પેથાપુરના કોલવડામાં થયેલી યુવાનની હત્યા મામલે નવો વળાંક આવ્યો છે જેમાં કરોડોની જમીનની લાલચ અને પ્રેમીને પામવા પત્નીએ જ પતિને મોતને ઘાટ ઉતારી દીધાનું સામે આવ્યું છે.
પેથાપુરના કોલવડામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો
3 આરોપીઓની ધરપકડ કરાઇ
પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કર્યાનો ખુલાસો
ગાંધીનગરના પેથાપુરમાં કોલવડા ગામમાં થયેલી હત્યા કેસનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા સાંપડી છે. પ્રેમીને પામવા પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. દીકરીની છેડતીનું બહાનું કહીને હત્યા કરી હોવાની કબૂલાત અપાઈ હતી. પરંતુ તપાસમાં કરોડોની જમીનની લાલચ અને પ્રેમીને પામવાનું ષડ્યંત્ર રચ્યું હોવાના ચોંકાવનાર ખુલાસા થયા છે.
આરોપી નિશિતાએ પ્રેમી સંજય પટેલને પામવા હત્યાનું ષડયંત્ર રચ્યું
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર કોલવડા ગામમાં 23 જૂનના રોજ ઘનશ્યામ પટેલની પત્ની નિશિતા અને સગીર દીકરીએ હત્યા કરી હતી. જેમાં પત્નીએ આક્ષેપ કર્યો હતો કે પતિ દીકરીની હાજરીમાં શારીરિક સંબધ બાંધવાની વાત કરતો હતો અને તેની દીકરીની છેડતી કરી હોવાના આરોપો લગાવાયા હતા. જેથી નિશિતાએ પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસને અજુગતા લગતા ઊંડી તપાસ હાથ ધરી હતી જેમાં તપાસમાં નવો વણાંક આવ્યો છે. આરોપી નિશિતાએ પ્રેમી સંજય પટેલને મેળવવા તેમજ પતિની મિલકત માટે પ્રેમી સાથે મળીને હત્યાનું ષડયંત્ર રચ્યું હોવાના આંચકાજનક ખુલાસા થયા છે. પોલીસે નિશિતાની ધરપકડ બાદ તેના પ્રેમી સંજય અને તેની પત્ની સોનલની પણ ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
હત્યા કેસમાં સગીરા સહિત 3 આરોપીની ધરપકડ
નિશિતા અને સંજય મોટેરાના રહેવાસી છે. નિશિતાના લગ્ન ઘનશ્યામ પટેલ સાથે થતા નિશિતા કોલવડા ગામ રહેવા જતી રહી હતી. તેમને સંતાનમાં એક દીકરી છે. પાડોશી હોવાથી સંજય અને નિશિતા છેલ્લા 18 વર્ષથી પરિચયમાં છે. નિશિતા અને ઘનશ્યામ વચ્ચે મનમેળ નહિ થતા તે દોઢ વર્ષ પહેલાં મોટેરા રહેવા આવી ગઈ હતી. ત્યારે સંજય અને તેની પત્ની સોનલે મદદ કરી હતી. આ દરમ્યાન સંજય અને નિશિતા વચ્ચે પ્રેમસંબંધ થયો હતો. પતિ પાસે કરોડોની જમીન હોવાથી નિશિતા તેને છોડવા પણ નહતી માંગતી અને પ્રેમીને પામવા પણ માંગતી હતી. જેથી નિશિતાએ પ્રેમી સાથે મળીને ઘનશ્યામની હત્યાનું ષડયંત્ર રચ્યું હોવાનું ખૂલ્યું હતું. સમાધાનના નામે દીકરીને કોલવડા ગામ મોકલી દીધી હતી અને તે પણ ત્યાં પહોંચી ગઈ હતી. નિશિતા પતિને દરરોજ ઘેનની દવા આપતી હતી. હત્યાના દિવસે પણ પ્રેમીને બોલાવીને પતિને ઘેનની દવા આપી બેભાન કરીને ઠંડા કલજે હત્યા કરી હતી. આ મામલે પેથાપુર પોલીસે હત્યા કેસમાં સગીરા સહિત 3 આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.