આજે અમદાવાદ શહેરને 609 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે એટલે કે 6 સદીથી પણ જૂનો અમદાવાદનો ઈતિહાસ છે. પરંતુ શું તમે જાણો છો કે અમદાવાદની સ્થાપના ક્યારે થઈ અને સાથે જ તમે જે જાણીતા વિસ્તારોમાં રહો છો તેના નામ કેવી રીતે પડ્યા. તો જાણો આ ખાસ ઈતિહાસ અને સંકળાયેલી રોચક વાતો. અમદાવાદની સ્થાપના 26 ફેબ્રુઆરી 1411ના રોજ થઈ હતી. બાદશાહ અહમદ શાહે તેની સ્થાપના માણેક બુર્જ પાસે કરી હતી.
અમદાવાદને 609 વર્ષ પૂરા થયા
બાદશાહ અહમદ શાહે તેની સ્થાપના કરી હતી
દરેક વિસ્તારના નામ પાછળ છે ખાસ રોચક વાત
આ રીતે પડ્યું કર્ણાવતી અને અમદાવાદ નામ
અમદાવાદની આસપાસનો વિસ્તાર 11મી સદીથી વસવાટ ધરાવે છે. આ વિસ્તાર આશાવલ કે આશાવલ્લીના નામે ઓળખાતો હતો. ત્યારબાદ સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા સામે યુદ્ધ જાહેર કર્યું અને તેનું નામ કર્ણાવતી રાખ્યું. ગુજરાત સલ્તનત બની અને સાથે જ સુલતાન અહમદશાહે અહમદાવાદ નામ રાખ્યું અને પછી તે અપભ્રંશ થઈને અમદાવાદના નામે જાણીતું બન્યું.
શાહીબાગ
શહેનશાહ શાહજહાંએ 1630મા દુકાળમાં રાહત માટે આ વિસ્તાર બનાવ્યો હતો. અહીં રાજાઓ માટે મહેલ હતો અને તેમાં એક બગીચો હતો. તેનું નામ શાહીબાગ હતું. પ્રવેશદ્વાર નીચો હોવાથી રાજા તેનો ઉપયોગ કરી શક્યા નહીં. રાજા નારાજ થઈને ચાલ્યા ગયા અને સત્તા બદલાઈ ગઈ. શાહજહાંનો પુત્ર ઔરંગઝેબ સત્તા પર આવ્યો. આ સમયે તેનું નામ શાહીબાગ રખાયું.
મીઠાખળી
પહેલાં આ વિસ્તાર ચંગીઝપુર તરીકે જાણીતો હતો. મહેમૂદના ગુલામ ચંગીઝપુરે બનાવ્યું હતું. અહીં મીઠું ખૂબ જ પ્રમાણમાં મળતું હતું અને સાથે જ અહીં મીઠાના ખળા પુષ્કળ પ્રમાણમાં હતા. તેથી આ વિસ્તાર મીઠાખળી તરીકે જાણીતો બન્યો.
કોચરબ- પાલડી
દેવી કોચ્ચરવાના નામ પરથી કોચરબ નામ રાખવામાં આવ્યું હતું. કરણદેવ સોલંકીએ આ વિસ્તારની સ્થાપના કરી હતી. આજે આ વિસ્તાર ગાંધી આશ્રમના નામે ઓળખાય છે. ગાંધીજીએ 25 મે 1915ના રોજ તેની સ્થાપના કરી હતી.
સી.જી. રોડ
શોપિંગ માટે જાણીતું સી.જી. રોડનું નામ 1960માં અગ્રણી ઉદ્યોગપતિ ચીમનલાલ ગિરધરલાલના નામ પરથી પાડવામાં આવ્યું છે. પાલડી અને નવરંગપુરાને આ રસ્તો જોડે છે.
આંબાવાડી
પહેલાંના સમયમાં આ વિસ્તારમાં આંબાના અનેક વૃક્ષ હતા. તેથી તે આંબાવાડીના નામે જાણીતું બન્યું. હાલમાં અહીં કોઈ આંબા રહ્યા નથી. પરંતુ પહેલાંથી આ નામે આ વિસ્તાર જાણીતો બની ચૂક્યો છે.
સેટેલાઈટ
ખરા અર્થમાં જોઈએ તો આ વિસ્તારમાં ISROની સ્થાપના થતા તેનું નામ સેટેલાઈટ રાખવામાં આવ્યું હતું.
આસ્ટોડિયા
માન્યતા છે કે આ વિસ્તારમાં અસોરિયમ નામનું સબર્બ હતું. જેના કારણે અહીંના દરવાજાનું નામ આસ્ટોડિયા દરવાજા રાખવામાં આવ્યું.
ઢાલગરવાડ
ખરીદી માટે ખાસ ગણાતી આ જગ્યામાં પહેલાં ઢાલ બનાવનારા લોકો રહેતા. જેના કારણે તેનું નામ ઢાલગરવાડ રાખી લેવામાં આવ્યું હતું. આજે અહીં મોટું લોકલ માર્કેટ છે.
કાંકરિયા
કાંકરિયા એટલે કે કાંકરાવાળી જગ્યા. સુલતાન કુતુબુદ્દીન તેના સાવકા ભાઈ ફતેહખાનને મારવા માંગતો હતો. આ સમયે સુલતાને નગીનાવાડીનું બાંધકામ શરૂ કર્યું. તેને હતું કે ફતેહખાન આવશે અને કેદ કરી લેશે. શાહઆલમ આંટો મારવા આવ્યા અને તેમને પગમાં કાંટો વાગ્યો અને તેઓ બોલ્યા કેવો કાંકરો છે. આ દિવસથી આ વિસ્તાર કાંકરિયા તરીકે ઓળખાયો.
મણિનગર
એક સમયે સૌથી વધારે બાગ આ વિસ્તારમાં હતા. શેઠ મણિલાલ રણછોડલાલની યાદમાં તેની સ્થાપના કરવામાં આવી હતી. આ વિસ્તારને માણેકલાલ મણિલાલ અને છોટાલાલ કેશવલાલ દ્વારા બનાવવામાં આવ્યો હતો.
શહેરમાં વસતી ન હતી ત્યારે સુલતાનના અધિકારીઓ મહેલ અને ઘર બાંધવા જગ્યા આપતા. તેને પુરા કે પુર કહેવાતા. પહેલાંના સમયમાં 360થી 380 પુરા હતા. ત્યારથી અનેક વિસ્તારના નામમાં પુરા અથવા પુર લગાવવામાં આવે છે.
કાળુપુર
અહીં અમદાવાદનું મોટું રેલવે સ્ટેશન છે. આ વિસ્તારને અમીર અબા હાજી કાળુના નામ પરથી વિકસિત કરાયો અને કાળુપુર નામ આપવામાં આવ્યું.
નવરંગપુરા
ઔરંગઝેબના સૂબા નવરંગમિયાના નામ પરથી નામ પડ્યું છે નવરંગપુરા. અંદાજે 240 વર્ષ પહેલાં આ વિસ્તારની સ્થાપના થઈ હતી.
ઉસ્માનપુરા
આ વિસ્તાર કુતુબી આલમના વારસદાર સૈયદ ઉસ્માન દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી. ઘી અને ભારતીય ઔષધના વેપાર માટે જાણીતો વિસ્તાર હતો.
સરસપુર
પહેલાંના સમયમાં અમદાવાદનું સૌથી મોટું સબર્બ હતું. આ વિસ્તારનો કિલ્લો 1848માં સ્થપાયો. તે સારો દેખાતો હતો. જેના કારણે તેનું નામ સરસપુર રાખવામાં આવ્યું હતું.
શાહપુર
ઔરંગઝેબના શાસનકાળમાં તેના વજીર કાઝી ખ્વાજા અબ્દુલ્લાએ તેને કાઝીપુર નામ આપ્યું. સમય સાથે નામ બદલાઈને શાહપુર થયું.
જુહાપુરા
ખૂબ જ ધનિક જુહાજી ઠાકોરના નામ પરથી પડ્યું હતું જુહાપુરા નામ. તેમની પાસે ખેતી લાયક જમીન પુષ્કળ પ્રમાણમાં હતી અને તેથી તેઓએ પોતાના નામ પરથી વિસ્તારને જુહાપુરા તરીકે વિકસાવ્યું.