ભાજપના આ નેતાએ ગુલામ નબીને ભાજપમાં જોડવાને લઈને કરી આ વાત
વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધા બાદ રાજકારણ ગરમાયેલું છે. અલગ અલગ પાર્ટીના નેતા પોત-પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ જ ક્રમમાં ભારતીય જનતા પાર્ટીના નેતા કુલદીપ બિશ્નોઈએ મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, એ કહેવુ ખોટુ નહીં હોય કે, કોંગ્રેસ આત્મ-વિનાશ, આત્મઘાતી મોડમાં છે. મારી સલાહ છે કે, રાહુલ ગાંધી પોતાના અહંકારને અલગ રાખે. ગુલામ નબી આઝાદ ભાજપમાં આવે છે, તો તેમનું સ્વાગત છે.જો પાર્ટી મને કહે તો, હું તેમને પાર્ટીમાં સામેલ થવા માટે મનાવી શકું છું. હું તેમને કોઈ પણ ભોગે મનાવી લઈશ. બસ પાર્ટી મને જવાબદારી આપે. આપને જણાવી દઈએ કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે આજે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. તેઓ લાંબા સમયથી પાર્ટીઓની નીતિઓ વિરુદ્ધ નારાજ ચાલી રહ્યા હતા.
આસામના સીએમ હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, ગુલામ નબી આઝાદનો પત્ર અને મેં 2015માં લખેલો પત્ર જો આપ વાંચશો, તો ઘણી સમાનતા જોવા મળશે. કોંગ્રેસમાં બધાં જાણે છે કે, રાહુલ ગાંધી અપરિપક્વ છે. સોનિયા ગાંધી પાર્ટીને દેખરેખ રાખી શકતા નથી. તેઓ ફક્ત પોતાના દિકરાને આગળ વધારવાની કોશિશ કરી રહ્યા છે. આ એક વ્યર્થ પ્રયત્ન છે. પરિણામે પાર્ટી પ્રત્યે વફાદાર લોકો તેને છોડી રહ્યા છે. મેં ભવિષ્યવાણી કરી હતી કે, કોંગ્રેસ માટે એક સમય આવશે, જ્યારે ફક્ત ગાંધીવાદી તેમના ભાગમાં રહેશે અને આજે એજ થઈ રહ્યું છે. રાહુલ ગાંધી હકીકતમાં ભાજપ માટે વરદાન છે.
ગુલામ નબીનું રાજીનામું ખૂબ અફસોસની વાત- ફારુક અબ્દુલા
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલાએ કહ્યું કે, ઈંંદિરા ગાંધીજીના સમયથી ગુલામ નબી આઝાદ ઈનર કેબિનેટના સભ્ય હતા. આજે પણ સોનિયા ગાંધીની ખૂબ નજીક હતા. આ ખૂબ અફસોસની વાત છે કે, એવું શું થઈ ગયું કે આટલો મોટો નિર્ણય લેવો પડ્યો.
કોંગ્રેસમાં દરબારી સંસ્કૃતિ- જયવીર શેરગિલ
એક દિવસ પૂર્વ કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા જયવીર શેરગિલે કહ્યું કે, હકીકતમાં કોંગ્રેસમાં એક દરબારી સંસ્કૃતિના નેતા હેરાન થઈ રહ્યા છે. કેટલાય મોટા નેતા કોંગ્રેસ છોડવા માટે મજબૂર થઈ રહ્યા છે.