમાં પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરાઇ છે.
કુંવરજી બાવળિયાએ વધુમાં જણાવ્યું કે, ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચાડવામાં આવે છે. બોર અને ટેન્કર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. જસદણમાં પૂરતા પ્રમાણમાં બીજા અને ચોથા દિવસે અપાય છે, જ્યારે વીંછીયા અને જસદણમાં પૂરતા પ્રમાણમાં સ્ટોરેજ છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, પાણી ચોરી અટકાવવા અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. પાણી ચારો મુખ્ય પાઈપલાઈન, જૂથ યોજના સાથે ચેડાં કરી પાણીની ચોરી કરી રહ્યા છે, તેના રિપોર્ટ મને મળ્યા છે. મેં પાણીના પ્રશ્નને ગંભીરતાથી લઇને ગેરકાયદે જોડાણ દુર કરી કાર્યવાહી કરવા સૂચના આપી દીધી છે.
તમને જણાવી દઇએ કે, અડધા રાજ્યમાં સિંચાઇ તો દુરની વાત છે, પીવાના પાણીની પણ તંગી સર્જાઇ રહી છે. આવી કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ઘણા ગામડાઓમાં મહિલાઓને પીવાનું પાણી ભરવા માટે બેડાં લઇને 4-5 કિલોમીટર દુર જવું પડે છે. તો ક્યાક કેનાલ નજીક છે પરંતું કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ નથી.