માઈક્રોસોફ્ટના ભારતીય મૂળના સીઈઓ સત્યા નડેલાએ સોમવારે એક વિવાદિત નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ CAAને લઈને પોતાનો અભિપ્રાય આપ્યો હતો. સત્યા નડેલાના નિવેદન બાદ વિવાદ થતાં તેઓએ એક અન્ય પ્રતિક્રિયા સફાઈના ભાગરૂપે આપી હતી.
CAA પર માઇક્રોસોફ્ટના CEO સત્યા નડેલાનું નિવેદન
સરકાર અને જનતા મળીને દેશહિત નક્કી કરેઃ નડેલા
રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખીને અપ્રવાસીઓ અંગે નીતિ બનેઃ નડેલા
નાગરિકતા કાયદાને લઇ સમગ્ર દેશમાં પ્રદર્શન થઇ રહ્યું છે. ત્યારે આ મામલે માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નડેલાએ ફરી એક નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ અપ્રવાસીઓને લઇને વાત કરી છે. તેઓનું માનવું છે કે અપ્રવાસીઓને પણ તક મળવાથી ભારતીય સમાજ અને અર્થવ્યવસ્થાને ફાયદો થશે.
એક કાર્યક્રમમાં તેઓએ કહ્યું હતું કે મને લાગે છે કે જે થઇ રહ્યું છે તે દુઃખદ છે. હું એવા એક બાંગ્લાદેશી અપ્રવાસીને જોવાનું પસંદ કરીશ જે ભારતમાં આવે છે અને ઇન્ફોસિસનો સીઇઓ બને છે. આ આકાંક્ષાઓ હોવી જોઇએ. અમેરિકામાં મારી સાથે જે થયું છે તેવું જ ભારતમાં પણ થાય તેવી ઉમ્મીદ છે.
માઇક્રોસોફ્ટે નડેલાનું અન્ય એક નિવેદન ટ્વીટ કર્યું
સત્યા નડેલાના ટ્વિટને લઈને વિવાદ થતા માઇક્રોસોફ્ટે નડેલાનું અન્ય એક નિવેદન ટ્વીટ કર્યું. જેમાં કહ્યું કે દરેક દેશને પોતાની સીમાઓ પરિભાષિત કરવી જોઇએ અને રાષ્ટ્રીય સુરક્ષાની રક્ષા કરવી જોઇએ. અને અપ્રવાસીઓની પણ નીતિ નિર્ધારિત કરવી જોઇએ. હું પોતાની ભારતીય વિરાસતથી જોડાયેલો છું. એક બહુસાંસ્કૃતિક ભારતમાં મોટો થયો છું અને અમેરિકામાં મારો અપ્રવાસી અનુભવ છે. ત્યારે મારી ભારત પાસેથી એવી આશા છે કે જ્યાં એક અપ્રવાસી સ્ટાર્ટ-અપ શરૂ કરી શકે.