અખિલ ભારતીય કોળી સમાજમાંથી કુંવરજી બાવળીયા સસ્પેન્ડ
કોળી સમાજને બદનામ કરવાના આરોપસર લેવાયો નિર્ણય
વિધાનસભા ચૂંટણી પહેલા કોળી સમાજમાં જુથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે કોળી સમાજના સુવર્ણ જ્યંતી મહોત્સવ પહેલા જ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખપદ માટે મોટા પાયે ડખા સામે આવી રહ્યા છે. કારણ કે કુંવરજીભાઈ બાવળિયા અને અજીતભાઈ બંને જૂથોએ પ્રમુખપદ માટે દાવેદારી ઠોકતા વિવાદનું વંટોળ ઊભું થયું છે.ત્યારે હાલમાં કોળી સમાજને લઈ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. અખિલ ભારતીય કોળી સમાજમાંથી કુવરજી બાવળીયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
કોળી સમાજમાં જુથવાદ ચરમસીમાએ
મહત્વનું છે કે આજે અખિલ ભારતીય કોળી સમાજની કાર્યકારણીની બેઠક મળી હતી. જેમાં કોળી સમાજને બદનામ કરવાના આરોપસર બાવળીયા સસ્પેન્ડ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.કોળી સમાજ પ્રમુખ અજીત પટેલે બાવળીયાને હાંકી કાઢવાનો નિર્ણય કર્યો છે. આપને જણાવી દઈએ કે અજીત પટેલ અને કુંવરજી બાવળિયાનું જુથ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદને લઈ સામ સામે હતું. જેમાં અનેક આરોપ પ્રત્યારોપ લગાવવામાં આવ્યા છે.
કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન
અખિલ ભારતીય કોળી સમાજમાંથી સસ્પેન્ડ કરાતા કુંવરજી બાવળીયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અજીત પટેલને બિનકાયદેસર રીતે પ્રમુખ બનાવાયા છે. તેઓ કોળી સમાજના પ્રમુખ છે જ નહીં. આવી જાહેરાતો કરવાનો તેમને કોઈ અધિકાર નથી.
ક્યા જિલ્લામાં કેટલો કોળી સમાજ?
જિલ્લો કોળી સમાજની વસતી
ભાવનગર 18%
સુરેન્દ્રનગર 15%
જૂનાગઢ 11%
અમરેલી 12%
પોરબંદર 11%
નવસારી 10%
વલસાડ 08%
ભરૂચ 07%
કુંવરજી બાવળિયા અને ચંદ્રવદન પીઠાવાલા ગ્રુપ દ્વારા મહોત્સવનો બહિષ્કાર
તો બીજી તરફ કોળી સમાજના સુવર્ણ જ્યંતી મહોત્સવ કુંવરજી બાવળિયા અને અજીતભાઈની આગેવાનીમાં યોજાશે જેમાં અજીતભાઈ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળશે તેમજ કુંવરજીભાઈ બાવળિયા સુવર્ણ જ્યંતી મહોત્સવના અધ્યક્ષ રહેશે. સમારંભ પૂર્ણ થતા બંને આગેવાનો સમાજના હોદ્દા પરથી રાજીનામું આપશે. પણ કુંવરજી બાવળિયા અને ચંદ્રવદન પીઠાવાલા ગ્રુપ દ્વારા મહોત્સવનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અજિત કોન્ટ્રાક્ટર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાષ્ટ્રપતિ પણ હાજરી આપવામાં છે.
કુંવરજી બાવળિયા, ચંદ્રવદન પીઠાવાલાને સાઈડ ટ્રેક કરાયા છેઃ ઉમેશ પટેલ
અખિલ ભારતીય કોળી સમાજના સંમેલન મામલે વિવાદ સામે આવ્યો છે. આગામી સમયમાં અખિલ ભારતીય કોળી સમાજનુ સંમેલન યોજાવાનુ છે પરંતુ તેમાં કુંવરજી બાવળીયાને સાઈડ લાઈન કરાઈ રહ્યાનો આક્ષેપ લાગી રહ્યો છે. આ આરોપ ગુજરાત કોળી સમાજના મહામંત્રી ઉમેશ પટેલે લગાવ્યો છે. તેમને કહ્યુ છે કે, ચૂંટણીમાં ટિકિટ મેળવવા આ સંમેલન બોલાવાયુ છે. જેમાં કુંવરજી બાળળિયા અને ચંદ્રવદન પીઠાવાલાને સાઈડ લાઈન કરાઈ રહ્યા છે. આમ કુંવરજી બાળળિયાના સમર્થનમાં ચોર્યાસી તાલુકાના કોળી સમાજના યુવાનોએ સંમેલનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.