ભગવાન વિષ્ણુનું કાર્ય સંસારનું સંચાલન કરવાનું છે. તેથી જ્યારે આસુરી વિચારવૃત્તિ ધરાવતા જીવોથી જ્યારે ધરા થાકી ગઈ ત્યારે સંસારના અન્ય જીવોને બચાવવા માટે અને ધર્મની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ વિવિધ અવતારો લીધા. પરંતુ આ તમામ અવતારોમાં જે બહુમાન ભગવાન વિષ્ણુને નથી મળ્યું તે બહુમાન કેવળ અને કેવળ મનુષ્યવતાર શ્રીકૃષ્ણને જ મળ્યું છે. આથી બીજો પ્રશ્ન એ થાય કે કૃષ્ણ રૂપને, સ્વરૂપને અને કૃષ્ણ અવતારને જ આ બહુમાન શા માટે મળ્યું?
શ્રીકૃષ્ણની લીલાઓ છે અપરંપાર
સાત અવતારો ન કરી શક્યા તે શ્રીકૃષ્ણએ કર્યું
ભગવાન વિષ્ણુ પૂર્ણ પુરુષોત્તમરૂપે વ્રજભૂમિ પર પ્રગટ થયા છે
શ્રીકૃષ્ણએ સમગ્ર સૃષ્ટિના વ્યાપને એની ભવ્યતાને, એનાં માન અને મર્યાદાને, એનાં સુખો અને દુ:ખોને, સાંસારિક જીવનની મહત્તા, મહત્વતા અને એના સંપૂર્ણ રૂપને જેણે નિખાલસપણે સ્વીકારી લીધું છે તે કેવળ શ્રીકૃષ્ણ છે તેથી મનુષ્યોને પોતાની જેમ જ સહજતાથી જીવનની સામે સન્મુખ થયેલા શ્રીકૃષ્ણ પૂર્ણ લાગે છે, તેથી જ સમગ્ર સંસારના ઉધ્ધારના ઉદેશ્યને ધ્યાનમાં રાખીને ભગવાન વિષ્ણુ પૂર્ણ પુરુષોત્તમરૂપે વ્રજભૂમિ પર પ્રગટ થયા છે. પુરાણોએ પણ કહ્યું છે કે ભગવાન કૃષ્ણના અવતાર દ્વારા આપણને માનવરૂપમાં પરમાત્માનો પરિચય થયો છે. જ્ઞાનીઑ અને યોગીઓ સદાયે કહે છે કે આ સૃષ્ટિના કર્તા હર્તા તે નિરાકાર છે અને નિરંજન પ્રેમ તત્વવાળા છે, પરંતુ તે પ્રેમ પણ પ્રભુની માયાનો જ એક ભાગ છે તો પછી એ માયા તત્વવાળા પ્રભુ સૃષ્ટિમાં અવતાર શા માટે લે છે?
સામાન્ય મનુષ્ય એ લૌકિક જનની દ્વારા કર્મબંધનથી જન્મ લે છેઃ વલ્લભાચાર્ય મહાપ્રભુજી
આચાર્યચરણ શ્રી ગોકુલનાથજી કહે છે કે જેમ જ્ઞાની પંડિતો અને વિદ્વાનોની પરીક્ષા જેમ ભાગવતમાં થાય છે તે રીતે પ્રભુની નિરાકાર અને નિરંકુશ શક્તિની પરીક્ષા પણ મનુષ્યવતારરૂપે થાય છે, આથી સૃષ્ટિના પાલનકર્તા પણ મનુષ્યરૂપે અવતાર ધારણ કરીને ભૂમિ પર આવે છે અને મનુષ્યોની જેમ જ ક્રીડા કરી સંસારને ચલાવનાર ધર્મના આત્માને પ્રગટ કરે છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે સામાન્ય મનુષ્ય એ લૌકિક જનની દ્વારા કર્મબંધનથી જન્મ લે છે અને ભગવાન ધર્મને ધારણ કરીને અવતાર લે છે. ઉપનિષદમાં કહ્યું છે કે અવતાર એટલે કે ઊંચા ક્ષેત્રમાંથી નીચે આવતું તે. ભગવાન પોતે પોતાના પૂર્ણત્વ પામેલી નિશ્ચલ સ્થિતિની અંદર નિરાકાર અને નિરંજન રૂપે ઉચ્ચસ્થાને બિરાજમાન રહી ફર્યા કરે છે, પરંતુ એજ નિરાકાર શક્તિ જ્યારે પોતાનું ઉચ્ચ આસન છોડીને જ્યારે પણ ભૂમિ પર અવૃત થાય છે ત્યારે સંસારનાં સમસ્ત ધર્મચક્ર, ઋતુઓ અને સમયના પરિબળનું ખંડન થાય છે અને આ ખંડિત થયેલ ચક્રની અંદર પ્રભુ અવતાર ધારણ કરીને પોતાની લીલાનો પ્રારંભ કરે છે.
આ કારણે શ્રીકૃષ્ણને કહેવાય છે પૂર્ણ પુરુષોત્તમ
વેદોમાં કહ્યું છે કે જ્યારે સંસારમાં રહેલ સચરાચર સૃષ્ટિ પર અનાચાર, અસત્યનો ભાર વધી જાય છે ત્યારે અસુરો અને અધર્મનું પ્રાધાન્ય વધી જાય છે આ સમય દરમ્યાન સચરાચર સૃષ્ટિ પર ભય છવાઈ જતાં સત્ય, સતજનો અને ધર્મના ઉત્કર્ષ માટે પ્રભુ ભૂમિ પર અવતાર ધારણ કરે છે. પહેલા સાત અવતારો જે કાર્ય ન કરી શક્યા તે તમામ કાર્યોને અષ્ટમ્ અવતારરૂપ પ્રભુ શ્રીકૃષ્ણએ પોતાના આ એક જીવનકાર્ય દરમ્યાન કર્યાં છે, તેથી પ્રભુના આ અવતારને પૂર્ણ પુરુષોત્તમ તરીકે ઓળખાય છે.