ભવસાગરમાં 'ભજ ગોવિન્દમ્' દીવાદાંડીનું કામ કરે એવું કાવ્ય છે. શંકરાચાર્યજી પોતાના સમયના બ્રહ્મજ્ઞાની હતા. આદિશંકરાચાર્ય રચિત “ભજ ગોવિંદમ્” જો ન વાંચ્યું હોય તો આ સોનેરી તક ચૂકશો નહી! એકત્રીસ શ્લોકોનું આ કાવ્ય લોકપ્રિય છે અને માધુર્યસભર છે.
ગંગા નદીને કિનારે બનારસમાં શંકરાચાર્ય તેમના ૧૪ શિષ્યોને લઈ જઈ રહ્યા હતા ત્યાં તેમણે એક વૃદ્ધ પંડિતને વ્યાકરણના નિયમ ગોખતો જોયો! તરત તેમના મુખેથી સર્યું.
ભજ ગોવિંદમ્ ભજ ગોવિંદમ્ ગોવિંદમ્ ભજ મૂઢમતે.
હે મૂરખ ! બીજું બધું ત્યજ અને ગોવિંદને ભજ. નિર્ધારેલાં કાળ મરણ તો અચૂક આવશે. તારા વ્યાકરણના નિયમો ત્યારે ખપમાં નહીં આવે. કદીયે તારું એ રક્ષણ નહીં કરી શકે, માટે સમજ અને ગોવિંદને ભજ. તું ગોવિંદને ભજ, ગોવિંદની પૂજા કર. એમાં જ એકાગ્રતા રાખ. એના સિવાય કોઈ આરો ઓવારો નથી.
ઘડપણમાં ગોવિંદ ગાવાની વાત ખોટી છે. આખી જિંદગી ગોવિંદની રટણા કરી હોય તો મરણ નામની ઘટના ઘટે ત્યારે જ ગોવિંદ નાભિમાંથી હોઠ પર પ્રગટે. હે મૂઢ! ગોવિંદની શોધ કર, ગોવિંદનાં ભજન કર અને ગોવિંદનું જ ધ્યાન કર. અંતિમ સમય પર વ્યાકરણના નિયમો તારી રક્ષા નહિ કરી શકે.
હે મૂઢ! ધન સંગ્રહની તૃષ્ણા છોડી દે. મનમાં વૈરાગ્ય લાવીને સત્ તત્ત્વનું ચિંતન કર. પોતાનાં કર્મ ફળના અનુસાર જે ધન પ્રાપ્ત થાય તેનાથી પોતાના મનને સંતુષ્ટ રાખ. કોઈ ભલેને ગંગાસાગર (જ્યાં ગંગા સાગરને મળે છે ત્યાં) વગેરે તીર્થોની યાત્રા કરે છે, વ્રત રાખે છે, અથવા દાન કરે છે પરંતુ અજ્ઞાની વ્યક્તિ સૈકડો જન્મોમાં પણ મુક્તિ નહીં પ્રાપ્ત કરી શકે, આ તથ્ય બધા લોકો સ્વીકાર કરે છે. વારંવાર જન્મ મળવો, વારંવાર મરવું અને વારંવાર માતાના ઉદરમાં સૂવું વગેરે બહુ કષ્ટકારક છે.
આ દુખઃમય સંસારથી પાર થવું ઘણું કઠિન છે. હે ભગવાન ! આપની અપાર કૃપાથી મારો ઉદ્ધાર કરો. તું કોણ છે? હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું? મારી માતા કોણ છે? મારા પિતા કોણ છે? આ પ્રશ્નો પર વિચાર કરો અને આ અસાર સંસારને સ્વપ્ન માત્ર સમજીને છોડી દો. તારામાં, મારામાં અને બધાં સ્થાનોમાં કેવળ એક સર્વવ્યાપી ભગવાન છે. અસહિષ્ણુ (અધીર) હોવાથી તું વ્યર્થ જ મારા ઉપર ક્રોધ કરે છે.
જો તું ઇચ્છતો હોય કે તને ઈશ્વર પ્રાપ્ત થાય તો તું બધા સંજોગોમાં સમતાવાળો (સમભાવ વાળો) થા. બીજા લોકો સાથે લડવામાં અથવા એમની સાથે મિત્રતા કરવામાં પોતાની શક્તિનો વ્યર્થ (અપવ્યય) નહીં કર. તારાં સગાં સંબંધીઓની સાથે રાગ-દ્વેષ નહીં રાખ. સર્વત્ર પોતાના સ્વરૂપને (પરમ આત્માને) જ જો, ભેદ બુદ્ધિનો ત્યાગ કરી અજ્ઞાનથી છુટકારો મેળવ.
કાળ કોઈનો થતો નથી. આપણે આપણા સમયને વેડફીએ છીએ અને ઓચિંતું મરણ આપણે બારણે ટકોરા મારે છે. તો જે કાળ આપણને પ્રાપ્ત થયો હતો એ કાળ આપણે વેડફ્યો ક્યાં? મનુષ્ય પાસે ગામે તેટલી મિલકત ધન સંપતિ હોય પણ અંતે કામ આવતું નથી. પણ એક ભગવવાનના ભજન દ્વારા જન્મ મરણનો ફેરો ટળતો હોય છે અને ભગવાનનાં સુખની અનુભૂતિ થતી હોય છે. આ શરીરધારીના શરીરો નાશવંત છે. ભગવાનની ભાષામાં કોઈ મરતું નથી. •