ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં કુંભ મેળાની પારંપરીક રીતે શરૂઆત થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુંભ મેળાની શુભેચ્છા પાઠવી છે. જ્યારે પીએમ મોદીએ લોકોને કુંભ મેળામાં જોડાવવા અપીલ કરી છે.
ત્યારે મકરસંક્રાતિ નિમિત્તે પહેલા શાહી સ્નાનનો લ્હાવો લેવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. મહાનિર્વાણી અને અટલ અખાડાએ પહેલા શાહી સ્નાનનો લ્હાવો પણ લીધો. જ્યારે મહત્વની વાત છે કે આ કુંભ મેળામાં પહેલીવાર કિન્નર સન્યાસીઓએ પણ અખાડામાં ભાગ લીધો છે.
ખાસ કરીને કુંભ મેળાના પહેલા શાહી સ્નાનને લઈને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. શાળા અને કોલેજોમાં પણ ત્રણ દિવસ માટે રજા આપી દેવાઈ છે. સુરક્ષા વ્યવસ્થાની વાત કરવામાં આવે તો પહેલીવાર એરબોર્ન સ્નાઈપર્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે.
22 હજાર જેટલા પોલીસકર્મી પણ તૈનાત કરવામાં આવ્યા છે. અર્ધસૈનિક બળની 80 બટાલિયન પેરામિલિટ્રી અને સેનાના અધિકારીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે.
આ સિવાય પીએસીની 20 કંપની NDRFની 10 કંપની SDRFની 1 કંપની STFનું 1 યૂનિટ NSGની 1 સ્પેશિયલ ટીમ BDSની 5 ટીમ અને ડોગ સ્ક્વોડની 15 ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.
શહેરની અંદર આવતા અને બહાર જતા તમામ રસ્તાઓમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કુંભ મેળા દરમિયાન કુલ આઠ શાહી સ્નાન યોજાશે. ચાર માર્ચ એટલે કે મહા શિવરાત્રીના રોજ છેલ્લું શાહી સ્નાન યોજાશે.