ભારતીય સંસ્કૃતિના સુસંસ્કારોમાં કોઈ કાર્યની સફળતા માટે પહેલાં તેના મંગલા ચરણ કે પછી પૂજ્ય દેવોની વંદનાની પરંપરા રહી છે. કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનું વિધાન છે. તેથી સનાતન ધર્મમાં સૌ પ્રથમ શ્રીગણેશની પૂજાથી જ કોઈ કાર્યની શરૂઆત થાય છે.
શ્રી ગણેશ પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ અને કલ્યાણકારી છે. ભલે તે કોઈ કાર્યની સફળતાને માટે કે પછી ભલે કોઈ કામનાપૂર્તિ સ્ત્રી, પુત્ર, પૌત્ર, ઘન, સમૃદ્ધિને માટે કે પછી અચાનક જ કોઈ સંકટમાં પડેલ દુ:ખોનાં નિવારણ માટે હોય. અર્થાત જ્યારે ક્યારેક કોઈ વ્યક્તિને કોઈ અનિષ્ટની આશંકા હોય કે પછી તેને વિવિધ શારીરિક કે આર્થિક કષ્ટ ઉઠાવવાં પડી રહ્યાં હોય તો તેણે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કોઈ યોગ્ય અને વિદ્વાન બ્રાહ્મણના મદદથી શ્રી ગણપતિ પ્રભુ અને શિવ પરિવારનું વ્રત, આરાધના અને પૂજન કરવું જોઈએ.
આ વર્ષે શ્રીગણેશ ચતુર્થીનો ઉત્સવ 2 સપ્ટેમ્બર 2019 સોમવારના રોજ છે. જેને શ્રીગણેશ ચતુર્થી, પત્થર ચોથ અને કલંક ચોથના નામે પણ ઊજવવામાં આવે છે. આ દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થીના રૂપમાં ઊજવવામાં આવે છે. ચતુર્થી તિથિના રોજ શ્રી ગણપતિની ઉત્પત્તિ થઈ હતી.
કહેવાય છે કે ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભીમબલિ નામની જગ્યાએ ગયા. આ તરફ પાર્વતીએ પોતાનાં ઉબટનમાંથી એક પૂતળું બનાવી તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી તેનું નામ ગણેશ રાખ્યું. તેમને ગુફાની બહાર બેસાડી દીધા. થોડા સમય બાદ ભગવાન શંકર આવ્યા તો તેમને ગણેશે અંદર જતા અટકાવ્યા. આથી ભગવાન શંકર ક્રોધિત થયા અને ગણેશનું માથું કાપી નાખ્યું. પાર્વતી શિવને સામે જોઇને દંગ રહી ગયાં.
જ્યારે શિવે સમગ્ર વાત કહી સંભળાવી તો પાર્વતી વિલાપ કરવા લાગ્યાં અને બોલ્યાં કે તે તો મારો પુત્ર હતો. હવે તમે કેમેય કરીને મારા પુત્રને જીવિત કરો. ભગવાન શંકર ધર્મસંકટમાં પડી ગયા, આ તો પ્રકૃતિ વિરુદ્ધનું કાર્ય છે, પણ માતા પાર્વતીની જીદ. બરાબર તે જ સમયે એક હાથણીને પ્રસવ થયો હતો. શંકરજીએ તે હાથણીના બચ્ચાંનું માથું કાપીને ગણેશને લગાડી દીધું. આ રીતે ગણેશજીનો પુનર્જન્મ થયો.
આ ઘટના ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે બની. આથી આ દિવસથી ગણેશજીનું વ્રત શરૂ કરવાનું મહત્વ છે. આ વ્રત કરવાથી બુદ્ધિ વિકસિત થાય છે, તમામ સંકટો હટી જાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે. આશીર્વાદ પણ આપ્યા કે પૃથ્વીવાસીઓ કોઈ પણ કામની શરૂઆત તારા નામ અને તારી આરાધનાથી કરશે. આમ ગણેશનો પુન: જન્મ થયો. લિંગપુરાણમાં ગણેશ વિશે લખાયું છે કે, ઋષિ મુનિઓએ આસુરી શક્તિઓથી કંટાળીને, તેમાંથી છુટકારો મેળવવા ભગવાન શંકરને પ્રાર્થના કરી. આથી ભગવાન આશુતોષે વિનાયક રૂપે શ્રીગણેશને પ્રગટ કર્યા અને પોતાના શરીરમાંથી બીજા અનેક ગણો પેદા કર્યા અને તે ગણોના સર્વેસર્વા ગણેશને બનાવ્યા.
ગણેશ ચતુર્થીનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ચોથના રોજ ગણેશજીના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે. આ તહેવારને સંસ્કૃત,તમિલ ભાષા ,તેલુગુ ભાષા અને કન્નડ ભાષામાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી અને ગુજરાતીમાં ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથ કહેવામાં છે.