વડોદરાની MS યુનિવર્સિટીના વાંધાજનક કટઆઉટનો મામલો સામે આવ્યો હતો. આ મામલા બાદ ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે તપાસ કમિટીએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે.
વડોદરાની MS યુનિવર્સિટીમાં વિવાદ વકર્યો
ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં દેવી-દેવતાઓના પોસ્ટરને લઇ થયો હતો વિવાદ
યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કરનાર 31 વિદ્યાર્થીઓ પર કેસ દાખલ
ગુજરાતની સંસ્કારીનગરી એટલે કે, વડોદરા. પરંતુ આ સંસ્કારીનગરીમાં એવું કૃત્ય થયું છે, જે શર્મસાર કરનારું છે. કારણ કે, અહીં વિદ્યાનાધામમાં આર્ટના નામે ભગવાનના કટ આઉટ બનાવાયા અને તેના બેગ્રાઉન્ડમાં રેપના ન્યૂઝ રાખી દેવી-દેવતાઓનું અપમાન કરાયું છે. સાથે જ એવા આર્ટનું પણ પ્રદર્શન કરાયું જેને વિદ્યાના ધામને શર્મસાર કર્યું છે. ત્યારે હવે આ આર્ટનો વિરોધ કરનારા 31 વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કેસ દાખલ કરવામાં આવતા વિવાદ વકર્યો છે. ત્યારબાદ MS યુનિવર્સિટી દ્વારા સત્યશોધક કમિટીની રચના કરાઈ હતી.
વિવાદાસ્પદ આર્ટવર્ક કુંદન કુમારે પરીક્ષાના ભાગરૂપે બનાવ્યા હતા: તપાસ કમિટી
એમ.એસ. યુનિવર્સિટીમાં વિવાદિત કટઆઉટનો મામલે યુનિવર્સિટીના 9 જેટલા ડીન અને પ્રોફેસરની સત્યશોધક કમિટીએ તપાસ કરતા પ્રાથમિક તારણ સામે આવ્યું છે. કમિટીએ જણાવ્યું છે કે, વિવાદાસ્પદ આર્ટવર્ક કુંદન કુમારે બનાવ્યા છે. આર્ટવર્ક પરીક્ષાના ભાગરૂપે બનાવ્યા હોવાથી ડિસપ્લેમાં મુકાયા હતા. એક પરીક્ષકે વિરોધ કર્યા બાદ 2 મેના રોજ આર્ટવર્ક હટાવવામાં આવ્યા છે. આજે કમિટી યુનિ. સત્તાધીશોને અહેવાલ સુપરત કરશે. ફેકલ્ટી ડીન કમિટી સમક્ષ જવાબ આપવા હાજર થયા નથી.
યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કરનાર 31 વિદ્યાર્થીઓ પર કેસ દાખલ
એમ.એસ. યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રો મામલે થયેલા વિવાદમાં શનિવાર સાંજે વિરોધ પ્રદર્શન કરી રહેલા ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ સહિત 31 લોકો સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
બે વિદ્યાર્થીએ પોલીસ કર્મચારીઓને માર્યા હતા લાફા
ત્રણ દિવસ પહેલા એમ.એસ.યુનિવર્સિટી ખાતે ચિત્રો અંગે વિવાદ થતાં ફાઇન આર્ટસ ફેકલ્ટી ખાતે પોલીસકર્મીને બે-ત્રણ લાફા ઝીંકી દેનાર સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસને લાફા મારતો વીડિયો વાયરલ થયો હતો. અનેક લોકોએ પોલીસની ઢીલી કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. જ્યારબાદ પોલીસને લાફા ઝીંકનાર કાર્તિક જોષી અને ધ્રુવ પારેખ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
આંદોલન કરતા વિદ્યાર્થીઓ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી યોગ્ય ન ગણી શકાયઃ યુતીબેન વજરે
વડોદરાની MS યુનિવર્સિટીમાં વિવાદિત કટ આઉટનો મામલે ABVPના પ્રદેશ મંત્રી યુતીબેન વજરે વડોદરા પહોંચ્યા છે. તેમણે વિવાદ મામલે અને પોલીસની કાર્યવાહી અંગે કહ્યું કે લાગણી દુભાય તેવા ચિત્રો રજૂ કરાયા છે. વિદ્યાર્થીઓના આંદોલનમાં વિદ્યાર્થીઓ વિરુદ્વ ગુનો દાખલ કરાયો છે. પોલીસની કાર્યવાહી યોગ્ય ન ગણી શકાય. યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસ કેવી રીતે આવી તે મોટો સવાલ છે. પોલીસની કાર્યવાહીમાં એક યુવતી ઘાયલ થઇ છે. કુલપતિ વિદ્યાર્થીઓને સાંભળવા તૈયાર નથી. ધર્મનો વિષય છે પણ કમિટી બેસાડવી એ ઢોંગ છે.
શું છે હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડતો વિવાદ ?
ફાઈન આર્ટ્સના નામે સંસ્કારીનગરી વડોદરામાં આજે શર્મસાર કરતી ઘટના ઘટી છે. જેમાં જાણીતી અને હંમેશા વિવાદોમાં રહેતી એમ.એસ.યુનિવર્સિટીએ ફરી એકવાર ફાઈન આર્ટ્સના નામે એવી હરકત કરી છે કે, કરોડો હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. એમ.એસ.યુનિવર્સિટીમાં ડિસ્પ્લે કરાયેલા કટઆઉટમાં દૂષ્કર્મના સમાચાર પ્રદર્શિત કરાયા છે. આ પ્રકારની હરકત જાણી જોઈને કરાઈ છે.. જેને લઈને વિદ્યાર્થી સંગઠન ABVP અને હિંદુ સંગઠનો દ્વારા એમ.એસ.યુનિવર્સિટીમાં હોબાળો કરાયો હતો.. તો બીજી તરફ ABVP ના કાર્યકરો અને ફાઈન આર્ટ્સના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી પણ થઈ હતી.
હિન્દુ સંગઠનો દ્વારા હોબાળો કરાતા જ વડોદરા પોલીસ પણ દોડી આવી હતી અને મામલાને શાંત પાડયો હતો. બીજી તરફ ABVPના કાર્યકરોએ ચાલુ પરીક્ષાએ જય શ્રી રામના નારા લગાવી દેવી-દેવતાઓનું અપમાન કરનાર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહીની માગ કરી હતી. સાથે જ ફેકલ્ટી ડીન જયરામનું રાજીનામું લેવાની પણ માગ કરી હતી.
વિદ્યાના ધામમાં આ પ્રકારની હરકત કોઈપણ કાળે યોગ્ય નથી. કારણ કે, જો ફાઈન આર્ટસમાં દેવી-દેવતાઓની જ પ્રતિકૃતિ દર્શાવવી હતી. તો છાપામાં દુષ્કર્મ સિવાય પણ અનેક સારા સમાચારો અને જાહેરાતો આવે છે. તેમાંથી દેવી-દેવતાના કટઆઉટ બનાવી શકાતા હતા. ન કે દુષ્કર્મની ઘટનાઓના ન્યૂઝ વાળા સમાચારને હાઈલાઈટ કરતા છાપામાંથી.
ત્યારે અહીં સવાલ એ થાય છે કે, સંસ્કારીનગરીમાં કોણ હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માગે છે ? વિદ્યાના ધામમાં દેવી-દેવતાઓનું કેમ અપમાન કરાય છે? દેવી-દેવતાઓના અશોભનીય કટઆઉનું પ્રદર્શન કેમ? કોણ વિદ્યાર્થીઓ છે જેણે ફાઈન આર્ટ્સના નામે આવી અશોભનીય હરકત કરી? શું યુનિવર્સિટી લેશે આવી હરકત સામે કોઈ એક્શન? સવાલો અનેક છે ત્યારે જોવાનું એ રહેશે કે, હિન્દુ દેવી-દેવતાઓના આ પ્રકારના અપમાનને અટકાવવા માટે સરકાર અને એમ.એસ.યુનિવર્સિટી દ્વારા કેવા પ્રકારના પગલા ભરવામાં આવે છે.