ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી ગુજરાત સહિત ભારતભરમાં કરવામાં આવી હતી. મધ્યરાત્રિએ દેશભરના કૃષ્ણ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા.
ખાસ કરીને સૌરાષ્ટ્રના દ્વારકા ખાતે ભગવાનના જન્મની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને મધ્યરાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકાધિશના મંદિરને વિવિધ લાઇટોથી શણગારવામાં આવ્યું હતું અને આજરોજ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી હતી.
મથુરા,દ્વારકા અને દિલ્હીના મંદિરોમાં ભગવાન કૃષ્ણના જન્મ બાદ આરતી ઉતારવામાં આવી હતી અને કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. મંદિરોમાં શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જન્માષ્ઠમીના અવસરને પગલે મથુરાના ભગવાન શ્રી કૃષ્ણના મંદિરને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું હતું.
ડાકોર અને શામળાજીમાં જામ્યું ભક્તોનું ઘોડાપૂર
શનિવારે રાતથી જ હજારોની સંખ્યામાં ભક્તોનું મંદિરમાં આગમન થયું. ગુજરાતમાં દ્વારકા ઉપરાંત ડાકોર, શામળાજી જેવા પૌરાણિક મહત્વ ધરાવતા તીર્થધામમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. વહેલી સવારે નાથની મંગળા આરતી થઈ હતી.
આ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. મંદિરોમાં વહેલી સવારથી 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી', 'હાથી-ઘોડા-પાલખી જય કનૈયાલાલ કી'ના જયઘોષ સાથે ગૂંજી ઉઠ્યું છે.
વડોદરામાં આતશબાજી કરી કરાઇ ભગવાનના જન્મદિવસની ઉજવણી
કલા અને સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખાતા વડોદરા ખાતે જન્માષ્ટમીની ઉજવણી ભક્તિભાવ પૂર્વક ઉત્સાહથી કરવામાં આવી હતી. વડોદરાનાં ગોત્રી વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિરમાં ભગવાન શ્રીકૃણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવેલ. આ સાથે જ કેટલાક મંદિરોમાં ફટાકડા ફોડીને પણ જન્મોત્સવને ઉજવવામાં આવ્યો હતો.
અહીં સહજ ગૃપ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની આબેહૂબ રંગોળી તૈયાર કરવામાં આવી હતી. 15 આર્ટીસ્ટો દ્વારા તૈયાર કરવામાં આવેલી રંગોળીએ દર્શનાર્થે આવનાર શ્રધ્ધાળુઓમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.
અમદાવાદના ભાડજ મંદિરમાં ઉજવણી
જન્માષ્ટમીને લઈને અમદાવાદ ખાતે આવેલા ભાડજના હરે ક્રિષ્ના મંદિરમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો. મંદિરમાં બીરાજતા દેવી દેવતાઓને ફુલોનો શણગાર કરવામાં આવ્યો. ભગવાન કૃષ્ણના જન્મત્સોવને પગલે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
પોરબંદરના સાંદિપની આશ્રમમાં ઉજવણી
પોરબંદરમાં સાંદિપની આશ્રમમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી હરી મંદિરને રોશનીનો શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ મંદિરમાં બીરાજતા દેવી દેવતાઓને ફુલોનો શણગાર કરવામાં આવેલ.
આ પ્રસંગે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ખાસ ઉપસ્થિત રહયા હતા. રાત્રીના ૧ર વાગ્યે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ખાસ ઉપસ્થિતિમાં કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીના પાવન પર્વને લઈને સાંદિપની મંદિર ખાતે મોટી સંખ્યામાં ભકતોની ભીડ જોવા મળી હતી.