ક્યારેક-ક્યારેક 500 અને 2000 રૂપિયાની નોટ અથવા અન્ય કોઇ પણ નોટ પર રંગ લાગી જાય છે તો કેટલાક દુકાનદાર આવી નોટો લેવાની ના પાડી દે છે. વાસ્તવમાં લોકોને આશંકા હોય કે આ નોટ ચાલશે કે નહીં, જો તમારી પાસે રંગ લાગેલી નોટ છે અથવા કોઇ નોટ ફાટી ગઇ છે, તો તમે આ નોટોને સરળતાથી બેંકમાં જઇને બદલી શકો છો. કોઇ પણ બેંક આ નોટોને બદલવા માટે ના પાડી શકે નહીં. જો કે નોટોને લઇને કેટલીક વાતોનું ધ્યાન ના રાખ્યું હોય તો તમને 500 અને 2000 રૂપિયાની નવી નોટ પણ રદ્દી થઇ શકે છે.
અહીંયા અમે નકલી નોટોની વાત કરી રહ્યા નથી. તમારી પાસે રહેલી આ નોટ એકદમ નવી અને અસલી હશે. એને જારી પણ રિઝર્વ બેંકે પણ કરી જ હશે, પરંતુ એક ભૂલ એને રદ્દી બનાવી દેશે.
ભારતીય રિઝર્વ બેંકે 3 જુલાઇ 2017માં એક સર્કુલર જારી કર્યું હતું, આ સર્કુલર એ માટે છે કે બેંક કઇ નોટોને સ્વીકાર કરી શકે છે અને કઇ નોટોનો નહીં. સર્કુલર પ્રમાણે જો કોઇ નોટ પર કોઇ રાજકીય સ્લોગન લખેલું હોય, તો એ નોટનો સ્વીકાર કરવામાં આવશે નહીં. એને કોઇ પણ બેંક માન્ય રાખશે નહીં, આરબીઆઇએ પોતાના સર્કુલરમાં સ્પષ્ટ કહ્યું છે કે એવી નોટો લીગલ ટેન્ડર રહેશે નહીં. એનો અર્થ છે કે એની નોટ દેશની કોઇ પણ બેંક માન્ય કરશે નહીં. એ પૂરી રીતે રદ્દી બની જશે. ભલે એની વેલ્યૂ વધારે હોય.
રંગ લાગેલી નોટ
વર્ષ 2017 માર્ચમાં વોટ્સએપ પર એક મેસેજ વાયરલ થયો હતો, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે સાર્વજનિક ક્ષેત્રની બેંક રંગ લાગેલી નોટ લઇ રહી નથી. એની પર સ્પષ્ટ કરતાં રિઝર્વ બેંકે કહ્યું હતું કે કોઇ પણ બેંક આ નોટોને લઇને ના પાડી શકે નહીં. જો કે આ સાથે જ રિઝર્વ બેંકે લોકોને સલાહ આપી હતી કે લોકો નોટોને ગંદી કરે નહીં.
જાણીજોઇને ફાડવામાં આવેલી નોટ
સર્કુલરમાં કહેવામાં આવ્યું હતું કે એવી કોઇ પણ નોટનો સ્વિકાર ના કરે જે જાણી જોઇને ફાડવામાં આવી હોય. આરબીઆઇનું કહેવું છે કે જાણીજોઇને ફાડવામાં આવેલી નોટની ઓળખ કરવી મુશ્કેલ છે, પરંતુ ફાટેલી નોટોને ધ્યાનથી જોવામાં આવે તો જાણી શકાય છે.
સર્કુલર પ્રમાણે બેંકો એવી નોટો પણ બદલી શકે છે જે બે ભાગમાં ફાટી ગઇ હોય, પરંતુ નોટો પર મહત્વની જાણકારી મોજૂદ છે. બેંકોએ એવી નોટોનો પણ સ્વિકાર કરવો પડશે જે ચોંટાડેલી હોય.