આવતીકાલે દેશમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ધામ ધૂમથી ઉજવાશે. ગણેશ ચતુર્થી હોય એટલે ચુરમાના લાડુ તો બને જ. ગણેશજીનો આ પ્રિય પ્રસાદ છે. કેટલાક લોકો ખાંડથી લાડુ બનાવે છે અને કેટલાક લોકો ગોળથી. આ દિવસે ચુરમાના પરંપરાગત લાડુ બનાવવાની ખાસ પરંપરા છે. જો તમે યોગ્ય માપથી લાડુ બનાવો છો તો તે ખૂબ જ સરસ બને છે. તો જાણી લો સાચું માપ અને બનાવી લો ગણેશજી માટે આ ખાસ પ્રસાદ ઘરે જ.
ચુરમાના લાડુ
સામગ્રી
૧ કિલો ઘઉં નો જાડો લોટ
૫૦૦ ગ્રામ દેશી ઘી
૨૫૦ ગ્રામ ગોળ
કાજુ, બદામ, ઈલાયચી, કિસમિસ
તળવા માટે તેલ અથવા ઘી
ખસખસ
આ રીતે બનાવી લો લાડુ
સૌ પ્રથમ ઘઉંના જાડા લોટમાં મુઠી પડતું ઘીનું મોણ નાખી સહેજ હુંફાળા પાણીથી કઠણ લોટ બાંધો. પછી તેના મુઠીયા વાળો. મુઠીયા દબાવીને વળી શકાય એવો કઠણ લોટ બાંધવો. પછી મુઠીયા તળવા માટે ઘી અથવા તેલ મૂકવું. એકદમ ધીમા તાપે મુઠીયા તળવા જેથી અંદર કાચા ના રહે. બધા મુઠીયા તળાયા પછી ઠંડા કરી મિક્સરમાં પીસી (દરદરા) લેવા. મુઠીયા પીસતી વખતે છેલ્લે તેમાં થોડી ઈલાયચી પણ સાથે પીસી લેવી. ત્યારબાદ તૈયાર થયેલા ભુકામાં કાજુ, બદામ, કિસમિસના ટુકડા ભેળવી તૈયાર કરવું. ત્યારબાદ એક કઢાઈમાં ઘી ગરમ મૂકવું. તેમાં ગોળનો ચૂરો કરી નાખવો અને હલાવવું. જયારે ગોળ બધો ઓગળી જાય અને ફૂલીને ઉપર આવી જાય ત્યારે તરત જ ગોળ ઘીનું મિશ્રણ મુઠીયાના ભુકામાં રેડી દેવું. હવે તવેથાથી બરાબર હલાવી ભેળવી દેવું. થોડું ઠંડુ થાય એટલે માપસરના લાડુ વાળી લેવા અને ઉપર ખસખસ લગાવતા જવું. આ રીતે તૈયાર થઈ જશે તમારા ચુરમાના લાડુ.