નાગરિકતા સંશોધન કાયદો પસાર થયા બાદ ગૃહમંત્રી અમિત શાહે પહેલી વાર કોલકાતા પહોંચ્યા છે. તેઓએ રાજરહાટમાં રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના 29 વિશેષ સમગ્ર સમૂહ પરિસરનું ઉદઘાટન કર્યું. ત્યારબાદ તેઓએ કોલકાતાના શહીદ મીનારમાં સીએએના સમર્થનમાં રેલીને સંબોધિત કરી.
અમિત શાહે રાજરહાટમાં રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના 29 વિશેષ સમગ્ર સમૂહ પરિસરનું ઉદઘાટન કર્યું.
તેઓએ કોલકાતાના શહીદ મીનારમાં સીએએના સમર્થનમાં રેલીને સંબોધિત કરી
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રવિવારે એક દિવસની કોલકાતા મુલાકાત પર આવ્યા છે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે કોલકાતામાં કહ્યું કે જ્યારે અમે બંગાળમાં ચૂંટણી મેદાને હતા તો મમતા દીદી કહેતી હતી કે જામીન બચાવી લેજો. ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, મમતા જી આ આંકડાઓ જોઇ લેજો. હવે આવનારી પ.બંગાળની વિધાનસભા ચૂંટણીમાં પણ પૂર્ણ બહુમતીની સાથે ભાજપની સરકાર બનશે.
કોલકાતામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે જ્યારે અમે ચૂંટણી પ્રચાર માટે અહીં આવ્યા તો મંજૂરી આપવાથી ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. તોડફોડ કરવામાં આવી હતી અને ખોટા કેસ નોંધવામાં આવ્યા હતા. 40 થી વધારે ભાજપ કાર્યકર્તાઓએ પોતાના જીવ ગુમાવ્યા. પરંતુ આ બધાની વચ્ચે મમતા દીદી શું આપ અમને રોકી શકો છો?
CAAથી કોઇની નહીં જાય નાગરિકતા : અમિત શાહ
અમિત શાહે એકવાર ફરી સ્પષ્ટતા કરતા કહ્યું કે સીએએનો ભલે ગમે તેટલો વિરોધ કરવામાં આવે પરંતુ અમે તેનાથી પાછળ હટવાના નથી. તેઓએ કહ્યું કે 70 વર્ષથી નાગરિકતાની રાહ જોઇ રહેલા શરણાર્થીઓને અમે તેઓને તેમનો અધિકાર આપીને જ રહીશું. ગૃહ મંત્રી લોકોને આશ્વસ્ત કર્યા કે સીએએથી કોઇની પણ નાગરિકતા નહીં જાય.
અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG) ના 29 વિશેષ સમગ્ર સમૂહ પરિસરનું ઉદઘાટન કર્યું. નવા ભવનના ઉદઘાટન બાદ ગૃહ મંત્રી સમક્ષ એનએસજી કમાન્ડોએ આતંકીઓનો સામનો કરવા કરવાને લઇને કેટલા તૈયાર છે તેની મોક ડ્રીલ રજૂ કરી.
રાજરહાટમાં NSGના નવા ભવનનું ઉદઘાટન
રાજરહાટમાં ન્યૂ ટાઉનમાં રવિવારે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ એનએસજીના નવા ભવનનું ઉદઘાટન કરતા દેશના ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે તેમની સરકાર જલ્દી જ એવી વ્યવસ્થા કરવા જઇ રહી છે કે તમામ સુરક્ષા દળોના જવાન વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ પોતાના પરિવાર સાથે રહી શકે. તેઓએ કહ્યું કે તેમની સરકાર એનએસજી તમામ સુરક્ષા દળોના હિત માટે કાર્ય કરી રહી છે. માત્ર સુરક્ષા દળ નહીં પરંતુ તેમના પરિવારના તમામ સભ્ય ખુશ અને સુખી રહે, સ્વાસ્થ્ય, આવાસ સુવિધા, અભ્યાસ સહિતના વિષયો પર જોર આપી રહી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રવિવારે એક દિવસની કોલકાતા મુલાકાત પર આવ્યા છે ત્યારે આ પ્રવાસને લઇને કોલકાતામાં ભારે વિરોધ પણ થઇ રહ્યો છે. એરપોર્ટની બહાર વિદ્યાર્થીઓએ હાથોમાં કાળા ઝંડા લઇને ગો બેકના નારા લગાવ્યા છે.
Kolkata: Members of Students' Federation of India and Left parties demonstrate near the airport against the visit of Union Home Minister Amit Shah to the city today. pic.twitter.com/5terswIFlX
એએનઆઇ અનુસાર, સ્ટૂડેન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને લેફ્ટ પાર્ટીઓના સભ્ય અમિત શાહની યાત્રાના વિરોધમાં એરપોર્ટ પાસે પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ છે. તેમના હાથોમાં 'ગો બેક અમિત શાહ' લખેલા પોસ્ટર છે. ઘણા લોકો કાળા ઝંડા અને કાળા બલૂન લઇને વિરોધ દર્શાવી રહ્યા છે.
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પ્રદેશ ભાજપ નેતૃત્વ તથા નડ્ડાની સાથે બંધ બારણે બેઠક પણ કરશે. આ સંબંધમાં એક સૂત્રે કહ્યું કે શાહનો પ્રસિદ્ધ કાલીઘાટ મંદિરમાં પણ કાર્યક્રમ છે.
પ્રદેશ ભાજપના એક નેતા અનુસાર, તૃણમૂલ કોંગ્રેસ સરકારે CAA પર ભ્રમ પેદા કર્યો છે. ગૃહ મંત્રી અમિત શાહ આ ભ્રમને દૂર કરશે. એક અધિકારીએ જણાવ્યું કે પોલીસે અમિત શાહની મુલાકાતને પગલે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. વિપક્ષી માકપાએ અમિત શાહના પ્રવાસ દરમિયાન વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે.