ભારતમાં હાલ સુધીમાં કુલ 96169 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 36 હજાર 795 દર્દીઓ સાજા થયા છે તો કોરોનાથી દેશમાં 3 હજાર 25 દર્દીના મૃત્યુ થયા છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 33 હજાર 53 પોઝિટિવ કેસ નોંધાયા છે. દેશમાં 31મી મે સુધી લોકડાઉન 4.0 જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રની ગાઈડલાઈન બાદ આજે રાજ્યો પોતાની ગાઈડલાઈન જાહેર કરશે અને જિલ્લાને કન્ટેન્ટમેન્ટ અને નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવશે.
31 મે સુધી 14 દિવસ માટે લોકડાઉન 4 લાગુ થયું છે. કેટલીક છૂટછાટો સાથે દેશમાં લોકડાઉન લાગુ થશે. લોકડાઉન-4 માં રાજ્યોને વધુ અધિકારો અપાયા છે. ઈન્ટર સ્ટેટ બસના સંચાલન પર નિર્ણય લેવાશે. લોકડાઉનનું પાલન કરાવાની જવાબદારી રાજ્યોને અપાઈ છે. દિલ્લી-મુંબઈમાં મેટ્રો સેવા બંધ રહેશે. લોકડાઉન -4માં સિનેમા હોલ,શોપિંગ મોલ બંધ રહેશે. લોકડાઉન-4માં જીમ,સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે.
ગુજરાતમાં કોરોનાના દર્દીઓનો આંકડો 11,380 પર પહોંચ્યો
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6,222 થઈ છે. તો અત્યાર સુધી કુલ 4499 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાના કારણે 659 લોકોના મોત થયા છે. અમદાવાદમાં સૌથી વધુ 8420 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલમાં અમદાવાદમાં 5236 એક્ટિવ કેસ નોંધાયા છે.
ગુજરાત રાજ્યને 2 ઝોનમાં વહેચવામાં આવશે
ગુજરાતને કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવશે એમ સીએમ વિજય રૂપાણીએ ગઈકાલે કહ્યું હતું, કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનનો કડક અમલ થશે. આ માટે સરકાર આજે નવી ગાઇડલાઇન જાહેર કરશે. તમામ ઝોનમાં કંપનીઓને છૂટછાટ અપાશે. જિલ્લા વહીવટી તંત્ર પાસેથી સૂચનો મંગાવાયા છે અને સાથે જ સૂચનો પર ચર્ચા બાદ નિર્ણય લેવાશે.
આવતીકાલથી રાજ્યમાં બસ સેવા શરૂ થશે
ગુજરાત રાજ્યમાં ST અને સીટી બસ સેવા શરૂ કરાશે. નોન કન્ટેનમેન્ટ ઝોનમાં બસ સેવા શરૂ કરાશે. આ સિવાય રીક્ષાચાલકોને પણ શરતોને આધીન છૂટ આપવામાં આવશે. આ માટે આજે નવા નિયમોની જાહેરાત કરાશે.
સમગ્ર રાજ્યમાં લાગુ પડશે નિયમ
જાહેરમા થૂંકતા લોકોની હવે ખેર નથી. જાહેરમાં થૂંકતા પકડાશો તો તમારે દંડ ભરવો પડશે. સમગ્ર રાજ્યમાં આ નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. થૂંકનાર પાસેથી રૂ. 200નો દંડ લેવામાં આવશે.
અમ્ફાન વાવાઝોડુ વધુ ખતરનાક બન્યુ
બંગાળની ખાડીમાં અમ્ફાન વાવાઝોડું સર્જાયું છે. જેને લઈને હાલમાં ઓરિસ્સા-પશ્ચિમ બંગાળ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. અહીં NDRFની 17 ટિમોને તૈનાત કરાઈ છે. વાવાઝોડાની સાથે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. 20 મે ના વાવાઝોડુ કિનારા પર ટકરાશે તેવી આગાહી કરવામાં આવી છે.