ગુજરાતમાં પાટીદાર જેટલું જ વર્ચસ્વ ધરાવનાર કોળી સમાજે પણ ગુજરાતની 182 બેઠકમાંથી 72 બેઠકો ઉપર ટિકિટની માંગ કરી છે.
ભાવનગરમાં કોળી સમાજનો હુંકાર
72 બેઠકો ઉપર કરી ટિકિટની માંગ
વધુ ટિકિટ આપનાર પક્ષને કોળી સમાજનું સમર્થન: ઋષિ ભારતીબાપુ
ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી બાજુ તમામ સમાજ પોતાના સમાજના પ્રતિનિધિને ટિકિટ મળે એ માટેની માંગ કરી રહ્યાં છે. ત્યારે ભાવનગરમાં કોળી સમાજે પણ ટિકિટ મળે તેવી માંગ કરી છે.
ભાવનગરમાં કોળી સમાજની ગઇકાલે શિવશક્તિ હોલ ખાતે એક ચિંતન શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં મહામંડલેશ્વર ઋષિ ભારતીબાપુ સહિત કોળી સમાજના 4 વિવિધ સંગઠનોના આગેવાનો હાજર રહ્યાં હતા. આ બેઠકમાં આર્થિક, સામાજિક અને રાજકીય મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જે દરમિયાન ઋષિ ભારતી બાપુએ ટિકિટને લઈને મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, 'ગુજરાતની 182 બેઠકમાંથી 72 બેઠકો ઉપર કોળી સમાજને હક છે તો તેને ન્યાય મળવો જોઈએ. સમાજને જે પક્ષ ટિકિટ વધુ આપશે તેને કોળી સમાજ સમર્થન આપશે. છેલ્લા 35 વર્ષથી કોળી સમાજને રાજકીય રીતે અન્યાય થઈ રહ્યો છે જે વ્યાજબી નથી.'
અગાઉ કહ્યું હતું કે 'કોળી સમાજનો ચહેરો મુખ્યમંત્રી તરીકે હોવો જોઇએ'
અત્રે તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં કોળી સમાજ એ પણ ગુજરાતની મોટી વોટબૅન્ક ગણાય છે અને એ કઈ તરફ ઝૂકે છે તેની પર તમામ રાજકીય પક્ષોની નજર હોય છે. ઉલ્લેખનીય છે કે, થોડાક સમય અગાઉ બોટાદ જિલ્લામાં કોળી સમાજનું સંમેલન યોજાયું હતું જેમાં કોળી સમાજના આગેવાનો ઉપરાંત ભારતીબાપુ આશ્રમના મહંત ઋષિ ભારતીબાપુએ પણ વિશેષ હાજરી આપી હતી. આ સંમલેનમાં પણ તેઓએ નિવેદન આપતા કહ્યું હતું કે, 'કોળી સમાજનો ચહેરો મુખ્યમંત્રી તરીકે હોવો જોઇએ. કારણ કે કોળી સમાજ એ રાજ્યનો સૌથી મોટો સમાજ છે અને વિધાનસભાની અડધી બેઠકો પર તે પ્રભુત્વ ધરાવે છે. રાજકીય પક્ષો દ્વારા કોળી સમાજને અન્યાય થઇ રહ્યો છે. આથી હવે સમાજને સંગઠિત થઇ તાકાત બતાવવાનો સમય આવ્યો છે.'
2017ની ચૂંટણીમાં કોળી વોટબૅન્કમાં ગાબડું પાડવામાં કોંગ્રેસ સફળ રહી હતી
ઉલ્લેખનીય છે કે, 2015માં થયેલા પાટીદાર, ઓબીસી અને દલિત આંદોલનો બાદ આવેલી 2017ની ચૂંટણીમાં ચિત્ર બદલાતું ગયું અને પાટીદારની સાથે કોળી વોટબૅન્કમાં ગાબડું પાડવામાં કોંગ્રેસ સફળ રહી હતી. 2017માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે માત્ર 2.57 ટકા વધારે મત મેળવી 32 વર્ષ બાદ 77 બેઠકો જીતી હતી અને 150 બેઠકો જીતી લેવાનો દાવો કરનાર ભાજપ 99 બેઠકો પર જ અટકી ગઇ હતી.
જાણો ક્યા જિલ્લામાં કેટલો કોળી સમાજ?
જિલ્લો કોળી સમાજની વસતી
ભાવનગર 18%
સુરેન્દ્રનગર 15%
જૂનાગઢ 11%
અમરેલી 12%
પોરબંદર 11%
નવસારી 10%
વલસાડ 08%
ભરૂચ 07%
કઈ બેઠકો પર કોળી સમાજનું છે વધારે પ્રભુત્વ?
સૌરાષ્ટ્રમાં જસદણ, વાંકાનેર, સોમનાથ વેરાવળ, તળાજા, બોટાદ ,ચોટીલા, ઉના સહિત અનેક બેઠકો પર કોળી મતો નિર્ણાયક રહ્યા છે. જેના લીધે અનેક બેઠકો પર પાટીદાર મતો પણ નિર્ણાયક છે. પરંતુ, ચૂંટણી ટાણે જે સક્ષમ ઉમેદવાર હોય તે જીતતા રહ્યા છે. ગુજરાતમાં આજે સાણંદ, વાકાનેર, લિંબડી, જસદણ, કોડિનાર, માંગરોળ, ઉના, રાજુલા, પાલીતાણા, ગઢડા, બોટાદ, ભાવનગર, ચોટિલા, ઓલપાડ, ચોર્યાસી, જલાલપોર, ગણદેવી, વલસાડ, સોમનાથ, મહુવા, જંબુસર, અંકલેશ્વર એવી બેઠકો રહેલી છે જ્યાં 40 હજારથી વધુ કોળી મતદારો રહેલા છે. કોળી મતદારો આજેય પણ જ્યાં ઢળે ત્યાં મતોના ઢગલા કરી નાખે છે.
મહત્વનું છે કે, ગુજરાતના કોળી સમાજમાં અનેક પેટા વિભાગો છે. આ અંગે વિસ્તૃત છણાવટ કરીએ તો કહી શકાય કે તળપદા કોળી કે જેઓ તળપદના રહેવાસી કહેવાય છે તેના 22 વિભાગો છે. ચુંવાળના રહીશ કે જે 44 ગામોનો ગોળ કહેવાય છે તેની 21 શાખાઓ છે. પાટીદાર સમાજમાં જેમ કડવા અને લેઉવા સમાજ છે તેમ કોળી સમાજમાં તળપદા, ચુંવાળિયા , બાબરીયા, પટેલ અને કેડિયા કોળી લોકો છે.