“હે હરિ ! પરમ કૃપાળુ પરમાત્મા, તમારા ચરણમાં સાક્ષાત્ દંડવત પ્રણામ કરું છું. જળ, પ્રવાસ, પગે ચાલતાં કે રથમાં ફરું ત્યારે તમે મારું રક્ષણ કરો. જીવનના માર્ગમાં પડતી મુશ્કેલીઓમાં આપ મને અહર્નિશ મદદ કરો. હે ભગવાન ! તમારા દર્શન કરું એવી મને શક્તિ આપો. મુશ્કેલીઓમાં મારો માર્ગ મોકળો કરજો.”
વિશ્વરૂપકહે, “હે દેવતાઓ ! કૌશિક બ્રાહ્મણે નારાયણ કવચનો પાઠ કર્યો તેથી ચિત્રરથનું વિમાન તેની પાસે આવ્યું. વાલખિલ્ય ઋષિના વચનથી બ્રાહ્મણ કૌશિકનાં હાડકાં સરસ્વતીમાં પધરાવ્યાં અને કૌશિક બ્રાહ્મણનો ઉદ્ધાર થયો. હે દેવ ! વિષમ પરિસ્થિતિમાં નારાયણ કવચનો પાઠ કરવાથી સર્વ ભયથી મુક્ત થવાય છે. ઇશ્વરની કૃપા થાય છે. નિ:સ્વાર્થ ભાવે મંત્ર જાપ કરવો. મંત્ર શક્તિ કામ આવે છે.” હે પરીક્ષિત ! વિશ્વરૂપે તેત્રીસ કરોડ દેવતાને નારાયણ કવચ આપ્યું.”
દેવતાઓએ એક દિવસ ઇન્દ્ર રાજા પાસે જઇ ફરિયાદ કરી કે આપણા ગુરુ વિદ્વાન છે પણ તેનું મોસાળ રાક્ષસ કુળ છે.ગુરુને મોસાળ તરફ પક્ષપાત છે. તે દાનના પચાસ ટકા મોસાળ પક્ષને આપી દે છે. ઇન્દ્રે દેવતાઓને કહ્યું,” હું પ્રત્યક્ષ જોઉં તો સાચું.” ઇન્દ્ર રાજાએ યજ્ઞ કર્યો. દાનમાં સોનાનાં વાસણો, રત્નો વગેરે વિશ્વરૂપને દાનના રૂપમાં આપ્યું. વિશ્વરૂપે તેમાંથી તમામ અર્ધું મોસાળમાં મોકલ્યું. તરત જ ઇન્દ્રે ખડ્ગ કાઢી વિશ્વરૂપને મારી નાખ્યો.
ઇન્દ્ર પાસે એક પ્રતિહારી આવ્યો. ઇન્દ્રને કહે,“એક લોહી નીંગળતી સ્ત્રી આપને મળવા માગે છે.”ઇન્દ્રે કહ્યું,“તેને અંદર મોકલ.” સ્ત્રી અંદર આવી. ઇન્દ્રે પૂછ્યું,“કોણ છો?” “બ્રહ્મહત્યા છું.સ્વીકાર કરો.” ઇન્દ્રે બ્રહ્મહત્યાના ચાર ભાગ કર્યા. એક ભાગ લઇ પૃથ્વી પાસે ગયા. પૃથ્વીને કહ્યું,“આ મારા પાપનો એક ભાગ સ્વીકારો.”પૃથ્વીએ ના પાડી. ઇન્દ્રે કહ્યું,“મારા પાપનો સ્વીકાર કરશો તો તમારા પર પડેલા ખાડા તરત પુરાઇ જશે. ક્ષમાનો ગુણ મળશે.” પૃથ્વીએ પાપનો ચોથો ભાગ સ્વીકારી લીધો. બીજો ભાગ લઇ ઇન્દ્ર વૃક્ષ પાસે ગયા. વૃક્ષે ના પાડી. ઇન્દ્રે આજીજીપૂર્વક કહ્યું“ મૂળ ન કાપીએ ત્યાં સુધી તમારો વિકાસ થશે, ” વૃક્ષે બ્રહ્મહત્યાનો બીજો ભાગ સ્વીકારી લીધો.
ત્રીજો ભાગ લઇ ઇન્દ્રે સ્ત્રી તરફ નજર કરી. સ્ત્રીએ પણ ના પાડી. સ્ત્રીને વરદાન આપ્યું કે,“સગર્ભાવસ્થામાં સાત માસ સુધી ગૃહસ્થાશ્રમ ભોગવાશે. ત્રણ દિવસ અસ્પૃશ્ય રહી પાંચમે દિવસે દેવસેવાના અધિકારી થશો.” ત્રીજા ભાગનો સ્ત્રીએ સ્વીકાર કર્યો. ચોથો ભાગ લઇ ઇન્દ્ર પાણી પાસે ગયા. પાણીને આ બ્રહ્મહત્યાનો ચોથો ભાગ સ્વીકારી લેવા ખૂબ વિનંતી કરી. પણ પાણીએ પણ સ્વીકારવાની ના પાડી.“તમે અશુદ્ધિઓ પચાવી શકશો.” જળમાં મળ નહીં રહે, ધોવાઇ જશે.” પાણીએ ઇન્દ્ર પાસેથી બ્રહ્મહત્યાનો ચોથો ભાગ સ્વીકારી લીધો.”•