વિદ્યા, સંગીતનાં અધિષ્ઠાત્રાં દેવી છે મા સરસ્વતી. સરસ્વતી માતા વાણીનાં પણ દેવી છે. તેથી વાણીને સંસ્કૃતમાં વાક્ કહેવાય છે. વાક્નું અપભ્રંશ વાઘ થઇ જતાં આસો વદ બારશને વાઘ બારશ કહેવાય છે. વાઘ બારશે મા સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે.
આજે વાઘબારસનો પવિત્ર તહેવાર
દિવાળીના તહેવારોમાંનો ખાસ તહેવાર
મા સરસ્વતીની પૂજાથી મળે છે અપાર લાભ
મોરના દર્શનનો આજે છે ખાસ મહિમા
મા સરસ્વતીનું પૂજન કરવાથી જીવનની જડતા દૂર થાય છે
સરસ્વતી પૂજન કરવાથી વિદ્યાર્થી તથા વેપારીઓ કે જે ચોપડા લખે છે તે સરસ્વતી માની કૃપાથી મનની શુદ્ધ થાય છે. મા સરસ્વતી હંમેશાં સફેદ વસ્ત્ર ધારણ કરે છે. તેથી આ દિવસે સરસ્વતીના ઉપાસકે મન, વચન, કર્મથી સફેદ રહેવું જોઇએ. તેમનો હાથ વીણાના વરદંડથી શોભે છે. વીણા સંગીતનું પ્રતીક છે. સંગીત એક ઉત્તમ કળા છે. મા સરસ્વતી શ્વેત પદ્મનાં આસન પર બિરાજે છે. બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ જે અયોનિજન્મા છે તે ત્રિદેવ પણ મા સરસ્વતીને હર હંમેશાં વંદન કરે છે. મા સરસ્વતીનું વાઘ બારશે પૂજન કરવાથી તે જે તે ભક્તના જીવનની જડતા દૂર કરે છે.
મોર મા સરસ્વતીનું પ્રિય વાહન છે, તેના દર્શન આ દિવસે શુભ ગણાય છે
વાઘ બારશે જો કોઇ ભક્તને મોરનાં દર્શન થાય તો તે ભક્ત મા સરસ્વતીનો પ્રિય ભક્ત બને છે. કારણ કે મોર મા સરસ્વતીનું પ્રિય વાહન છે. જે કોઇ વાઘ બારશે મોરનાં દર્શન કરે તે ભક્તે મા સરસ્વતીનાં સાક્ષાત દર્શન કર્યાં છે તેમ માનવામાં આવે છે. જે કોઇ મનુષ્ય વાઘ બારશે મા સરસ્વતીનું પૂજન કરે છે તે મનુષ્યમાં ૧૪ વિદ્યા તથા ૬૪ કળાનો ધીમે ધીમે સંચાર શરૂ થાય છે. તેનું જીવન દિવ્ય તથા સર્વ ગુણ સંપન્ન બનતું જાય છે. કારણ મા સરસ્વતી દિવ્યતા અને ગુણના પણ અધિષ્ઠાત્રાં દેવી છે. ઘણાં મનુષ્યો વાઘ બારશે મા સરસ્વતીનું ષોડ્શોપચાર પૂજન કરતા જોવા મળે છે. આ છે વાઘ બારશને દિવ્યતા. વાઘ બારશે મા સરસ્વતીની ઉપાસના પ્રાચીન કાળથી થતી જોવા મળે છે. વાઘ બારશ એ દીપાવલિના દિવસોમાં બીજો દિવસ છે. દીપાવલિના દિવસો રમા એકાદશીથી શરૂ થાય છે. રમા એકાદશી પછી વાઘ બારશ, પછી ધન તેરસ, પછી કાળી ચૌદશ તે પછી દિવાળી અને તે પછી નૂતનવર્ષ અને ભાઇબીજ.
આ છે મહત્વ અને પ્રાચીન વાતો
મા સરસ્વતી પહેલાં નદી તરીકે પૂજાતાં હતાં. તે પછી આપણો સમાજ નદીને લોકમાતા કહેતો હોવાથી મા સરસ્વતી નદીને માતા તરીકે પૂજતો થઇ ગયો છે. વાઘ બારશે ભારતના ઘણા વેપારી સિદ્ધપુરની સરસ્વતી નદીના તટે જઇને મા સરસ્વતીનું પૂજન કરે છે. કારણ કે વાઘ બારશનું સાચું મહત્ત્વ મા સરસ્વતીનું પૂજન નહીં તો બીજું શું છે ? હવે તો વાઘ બારશના દિવસે જૈનો તથા બૌદ્ધો પણ મા સરસ્વતીનું પૂજન કરતા જોવા મળે છે. જૈનોએ મા સરસ્વતીને શ્રુત દેવતાઓમાં તથા વિદ્યાદેવી તરીકેનું સર્વોચ્ચ સ્થાન આપ્યું છે. બૌદ્ધોએ તેમને બોધિસત્વ તથા મંજુશ્રીની શકિત ગણાવ્યા છે. વાઘ બારશના દિવસે પાટણની રાણકી વાવમાં આવેલી મા સરસ્વતીની મૂર્તિની પૂજા થાય છે. જ્યાં જ્યાં માતા સરસ્વતીનું મંદિર છે ત્યાં ત્યાં તેમનું પૂજન થાય છે. દિવાળીના દિવસોમાં વાઘ બારશનું સ્થાન ભલે લોકોમાં પ્રિય ન હોય પરંતુ વેપારીઓ તથા વિર્દ્યાથીઓ અને સંગીત તથા કળાના પ્રેમીઓમાં તેમનું સ્થાન તો અવિચળ તથા દિવ્ય છે તેમાં કોઇ જ સંદેહ નથી.