માગશર સુદ અગિયારશનું નામ જ મોક્ષદા એકાદશી છે. આ એકાદશી સર્વ પાપને હરનારી તથા ઉત્તમ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની ચંદન તથા પીળાં પુષ્પથી પૂજન કરવું. તેમની સમક્ષ નૃત્ય કરવું. મંગળ ગીતો ગાવા. આ અગિયારશની કથા સાંભળવા માત્રથી જ વાજપેય યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. માતા, પિતા કે બાંધવ જો કોઇ કર્મને કારણે નરકમાં પડ્યાં હોય તો આ એકાદશીના પ્રભાવથી તે સ્વર્ગમાં જાય છે.
આજે મોક્ષદા એકાદશી
આ વિધિથી કરો મોક્ષદા એકાદશીનું વ્રત
રાજાએ પણ કર્યું હતું મોક્ષદા એકાદશીનું વ્રત
જોડાયેલી છે આ કથા
પહેલાના સમયમાં ગોકુળ નામના શહેરમાં વૈખાનસ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેના નગરમાં પુષ્કળ બ્રાહ્મણો વસતા હતા. રાજા પ્રજાનું પુત્રવત્ પાલન કરતો હતો. બ્રાહ્મણો ચારેય વેદમાં પારંગત હતા. એક વખત રાત્રે રાજાને સ્વપ્નું આવ્યું કે તેના પિતા નરકમાં પડ્યા હતા. તેથી રાજાને બહુ આશ્ચર્ય થયું. તેથી બીજા દિવસે તેણે સભા ભરી બ્રાહ્મણોને તે સ્વપ્ન વિશે કહ્યું કે ‘હે વિપ્રો, કાલે રાત્રે મને સ્વપ્ન આવ્યું. તેમાં મારા પિતા મને નરકમાં પહેલા દેખાયા. તે મને કહેતા હતા કે હે પુત્ર તું મારો ઉદ્ધાર કર. ત્યારથી મારાં સુખ ચેન ચાલ્યા ગયાં છે. હવે આપ જ મને આનો કોઇ યોગ્ય ઉપાય બતાવો.’ બ્રાહ્મણોએ તેને કહ્યું કે, ‘હે રાજન, અહીં નજીકના જંગલમાં જ પર્વત મુનિનો આશ્રમ છે. તે મુનિ ત્રિકાળજ્ઞાની છે. તેમની પાસે તમે જાવ અને તમારા સ્વપ્ન વાત કરો. તે અવશ્ય તેનો ઉપાય બતાવશે.’ આથી પિતાની અવગતિ જોઇ ખિન્ન થયેલા મનવાળો રાજા પ્રજાની સાથે પર્વત મુનિના આશ્રમે ગયો. તે આશ્રમ ઘણો મોટો હતો. તેમાં અનેક ઋષિ મુનિ રહેતા હતા. રાજા ત્યાં પહોંચ્યા તેણે પર્વત મુનિને જોયા તેમના તેજની આભા જોઇ તે તેમના પગમાં પડી ગયો અને સઘળી વાત કરી. રાજાની વાત સાંભળી પર્વત મુનિએ ખૂબ વિચાર કરીને રાજાને માગશર સુદ અગિયારશ કે જે મોક્ષદા એકાદશી કહેવાય છે તે કરવાનું કહ્યું રાજાને તેવી વિધિ કહી.
રાજાએ પણ કર્યું હતું મોક્ષદા એકાદશીનું વ્રત
મુનિની વાતથી ખૂબ શાંતિ અનુભવતો રાજા પ્રધાનો તથા પ્રજા સાથે પોતાના રાજ્યમાં પાછો આવ્યો. જ્યારે માગશર સુદ અગિયારશ આવી ત્યારે રાજાએ મુનિના કહેવા મુજબ અગિયારશનું વ્રત કર્યું. પ્રધાનો તથા પ્રજાએ પણ ખૂબ શ્રદ્ધાથી તે વ્રત કર્યું. આ પછી બારશના પ્રદોષ ટાણે પંડિતોની હાજરીમાં રાજાએ તે અગિયારશનું સઘળું પુણ્ય પોતાના પિતાને અર્પણ કર્યું. જેના પુણ્ય પ્રતાપે તેજ વખતે રાજાના પિતાનો મોક્ષ થયો.
આ વિધિથી કરો મોક્ષદા એકાદશીનું વ્રત
દશમના દિવસે બપોર પછી કાંઇ જમવું નહીં. રાત્રે બહુ ભૂખ લાગે તો જ ફળાહાર કે દૂધ લેવું. એકાદશીના દિવસે પ્રાતઃકાળ ઊઠી પ્રાતઃકર્મો પતાવી દેવસેવા અને વિષ્ણુસેવા કરી લેવી. ધૂપ દીપ સહિત એક વિષ્ણુસહસ્ત્રનો પાઠ કરવો. તે પછી તાંબાનો એક લોટો લેવો. તેમાં જળ તથા ચોખા અને ચંદન પધરાવી તે જળ સહિતનો લોટો લઇ નજીકના પીપળે જઇ ત્રણ, પાંચ કે સાત પ્રદક્ષિણા સહિત તે જવ પીપળે ચડાવવું. શકય હોય તો ત્યાં એક વિષ્ણુસહસ્ત્રનો પાઠ કરવો તે પછી ઘેર આવી નિત્યકર્મ કરવા. બપોરે પણ કાંઇ ખાવું નહીં. ભૂખ લાગે તો જ દૂધ લેવું. ફળાહાર લઇ શકાય. પણ તે પેટ ભરીને નહીં. માત્ર થોડો આધાર જેટલો લેવા. સાંજે ભગવાન આગમ વિષ્ણુસહસ્ત્રનો પાઠ કરવો. આખો દિવસ ઓમ નમો ભગવતે વાસુદેવાયના જાપ જપવા. અડધી રાત સુધી જાગરણ કરવું. તે પછી કંબલ ઉપર કે જમીન ઉપર રાયન કરવું. બારશ કે તેરશના પ્રદોષ ટાણે બ્રાહ્મણને સીધું આપી પારણાં કરવા. બને તેટલું પવિત્ર જીવન જીવવું બ્રહ્મચર્ય અવશ્ય પાળવું.