આરોગ્ય ક્ષેત્રે ફરજ પરના તબીબો અને આરોગ્ય કર્મીઓને જ નહિ પણ સામાન્ય લોકોને પણ જાહેર સ્થળે ફેસ માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવી રહી છે. કોવિડ 19 માં સંક્રમણને લીધે, ઘણી જગ્યાએ લોકડાઉન લાગુ છે પરંતુ તમે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે બહાર જઇ શકો છો. આવી સ્થિતિમાં, તમારે જાણવું જરૂરી છે કે કોરોના વાયરસ તમે પહેરેલા માસ્ક ઉપર કેટલો સમય સક્રિય રહે છે.
દિલ્હી સ્થિત એઇમ્સના એક અધિકારીએ તેના સ્ટાફને માસ્કના ઉપયોગને લગતો એક પરિપત્ર બહાર પાડ્યો છે જે મુજબ N 95 માસ્ક પર ચાર દિવસ સુધી વાયરસ રહી શકે છે.
ચાર દિવસ પછી જ માસ્ક રિયુઝ કરો
એઈમ્સ પરિપત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે N 95 ફેસમાસ્કનો ઉપયોગ ચાર દિવસ પછી જ ફરીથી થવો જોઈએ. એઇમ્સે તેના સ્ટાફ માટે પાંચ માસ્ક અને તેમના માટે ચાર કવર બહાર પાડ્યા છે. સુચના આપવામાં આવી છે કે પહેલા દિવસે પ્રથમ નંબરનો માસ્ક વાપર્યા પછી તેને પેકેટ નંબર એકમાં નાંખો અને ચાર દિવસ સુધી સૂકાવા દો. બીજા દિવસે નંબર બે માસ્ક અને કવરનો ઉપયોગ કરો. એ જ રીતે ત્રીજા અને ચોથા દિવસે ત્રીજા અને ચોથા નંબરના કવરનો ઉપયોગ કરો.
પાંચમા દિવસે પહેલા નંબરના માસ્કનો ફરીથી ઉપયોગ કરો અને પછી તેને તેના કવરમાં મૂકી દો. આ સૂચના એટલે આપવામાં આવી છે જેથી માસ્કની બાહ્ય સપાટી પર વાયરસ ચાર દિવસમાં નિષ્ક્રિય થઈ જાય.
શું વાયરસ એક અઠવાડિયા સુધી માસ્ક પર રહી શકે છે?
હોંગકોંગ સ્થિત સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટએ લેન્સેટ જર્નલના અહેવાલને ટાંકીને જણાવ્યું છે કે આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોરોના વાયરસ સ્ટીલ અને પ્લાસ્ટિક જેવી સપાટી પર ચાર દિવસ સક્રિય રહી શકે છે જ્યારે ચહેરાના માસ્કની બાહ્ય સપાટી પર સાત દિવસ સક્રિય રહી શકે છે. સામાન્ય રીતે, તમે કાપડના માસ્કને હુંફાળા પાણી અને સાબુથી યોગ્ય રીતે ધોઈને ફરીથી વાપરી શકો છો.
N 95 માસ્ક કેટલી વખત રિયુઝ કરી શકાય છે?
N95 માસ્ક આમ તો ફક્ત આરોગ્ય સેવાઓમાં રોકાયેલા કર્મચારીઓના ઉપયોગ માટે જ સૂચવવામાં આવી રહ્યું છે કારણ કે તે લોકો હંમેશાં વાયરસના સંપર્કમાં અથવા જોખમમાં હોઈ શકે છે. એઇમ્સ દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, N 95 માસ્ક ચાર દિવસના અંતરાલ પછી પાંચ પાંચ વખત ઉપયોગ કર્યા પછી ડસ્ટબિનમાં નાખવાની સૂચના આપવામાં આવી છે. 20 દિવસ પછી, આરોગ્ય કર્મચારીઓને પાંચ નવા માસ્ક ઇશ્યૂ કરવામાં આવશે એમ કહેવાયું છે.
શું N 95 માસ્ક રામબાણ ઈલાજ છે?
સતત સૂચના આપવામાં આવી રહી છે કે માત્ર આરોગ્ય કર્મચારીઓ જ નહીં પરંતુ તમામ લોકોએ માસ્ક પહેરવા જોઈએ. શું N 95 માસ્ક રામબાણ ઈલાજ છે? આ સવાલનો જવાબ એ છે કે અન્ય સાવચેતીઓની જેમ આ પણ એક મહત્વપૂર્ણ સાવચેતી છે. વોક્સ રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તેનો અર્થ એ નથી કે તમે સામાજિક અંતર અને હાથ ધોવા જેવી સાવચેતી છોડી દો. ઉપરાંત, ઘણા દેશોમાં અપીલ કરવામાં આવી રહી છે કે N 95 માસ્ક આરોગ્ય કર્મચારીઓને સરળતાથી મળી રહે તે માટે સામાન્ય લોકોએ તેનો ઉપયોગ ન કરવો જોઇએ.