ભગવાન કૃષ્ણની 16100 રાણીઓ હતી અને 8 પટરાણીઓ હતી. આ પટરાણીઓમાં રૂક્મણી સૌથી વધારે પ્રિય હતી પરંતુ ભગવાન કૃષ્ણની સાથે હંમેશા રાધાનું જ નામ લેવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે. ત્યાં સુધી કે દ્વારકાધીશના મંદિરમાં પણ રૂક્મણીની કોઇ મૂર્તિ નથી જેનું કારણ રાધા નહી પરંતુ એક શ્રાપ હતો જેના કારણે મંદિરમાં દેવી રૂક્મણીની જગ્યાએ માતા લક્ષ્મીની મૂર્તિ છે. જાણો શું હતો આ શ્રાપ...
ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન કૃષ્ણ અને દેવી રૂક્મણીને આ શ્રાપ દુર્વાસા ઋષિએ આપ્યો હતો જેના કારણે ન તો માત્ર દ્વારકાધીશના મંદિરમાં દેવી રૂક્મણીની મૂર્તિ નથી પરંતુ આ શ્રાપના કારણે તેમણે 12 વર્ષ અલગ પણ રહેવું પડ્યું હતુ.
આજ કારણથી દ્વારકાધીશજીના મંદિરથી 2 કિલોમીટરની દૂર રૂક્મણીજીનું મંદિર એક અલગ ભાગમાં બન્યું છે. 12મી સદીમાં બનેલા દેવી રૂક્મણીના આ મંદિરમાં આવનારા તમામ ભક્તોને આ કથા સંભળાવવામાં આવે છે કે એક ભૂલના કારણે શ્રીકૃષ્ણ અને દેવી રૂક્મણીને અલગ રહેવું પડ્યુ હતુ.
કથાનુસાર યદુ વંશી દુર્વાસા ઋષિને પોતાના કુલગુરુ માનતા હતા લગ્ન પછી ભગવાન શ્રીકૃષ્ણ દેવી રૂક્મણી સાથે દુર્વાસા ઋષિના આશ્રમમાં આવ્યા. દુર્વાસા ઋષિનો આશ્રમ આજે પણ દ્વારકાથી થોડે દૂર આવેલો છે. કૃષ્ણે ગુરૂને મહેલમાં આવીને ભોજન અને આશીર્વાદ આપવા માટે આમંત્રણ આપ્યું.
દુર્વાસા ઋષિએ ભગવાન કૃષ્ણનું નિમત્રંણ સ્વીકાર્યુ અને શરત મૂકી. દુર્વાસા ઋષિએ કહ્યુ કે તે યુગલ જે રથમાં આવ્યા છો તે રથમાં હું નહી જાઉં. મારા માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવે. કૃષ્ણે આ શરતનો સન્માન પૂર્વક સ્વીકાર કરી લીધો. એક જ રથ હોવાના કારણે ભગવાન કૃષ્ણએ રથના બંને ઘોડાઓ દૂર કરી દીધા અને તેમની જગ્યાએ શ્રીકૃષ્ણ અને રૂક્મણી સ્વંય રથમાં આવી ગયા. આ રથ પર દુર્વાસા ઋષિ બેઠા અને કૃષ્ણ રૂક્મણી સાથે રથ ખેંચવા લાગ્યા રસ્તામાં રૂક્મણીને તરસ લાગી હતી. કૃષ્ણે દેવી રૂક્મણીની તરસ છીપાવવા માટે જમીન પર પગનો અંગૂઠો માર્યો જેથી ગંગાજળ ધરતીમાંથી નીકળવા લાગ્યુ. ગંગાના જળથી રૂક્મણી અને કૃષ્ણે તરસ છીપાવી દીધી પરંતુ ઋષિને જળ માટે ના પૂછ્યુ તેમના આ વ્યવહારથી તેમને ક્રોધ આવ્યો અને 12 વર્ષ સુધી અલગ રહેવાનો શ્રાપ આપ્યો અને કહ્યુ કે ગંગા જે સ્થાને પ્રગટ થઇ તે સ્થાન બંજર બની જશે. આ બાદ બંને 12 વર્ષ સુધી અલગ રહ્યા હતા.
દેવી રૂક્મણીએ દુર્વાસા ઋષિના શ્રાપથી મુક્તિ મેળવવા માટે ભગવાન વિષ્ણુની તપસ્યા કરી જેનાથી પ્રસન્ન થઇે ભગવાને રૂક્મણીજીને શ્રાપથી મુક્ત કર્યા. દુર્વાસા ઋષિના શ્રાપના કારણે અહીંયા જળ અર્પણ કરવામાં આવે છે. માન્યતાઓ અનુસાર અહીંયા જળ અર્પણ કરવાથી પિતૃઓને જળની પ્રાપ્તિ થાય છે અને તેમને મુક્તિ મળે છે.