ગુજરાતમાં આવેલું ડાકોરનું મંદિર તેના નામથી જ જાણીતું છે. તેને કોઈ અન્ય ઓળખની જરૂર નથી. પરંતુ આજે વાત કરીશું અહીં ભગવાન રણછોડરાયજીને ધરાવવામાં આવતા ભોગ પ્રસાદની. રણછોડરાયજીના પ્રસાદને લઇને પણ સચોટ માન્યતા છે. મંદિરમાં શ્રીજીના પ્રસાદરૂપે વહેંચાતા લાડુ એક બે મહિના નહીં પરંતુ વર્ષ ભર તાજા જ રહે છે. ભગવાન સમક્ષ ધરાવવામાં આવતા આ લાડુનો એક વર્ષ બાદ પણ એ જ સ્વાદ રહે છે. ડાકોર ધામમાં આ લાડુ છેલ્લા 276 વર્ષથી પરંપરાગત રીતે જ તૈયાર કરવામાં આવે છે.
276 વર્ષથી પરંપરાગત રીતે જ તૈયાર થાય છે પ્રસાદ
ચાંદીના બંટામાં ધરાવાય છે શ્રીજીને પ્રસાદ
પ્રસાદના લાડુ દોઢ વર્ષ સુધી બગડતા નથી
પ્રસાદના લાડુની ખાસ વિશેષતા એ છે કે પ્રત્યેક લાડુ તૈયાર થયા બાદ તેને શ્રીજી સન્મુખ ધરાવવામાં આવે છે. ચાંદીના બંટામાં શ્રીજીને લાડુ અર્પણ કરવાની સાથે સાથે પિત્તળના મસમોટા તપેલામાં પણ લાડુ ધરાવી બાદમાં આ લાડુને પેક કરવામાં આવે છે. આ લાડુ એક વર્ષ બાદ પણ તાજો જ રહે છે. જેને શ્રધ્ધાળુઓ શ્રીજીનું સત્ કહે છે. ડાકોરના શ્રી રણછોડરાયજીના પ્રસાદના લાડુ પણ એકથી દોઢ વર્ષ સુધી એવા ને એવા જ રહે છે.
લાડુ બનાવવા માટે ખાસ સામગ્રી લાવવામાં આવે છે
ડાકોર મંદિરમાં ફાગણી પૂનમના પર્વ દરમિયાન ત્રણ જ દિવસમાં 3 લાખથી વધુ લાડુનું વેચાણ થાય છે, જ્યારે સામાન્ય દિવસોમાં 20 થી 25 હજાર લાડુનું સરેરાશ વેચાણ થાય છે. ડાકોરમાં બનતાં પ્રસાદીમાં વપરાતી તમામ સામગ્રી વર્ષોથી ચોક્કસ જગ્યાએથી જ લાવવામાં આવે છે. જેમાં લાડુ માટેનું ઘી કાઠિયાવાડથી - વેરાવળથી આવે છે. આ ઘી વલોણાનું જ હોય છે. લાડુમાં વપરાતા ઘઉં પણ ચોક્કસ જગ્યાએથી જ મંગાવવામાં આવે છે.
જાણો કેવી રીતે બને છે પ્રસાદના આ ખાસ લાડુ?
ઘઉંને આખી રાત પલાળ્યા બાદ તેને સુકવવામાં આવે છે, બાદમાં તેને દળવામાં આવે છે. આ લોટમાં દળેલી ખાંડ, ઘી, એલચી પાવડર, બરાસા સહિતના દ્રવ્યોનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. આ મિશ્રણમાંથી હાથેથી લાડુ બનાવવામાં આવે છે. હાથેથી જ બનતા આ દરેક લાડુ આશરે 45થી 55 ગ્રામ વજનના હોય છે.
લાડુ તૈયાર કરવાની પરંપરા
મંદિરમાં તૈયાર થતાં લાડુની પરંપરા પણ ખાસ છે. લાડુ તૈયાર થતાં હોય ત્યારે બહારની કોઇ જ વ્યક્તિને ત્યાં પ્રવેશ આપવામાં આવતો નથી. લાડુ તૈયાર થયા બાદ પણ કોઇની દ્રષ્ટિ તેની ઉપર ન પડે તે રીતે જ તેને નિજ મંદિરમાં લઇ જઇને શ્રીજીને ધરાવવામાં આવે છે.