અમદાવાદ: શ્રાવણ વદ આઠમના દિવસે જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવે છે. રાત્રે 12 વાગે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આજે જન્માષ્ટમીના દિવસે અમદાવાદમાં આવેલા ઈસ્કોન મંદિરમાં વહેલી સવારથી ભતોની ભીડ જોવા મળી છે. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે મંદિરમાં રોશની સહિતનો શણગાર કરી દેવામાં આવ્યો છે. વહેલી સવારથી હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી નંદ ઘેર આનંદ ભયોના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા છે.
ત્યારે શામળાજીમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. શામળાજીમાં વહેલી સવારે મંગળા આરતી થઈ. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો. મંદિરમાં ભક્તોએ કૃષ્ણ ધૂન બોલાવી. તો જય રણછોડ...માખણ ચોરના નાદ સાથે મંદિર ગુંજી ઉઠયું હતું. તો આ તરફ ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડયું છે.
આપને જણાવી દઇએ કે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે વહેલી સવારે ડાકોરમાં મંગળા આરતી કરવામાં આવી હતી. તો ભક્તો વહેલી સવારે મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડયા. તો મંદિરમાં ડાકોરમાં કોણ છે...રાજા રણછોડ છે...જય રણછોડ માખણ ચોરના નારાથી મંદિર ગુંજી ઉઠ્યું હતું.
આ સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે પણ કૃષ્ણ જન્મના વધામણા કરવા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. દીવમાં આવેલા વણાકબારામાં મહાકાલેશ્વર મંદિરમાં જન્માષ્ટમીના પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. એનિમેશનથી ભગવાનની જીવન ચરિત્ર અને લીલા દર્શાવવામાં આવી છે. મોટી સંખ્યામાં વહેલી સવારથી લોકો દર્શન કરવા માટે પહોંચ્યા હતા.