બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરની ગલીઓમાં ચાલતી ચર્ચાઓ જાણો સંજયદ્રષ્ટિથી, સૌથી વધુ ચર્ચાતો પ્રશ્ન શું લાગે છે? કેટલી આવશે?
Last Updated: 02:48 PM, 20 May 2024
સંજય વિભાકર, ગાંધીનગર: ગુજરાતમાં સુરતની બેઠક બિન હરીફ થયા બાદ બાકીની તમામ 25 બેઠકોની ચૂંટણીનુ મતદાન થઈ ગયુ છે. જ્યારે બાકીના ત્રણ તબક્કાના મતદાન બાદ 4થી જૂને તમામ બેઠકોની મતગણતરી થવાની છે. બીજી બાજુ ભાજપને ગુજરાતમાંથી કેટલી બેઠકો મળશે તેની ગણતરી મંડાઈ રહી છે. રાજકીય પક્ષો અને લોકો પોત પોતાના ગણિતથી આવી ગણતરી મુકી રહ્યા છે.આ સ્થિતિમાં સચિવાલયમાં ચર્ચા શરૂ થઈ છે કે, ગુજરાતની છથી સાત બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો પ્રથમ વખત જ ભાજપના ઉમેદવારોને ભારે ટક્કર આપી રહ્યા છે. 2014 અને 2019માં ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો સરળતાથી અને જંગી સરસાઈથી જીતી લીધી હતી. 2017માં તો વિધાનસભામાં ભાજપ માંડ માંડ જીત્યુ હતુ. આમ છતાંય 2019માં તેની કોઈ જ અસર દેખાઈ નહોતી. જ્યારે વિધાનસભાની 2022ની છેલ્લી ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો મેળવીને ઐતિહાસીક જીત મેળવી છે. જેથી સતત ત્રીજી વખત પણ ભાજપને ખૂબ જ સરળતાથી તમામ 26 બેઠકો મળી જવી જોઈએ એવુ સૌ કોઈ માને છે. બીજી તરફ ક્યાકં ક્યાં વિરોધ પણ દેખાઈ રહ્યો છે. ખાસ કરીને કોંગ્રેસના અનેક ધારાસભ્યો-નેતાઓને ચૂંટણી પહેલા ભાજપે એન્ટ્રી કરાવતા ભાજપના અનેક આગેવાનો અને પાયાના કાર્યકરોમાં રોષ અને નારાજગી છે. તેઓ ઈચ્છે છે કે, આ વખતે પાઠ ભણાવવો પડશે. જેથી આવા અનેક કાર્યકરો નિષ્ક્રિય થઈ ગયા છે. જેથી ભાજપને બેથી વધુ બેઠકો ગુમાવવી પડે તેવી ભીતિ સેવાઈ રહી છે. જો આવુ થશે તો દિલ્હી હાઈકમાન્ડ દ્વારા સરકારના સિનિયર મંત્રીઓ સામે તેમજ સંગઠનના મોટા નેતાઓ સામે આકરા પગલા લેવાશે એવી ચર્ચા થઈ રહી છે.
ADVERTISEMENT
ગાંધીનગર-સરખેજ હાઈ વે પર છેલ્લા કેટલાક સમયથી ભારે ટ્રાફિક રહે છે. ખાસ કરીને ગોતા બ્રિજ ઉતર્યા બાદ અને છારોડી નજીક પીકઅવર્સમાં વાહનચાલકો રીતસરના ફસાઈ જાય છે. એસજી હાઈવે તૈયાર થયા બાદ છારોડી અને ગોતા બ્રિજ પાસે બે કટ ચાલુ રખાઈ છે. એટલુ કે આ બન્ને સાઈડથી વાહનચાલકોની અવરજવર રહેતી હોય છે. આ વિસ્તાર મેડિકલ,એજ્યુકેશન ઝોન બની ગયો છે. બીજી બાજુ અમદાવાદ અને ગાંધીનગર તરફથી આવતા વાહનો ફુલ સ્પીડમાં હોય છે. જેને લઈને આ બન્ને જગ્યાએ અનેક જીવલેણ અકસ્માતો પણ થયા છે. ઘણા લોકોના મોત થયા છે તો ઘણાએ કાયમી હાથપગ કે શરીરના અન્ય અંગોને ગુમાવવા પડ્યા છે. તાજેતરમાં આવો ગંભીર અકસ્માત થયો હતો. જેની જાણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને થઈ હતી. જે બાદ મુખ્યમંત્રીએ આદેશ આપતા આ બન્ને સ્થળથી આવતા વાહનચાલકોને બંધ કરવા માટે કટને જ બંધ કરી દેવાઈ છે. જેને લઈને જો ગાંધીનગરથી કોઈને છારોડી તરફ અને અમદાવાદ તરફથી જો કોઈને નિરમા યુનિ.કે એ તરફ જવુ હોય તો પણ ચારેક કીલો મીટર ફરીને જવુ પડે. બન્ને કટને બંધ કરી દેવાતા અહીંના નાગરીકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ભાજપના જ કેટલાક નેતાઓએ સરકારમાં આ સંદર્ભમાં ઉગ્ર રજૂઆતો કરી છે.તેઓએ સરકારને કહ્યુ છે કે, આ વિસ્તારમાં અનેક હોસ્પિટલો, સ્કુલો અને નિરમા યુનિવર્સિટી છે. ઉપરાંત મંદિરો,રેસ્ટોરન્ટો છે.આ રીતે એકાએક બન્ને કટ બંધ કરવાનુ યોગ્ય નથી. માટે તાત્કાલીક રીતે ફરીથી બંન્ને કટને ફરીથી શરુ કરવાની માગણી કરાઈ છે. બીજી બાજુ સરકાર પણ હવે આ બન્ને કટવાળો રસ્તો પુનઃ શરુ કરવાના મુડમાં નથી. જેથી આગામી સમયમાં આ વિવાદ વધુ ઉગ્ર બની શકે છે.
ADVERTISEMENT
ગુજરાતમાં ભલે મતદાન પતી ગયું, પણ હજી આચારસંહિતા અમલી છે. જેને કારણે કેબિનેટની બેઠકો મળતી નથી. હજીય દેશના અનેક વિસ્તારોમાં પ્રચાર ચાલુ છે એટલે સચિવાલયમાં હજુ મોટા ભાગના મંત્રીઓના કાર્યાલયો ધમધમતા થયા નથી. ગણ્યા ગાંઠ્યા મંત્રીઓ થોડો સમય માટે જ કાર્યાલયમાં આવીને પરત જતા રહે છે. જો કે કેબિનેટની બેઠક સિવાય મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને સીઓએસ એટલે કે કમિટી ઓફ સેક્રેટરીની મીટીંગ દર બુધવારે નિયમિત મળતી હતી. જેમાં કોઈ નીતિ વિષયક નિર્ણયો લેવાતા હોતા નથી. પણ જૂદા જૂદા ડીપાર્ટમેન્ટોના સચિવો દ્રારા પ્રેઝન્ટેશન કરાતુ હોય છે. જેને આધારે ભવિષ્યમાં કેવી કામગીરી કરવી એની ચર્ચા થતી હોય છે. પરંતુ ગત બુધવારે મુખ્ય સચિવ રાજકુમાર ત્રણેક દિવસની રજા ઉપર હતા. જેથી સચિવાલયમાં સેક્રેટરીઓની મીટીંગ પણ મળી નહોતી. જેને લઈને કેટલાક સિનિયર અધિકારીઓ એકબીજા સાથે હળવી મઝાક કરી રહ્યા હતા કે સારુ થયુ સીઓએસ ન મળી કેમકે તેમાં માત્રા વાર્તા સિવાય કશુ ઠોશ કામ નથી અને સમય બગડે છે. હવે આવતા બુધવારે કેબિનેટ તો નહી મળે પણ સેક્રેટરીઓની મીટીંગ ચોક્કસથી મળશે.
અમદાવાદમાં ફરજ બજાવી રહેલા એક આઇએએસ અધિકારીના પર્સનલ સેક્રેટરી તેમના સાહેબ ના નામે ટેંડરો આપવામાં મોટો વહીવટ કરી રહ્યો છે. આ પીએ મૂળ એન્જિનિયર છે. છેલ્લા 11 વર્ષથી તે એક જ જગ્યાએ ફરજ બજાવી રહ્યો છે તેમની બદલી પણ થતી નથી આઈએએસ અધિકારીઓ બદલાઈ જાય છે પરંતુ પીએ ત્યાંનો ત્યાં જ રહે છે. થઈ રહેલી ચર્ચા મુજબ આઈએએસ અધિકારીના પર્સનલ સેક્રેટરીનો રૂવાબ તેમના સાહેબ કરતાં પણ વધુ છે. મળવા આવતી એજન્સીઓ કે કંપનીઓના માણસો સાથે રૂવાબથી વાત કરે છે અને આ રીતે પોતાનું વજન ઊભું કરે છે. ત્યારબાદ એજન્સી કે કંપનીના ટેન્ડર સહિતના કોઈપણ કામ માટે સીધી જ વહીવટ ની વાત કરી લે છે. છેલ્લા એક દાયકા દરમિયાન તેમણે ટેન્ડરો આપવામાં મોટો વહીવટ કર્યો છે. એવી ચર્ચા છે કે કોઈપણ ટેન્ડર હોય આ પર્સનલ આસિસ્ટન્ટ વહીવટ કરવાનું છોડતો નથી. મોટાભાગના ટેન્ડરોમાં તે પોતાની માનીતી એજન્સીઓ કે કંપનીઓ સાથે ગોઠણ કરી નાખે છે. ત્યારબાદ ટેન્ડરમાં એ પ્રકારની શરતો રાખે છે કે અગાઉથી જેને ટેન્ડર આપવા માટેનું સેટિંગ થયું છે તે કંપનીને જ ટેન્ડર મળી જાય. તાજેતરમાં જ પર્સનલ આસિસ્ટન્ટ ના આવા કરતુંતો અંગે સરકારમાં કેટલીક એજન્સીઓએ ફરિયાદ કરી છે. તેમની તાત્કાલિક બદલી કરીને તેમની સામે ખાતાકીય તપાસ કરવા માટેની માગણી પણ કરાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.