આજકાલ નાની-નાની વાતોમાં લોકોનો મૂડ ખરાબ થઈ જાય છે. કૉલ ન લાગે ત્યારે વ્યક્તિ મોબાઇલ પછાડે એવું પણ બને છે. વાહનને સાઇડ ન મળે કે ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવું પડે તો હોર્ન વગાડ્યા કરે છે. ઘરમાં નાની-નાની વાતે લોકો ઉશ્કેરાઈ જાય છે.
હવે ઇન્ટરનેટના કારણે વર્ચ્યુઅલ વર્લ્ડમાં બધી વસ્તુઓ માત્ર એક ક્લિક પર સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે. તેના માટે રાહ જોવી પડતી નથી. એક ક્લિકમાં પેમેન્ટ કરીને મનપસંદ વસ્તુઓ ખરીદવાની સુવિધાઓ મળે છે. તેથી લોકોના વ્યવહારમાં રાહ જોવાની વાત ખતમ થવા લાગી છે. સોશિયલ મીડિયાના વધુ પ્રયોગથી આમને સામને વાત કરવાનું પણ ઘટી રહ્યું છે.
આ હોર્મોન્સ છે જવાબદાર.
વ્યક્તિનો સ્વભાવ અને વિચાર હોર્મોન્સ નક્કી કરે છે. કેટલાક લોકોને દરેક નાની-નાની વાત પર ગુસ્સો આવી જાય છે. તરત હાઈપર થઈ જાય છે. મોટા અવાજે વાત કરવા લાગે છે કે ડિપ્રેશનમાં રહે છે. તેમનામાં કાર્ટિસોલ સેરોટોનિન હોર્મોનનો સ્ત્રાવ વધી જાય છે. ઇન્સ્યુલિન હોર્મોન લોહીમાં ગ્લુકોઝને સંતુલિત રાખે છે. તેની ખામીથી થાક, ઊંઘ ન આવવી, નબળાઈ અને ચીડિયાપણુ વધે છે. થાઇરોઇડ હોર્મોન અસંતુલિત રીતે રિલીઝ થતાં નબળાઈ અને મૂડ સ્વિન્ગની ઘટના બને છે.
કેમ આવે છે ગુસ્સો?
જ્યારે ગુસ્સો આવે છે ત્યારે કેટાબોલિક હોર્મોન્સ સક્રિય થઈ જાય છે. તેને વધુ એનર્જીની જરૃર પડે છે. ગ્લુકોકોર્ટિકોઇડ હોર્મોન વધી જાય છે. તેના વધવાથી મગજનો એ હિસ્સો જે નિર્ણય લે છે તે વિવેકપૂર્ણ નિર્ણય લેવાની ક્ષમતા ગુમાવી દે છે.
ગુસ્સાથી શરીર પર કઈ ખરાબ અસર પડે છે?
એડ્રિનલિન, નોરાડ્રિનલિન હોર્મોન્સનું લેવલ વધતા ગુસ્સો આવે છે. આ દરમિયાન શરીર વધુ તાકાતવર બની જાય છે, જે લોકો નાની-નાની વાતોમાં ગુસ્સે થાય છે તેને હાર્ટ એટેક, કિડની ફેલ અને પાચન સંબંધિત પરેશાનીઓ આવે છે. ગુસ્સામાં વ્યક્તિ અનિયંત્રિત ધૂમ્રપાન કરે છે અને વિચાર્યા વગર જમે છે તેથી મેદસ્વિતા વધે છે. વારંવારના ગુસ્સાથી હૃદયની પમ્પિંગ ક્ષમતા ઘટે છે. માંસપેશીઓ નબળી પડે છે. હાર્ટ એટેકનો ખતરો પણ વધે છે. ચહેરો લાલ થઈ જાય છે. રેશીઝ અને ખીલ જેવી સમસ્યાઓ વધે છે.
આ છે મુખ્ય કારણો
સોશિયલ મીડિયા પર વર્ચ્યુઅલ વાતચીતના કારણે સંબંધોની સંવેદનશીલતા ઘટી રહી છે. ટીવી, મોબાઇલ પર હિંસાવાળા વીડિયો જોવાથી કે ઉદ્દેશ વગર મોબાઇલ સ્ક્રોલિંગ, કમાણીથી વધુ ખર્ચ, ક્ષમતા કરતાં વધુ દેવું કરવું અને તે ન ચૂકવી શકવાથી માનસિક દબાણ વધે છે. મોડી રાત્રે સૂવું અને સવારે વહેલા ઊઠવાથી ઊંઘ પૂરી થતી નથી અને તેનો પ્રભાવ માનસિક રીતે પડે છે. કરિયરમાં પ્રમોશનને લઈને અસંતોષ, કામનો બોજ, નજીકના વ્યક્તિ પાસેથી ભાવનાત્મક સપોર્ટ ન મળવો, જેને મનની વાત કહી શકાય તેવી વ્યક્તિ ન મળવી આ બધી બાબતો ચીડિયાપણુ અને ગુસ્સો વધારે છે.
ખાણીપીણી બદલો
બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર ત્રણે વસ્તુ યોગ્ય સમયે થવી જોઈએ. સિઝનલ ફળો, શાકભાજી અને ઍન્ટિઓક્સિડન્ટ યુક્ત વસ્તુઓ વધુ ખાવ. વિટામિન બી, બી૧૨ યુક્ત વસ્તુઓનો વધુ પ્રયોગ કરો. લાંબા સમય સુધી ભૂખ્યા ન રહો અને ખૂબ પાણી પીવો.