અમરનાથજીની યાત્રાનો સમય મર્યાદિત છે. પરંતુ વૈષ્ણોદેવી વર્ષ દરમિયાન ગમે તે સમયે જઈ શકાય છે. અહીં જ શિવજીનું એક અનોખું અદ્ભુત સ્થાન આવેલું છે તે શિવખોડી. એકવાર શ્રદ્ધાળુ શિવખોડીનાં દર્શન કરે છે પછી તેના મન પર એક અનોખી છાપ પડી જાય છે.
પૌરાણિક કથા અનુસાર પ્રભુ આશુતોષ શિવજી કૈલાસ પર સમાધિલીન હતા. તેમણે જ્યારે સમાધિમાંથી આંખો ખોલી ત્યારે ભસ્માસુરને તપ કરતાં જોયો. ભસ્માસુરને તપસ્યા કરતો જોઈ શિવજીએ તેની ઈચ્છા અનુસાર વરદાન આપ્યું. ભસ્માસુરનું એ વરદાન હતું કે તે જેના શિરે પર હાથ મૂકે તે બળીને ભસ્મીભૂત થઈ જાય.મહાદેવનું આ વરદાન પામીને ભસ્માસુર શકિશાળી થઈ ગયો. તેના મનમાં ત્રણે લોકના સ્વામી બનવાની ઈચ્છા જાગી.
બન્યું એવું કે એકવાર કૈલાસ જતા શિવ પાર્વતી વિશ્રામ કરવા એક જગ્યાએ રોકાઈ ગયા. તે જગ્યાએ અચાનક ભસ્માસુર ત્યાં આવી ચઢ્યો. આ સ્થળે શિવજી અને ભસ્માસુર વચ્ચે ઘમસાણ યુદ્ધ ચાલુ થઈ ગયું. તેથી આ સ્થળ આજે ‘રંશુ’ [રણકસુ] ના નામે ઓળખાય છે. રણ એટલે યુદ્ધ અને સુ એટલે સ્થાન. આમ આ સ્થળ રણ-સુના નામે ઓળખાયું. કાળાંતરે તે રંશુ નામે ઓળખાવા લાગ્યું.
પોતાનાં વરદાનની મર્યાદા જાળવવા શિવજીએ યુદ્ધક્ષેત્ર છોડી ભાગવાનું ઉચિત માન્યું. તેમણે પોતાનું ત્રિશૂળ ફેંક્યું અને પાર્વતીજીને લઈને નંદિ પર સવાર થઈને ત્રિશૂળની પાછળ ચાલવા લાગ્યા. આ ત્રિશૂળ એક પહાડમાં જે સ્થાને ટકરાયું ત્યાં વિશાળ ગુફા બની ગઈ. ભોલેબાબા અને પાર્વતીજી ગુફામાં ચાલ્યાં ગયાં તેમની માયાવી શક્તિથી ગુફાનું દ્વાર બંધ થઈ ગયું. ગુફાનું દ્વાર બંધ હોવાને કારણે પીછો કરતાં ભસ્માસુરને ગુફાના દ્વારથી પાછા ફરવું પડ્યું. અહીં ભોલેબાબા સમાધિ લગાવી બેસી ગયા. ત્યારથી આ સ્થાન શિવખોડીના નામે ઓળખાયું.
શિવખોડી એટલે શિવની ગુફા. ઉધમપુર જિલ્લાના રિઈસુ તાલુકાના રંશુ ગામે આવેલી શિવખોડી કટરાથી ૮૦ કિ.મી. દૂર છે. અહીં બસ અથવા મોટર દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. શિવખોડીની ગુફા સુધી પહોંચવા લગભગ ચાર કિ.મી. જેટલું ચઢાણ ચઢવું પડે છે. જોકે હવે તો ડોલી અને ઘોડાની સગવડ પણ થઈ છે. શિવખોડી સ્થાનક પર પહોંચતાં સામે એક ગુફાનાં દર્શન થાય છે. ગુફા સુધી પહોંચવા ૬૦ પગથિયાં ચઢવાં પડે છે.
ગુફાનું પ્રવેશદ્વાર ૧૫ ફૂટ પહોળું અને ૨૦ ફૂટ ઊંચું છે. ગુફાની અંદર પ્રવેશવા માટે અંદર ખૂબ સાંકડા રસ્તામાંથી પસાર થવું પડે છે. અંદર ખૂબ અંધારું હોય છે તેથી ટોર્ચ સાથે રાખવી જરૂરી છે. તેમાં ક્યારેક બેસીને તો ક્યારેક વાંકા વળીને તો વળી ક્યારેક આડાઅવળા થઈને પસાર થવું પડે છે. ચમત્કારી વાત તો એ છે કે રસ્તો ગમે તેટલો સાંકડો રસ્તો હોય પણ જાડી વ્યક્તિ પણ પસાર થઈ શકે છે. ત્યારબાદ છ પગથિયાં ચઢી સામે જ ભગવાન આશુતોષ ઓધડદાની બાબા શિવના શિવલિંગનાં દર્શન થાય છે. શિવલિંગની બરોબર ઉપર કામધેનુ ગાયની આકૃતિ બનાવી છે જેનાં આંચળમાંથી શિવલિંગ પર સતત જળ ટપકતું રહે છે. શિવલિંગની બાજુમાં પિંડ સ્વરૂપે પાર્વતીજી બિરાજ્યાં છે. સાથે સાથે કાર્તિકજી અને પંચમુખી ગણપતિજી પણ બિરાજ્યા છે. ગુફાની છત કુદરતી પથ્થરોની બનેલી છે અને એની ઉપર કુદરતી રીતે કંડારાયેલા ૐ, ત્રિશૂળ, શેષનાગ સાથે સંપૂર્ણ દરબાર સ્પષ્ટ નજરે પડે છે. ગુફાની એક તરફ મહાકાળી મા.સરસ્વતી મા બિરાજમાન છે. અહીં પાંચ પાંડવોના પિંડ પણ છે. જમણી તરફ ગૌરીકુંડ, ગૌરી ગણેશ તેમ જ લક્ષ્મી નારાયણ બિરાજમાન છે. અહીંથી ગુફાનો રસ્તો સીધો અમરનાથ સુધી પહોંચે છે, પરંતુ આ માર્ગ બંધ રાખવામાં આવ્યો છે.•