કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) કોરોના વાયરસ સામેની જંગમાં પોતાનું યોગદાન આપવા આગળ આવી છે અને પીએમ રિલીફ ફંડમાં દાન કરવાની જાહેરાત કરી છે. બે વખતના આઈપીએલ ચેમ્પિયન ટીમે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન અને અન્ય લોકોએ મળીને પીએમ રિલીફ ફંડમાં દાન આપ્યું છે.
પીએમ રિલીફ ફંડમાં લોકો દિલ ખોલીને કરી રહ્યાં છે દાન
જીવલેણ કોરોનાનો પ્રકોપ સતત ચાલુ છે. ત્યારે ભારતમાં 2500થી વધુ લોકો કોરોના પોઝિટિવ છે અને અત્યાર સુધી 50થી વધુ લોકોના મોત નીપજી ચૂક્યા છે. હાલ દેશભરમાં 21 દિવસનું લોકડાઉન છે. આઈપીએલની ફ્રેન્ચાઈઝી કેકેઆરના નિવેદન અનુસાર સહ-માલિકો શાહરૂખ ખાન, જુહી ચાવલા, ગૌરી ખાન અને જય મહેતા પીએમ રિલીફ ફંડમાં ફાળો આપવા કટિબદ્ધ છે.
બીસીસીઆઈએ કોરોનાને કારણે આઈપીએલની 13મી સીઝન 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દીધી છે. જ્યારે હવે એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે, ટી-20 રદ્દ થઈ શકે છે. બીજી બાજું, બીસીસીઆઇ હજી પણ ટૂર્નામેન્ટ યોજવાના વિકલ્પની શોધમાં છે.