આગામી લોકસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડીચોટીનો જોર લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં કોળી મતદારોને રિઝવવા માટે ભાજપ દ્વારા એક નવી કવાયત કરવામાં આવી રહી છે. કુંવરજી બાવળીયા દક્ષિણ ગુજરાતમાં કોળી સમાજનાં આગેવાનો સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યાં છે. કુંવરજી બાવળિયાની દક્ષિણ ગુજરાતનો આજે બીજો દિવસ છે. આ દરમ્યાન તેઓ સુરત અને નવસારીનાં કોળી પટેલ સમાજનાં આગેવાનો સાથે બેઠક પણ કરશે.
મહત્વનું છે કે, દક્ષિણ ગુજરાતમાં કોળી સમાજનો પ્રભુત્વ રહ્યો છે. સુરત, નવસારી અને વલસાડમાં મોટી સંખ્યામાં કોળી મતદારો છે. કોળી સમાજનાં મત મેળવવા માટે કોળી સમાજનાં રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજી બાવળિયા દક્ષિણ ગુજરાતમાં પહોંચ્યાં છે. મહત્વનું છે કે, નવસારી બેઠક પર ધારાસભ્ય આર.સી.પટેલે લોકસભાની ચૂંટણીમાં ટિકિટની માંગ કરી છે. ત્યારે હવે ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીમાં કોને ટિકિટ આપવામાં આવશે તે હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળિયા એ કોળી આગેવાન છે. પાટીદાર સમાજ કરતાં પણ કોળી સમાજની સંખ્યા ગુજરાતમાં સૌથી વધુ છે. જેનાં કારણે કુંવરજી બાવળિયાનાં પ્રવેશથી સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર બેઠક પર સીધો જ ફાયદો પહોંચી શકે છે.
ઉલ્લેખનીય છે કે આગામી લોકસભાની ચૂંટણીની જાહેરાતો થતાં જ સ્થાનિક નેતાઓ હવે ટિકિટની માંગ કરી રહ્યાં છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં કોળી સમાજનાં ઉમેદવારની ભાજપ પાસેથી ટિકિટની માંગ કરાઇ છે. ભાજપ તરફથી કોળી સમાજનો ઉમેદવાર ઉતારાય તેવાં પણ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ગઇ કાલનાં સુરતનાં ઓલપાડ વિસ્તારમાં કોળી સમાજ દ્વારા શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સંમેલનમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ હાજરી આપી હતી. લોકસભાની ચૂંટણી પહેલાં કુંવરજી બાવળિયાએ કોળી સમાજનાં આગેવાનો સાથે મુલાકાત કરતાં કેટલાંક તર્ક વિતર્ક પણ ઉભા થયાં હતાં. મળતી માહિતી મુજબ સુરત બેઠક માટે કોળી આગેવાન કિરીટ પટેલે ટિકિટની માંગ કરી છે.
તો બીજી તરફ નવસારી માટે પૂર્વ મંત્રી કરશન પટેલે પણ દાવેદારી નોંધાવી છે. મહત્વનું છે કે, દક્ષિણ ગુજરાતમાં કોળી સમાજનો પ્રભુત્વ છે. ત્યારે લોકસભાની 3 બેઠક પર કોળી મતદારો અસરકારક છે. જેથી દક્ષિણ ગુજરાતમાં કોળી મતદારોને રિઝવવા માટે કુંવરજી બાવળીયા કોળી સમાજનાં આગેવાનો સાથે મુલાકાત કરવા પહોંચ્યાં છે.