ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ મોટા સમાચાર; તા. 26 અને 27 એપ્રિલે કમોસમી વરસાદની શક્યતા છે તેમજ 24 અને 25 એપ્રિલે હીટવેવની પણ શક્યતા જોવા મળી રહી છે.
રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં તા. 26 અને 27 એપ્રિલે કમોસમી વરસાદની શક્યતા છે. તેમજ ઉત્તર પશ્ચિમનાં પવન ફુંકાતા હવામાન વિભાગે આગાહી કરી છે. 24 અને 25 એપ્રિલે હીટવેવની પણ શક્યતા જોવા મળી રહી છે. આગામી 3 થી 4 દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થશે. ત્યારે મોટા ભાગના જિલ્લામાં તાપમાન 41 થી પાર થવાની શક્યતા છે. રાજ્યમાં આગામી 2 દિવસ હિટવેવની આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફુંકાયા છે. આગામી 3 થી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધી જશે. મહત્તમ તાપમાન 41 થી 43 ડિગ્રી પહોંચવાનું અનુમાન છે. જેમાં આગામી 2 દિવસ કચ્છમાં હિટવેવની આગાહી. તેમજ 26 અને 27 એપ્રિલે કમોસમી વરસાદની શક્યતા છે.
રાજ્યમાં સતત વરસી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન છે. ત્યારે હવે ખેડૂતોને ટૂંક સમયમાં સહાય આપવાની કૃષિ મંત્રીએ જાહેરાત કરી. ખેડૂતોને વરસાદથી થયેલા નુકસાન અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, સહાય અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા થઈ છે. નુકસાની અંગેનો અહેવાલ સબમિટ કરાયો છે. ટૂંક સમયમાં ખેડૂતોને સહાય આપવામાં આવશે.માવઠાથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. રવિ પાક અને બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઘઉં જેવા જીવન જરૂરી ધાન્યના ભાવ ઉપર માવઠાને કારણે અસર પડી. કેરીના પાકને પણ માવઠાથી વ્યાપક નુકસાન થયું. ખેડૂતોએ વાવેલા શાકભાજી માવઠાને કારણે બગડી ગયા. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
માર્ચ મહિનામાં યોજાયેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પેપરની ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે વહેલી તકે બોર્ડની પરીક્ષાનું પરિણામ આવી શકે છે. મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવી શકે છે. આ તમામ પરિણામો ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.
તોડકાંડ મુદ્દે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ બાદ હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, યુવાનો જે માહિતી આપે છે તેના પર પોલીસ કાર્યવાહી કરે છે. યુવરાજસિંહે જે માહિતી આપી તેના પર કામગીરી કરાઈ છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, યુવરાજસિંહે રકમ મેળવીને પ્લાનિંગથી નામ જાહેર કર્યા ન હતા. પોલીસે પુરાવા પર કામ કર્યુ, પોલીસે CCTV પણ રજૂ કર્યા છે. ડમીકાંડમાં કોઈને પણ છોડવામાં આવશે નહીં. સાચી માહિતી મળશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે. આરોપીઓનું નામ કેમ છૂપાવ્યું તે પણ તપાસનો વિષય છે. ડમીકાંડનો મુદ્દો રાજકારણ સાથે જોડાયેલો નથી. ભવિષ્યમાં પણ કોઈ માહિતી આપશે તેના પર પણ તપાસ થશે.
છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે હાર્ટ એટેક બાદ મોતના વધુ બે બનાવો સામે આવ્યા છે. સુરતમાં ચાલુ બાઈકે હાર્ટ એટેક આવતા વેપારીનું મોત નિપજ્યું છે.સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં ચાલુ બાઇકે પાછળ બેઠેલા કાપડના વેપારી કાનજીસિંહ રાજપૂતને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને બેભાન અવસ્થામાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પીએમ બાદ કાપડના વેપારીનું સિવિયર હાર્ટ અટેકના કારણે મોત થયાનો ખુલાસો થયો છે.
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા ઉદય નામના ચિત્તાનું મૃત્યુ નિપજતા શોક ફેલાયો છે. મહત્વનું છે કે તાજેતરમાં નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી 20 ચિત્તા ભારતમાં લાવવામાં આવ્યા હતા. જેમાં ઉદયનો અસ્ત થયો છે. જેની પાછળ બીમારી જવાબદાર હોવાનું ગણવાઇ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે અત્યાર સુધીમાં બે ચિત્તા મૃત્યુ પામ્યા છે. ડોક્ટરની મહેનત પણ કામ ન લાગતા ચિંતામા વધારો થયો છે.ચિત્તાના મોત મામલે કુનો નેશનલ પાર્કના સતાવાળાઓ દ્વારા સતાવાર નિવેદન આપવામા આવ્યું છે. જેમાં જણાવ્યા અનુસાર ઉદય નામનો ચિત્ સવારથી જ સુસ્ત અવસ્થામા બેઠો હતો. જે નીચે માથું રાખીને બેઠો હતો નમેલી ગરદન સાથે ધ્રુજારી અનુભવતો હતો. જ્યારે પ્રોટોકોલ મુજબ, તે એક દિવસ પહેલા દરરોજ સવાર-સાંજ મોનિટરિંગ દરમિયાન સંપૂર્ણપણે સ્વસ્થ હતો. પરંતુ આજે તેની તબિયત સારી ન હતી. જે મામલે જાણ થતાની સાથે જ ચિત્તા પર દેખરેખ વધારી દીધી હતી. તથા તબીબો તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યારે ડોક્ટરોએ તેની તપાસ કરી તો તે બીમાર જણાયો.
મીડિયાના કેમેરા સામે માફિયા ડોન અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા કેસમાં એક પછી એક નવી વિગતો બહાર આવી રહી છે. અતીક અને અશરફની હત્યા કરનારા શૂટરોના માસ્ટર માઈન્ડને શોધી કાઢવામાં આવ્યો છે. આ ઉપરાંત શૂટરને લાખોની કિંમતની તૂર્કિ બનાવટની પિસ્તોલ કોણે આપી તેનો પણ ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણ હુમલાખોરોમાંનો એક સની આ સમગ્ર હત્યાનો માસ્ટર માઈન્ડ છે. તેણે હત્યા માટે અન્ય બે આરોપી લવલેશ અને અરુણને તૈયાર કર્યા હતા. આ ત્રણેય શૂટરો 13મી એપ્રિલે જ પ્રયાગરાજ પહોંચી ચૂક્યા હતા, જ્યાં તેઓ એક હોટલમાં રોકાયા હતા. આ પછી તેઓએ કોર્ટ સુધી રેકી કરી હતી અને પોલીસ અતીક અને તેના અશરફને કયા સમયે તબીબી તપાસ માટે લઈ જાય છે તેની માહિતી એકઠી કરી હતી. બંનેની હત્યા કરવા માટે તમામ આરોપીઓ એક પછી એક હોટલ છોડીને જતા રહ્યા હતા. પહેલા લવલેશ બહાર આવ્યો અને પછી બાકીના હુમલાખોરો બહાર આવ્યા.
મહિલા પહેલવાનોના યૌન શોષણ પ્રકરણને લઈ દેશના પહેલવાનો ફરી એક વાર મેદાનમાં ઉતાર્યા છે. ટોક્યો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયા ફરી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બૃજભૂષણસિંહ સામે મોરચો માંડી રહ્યા છે. જેમાં તેમણે વિરોધનો હુંકાર કરી જ્યા સુધી WFI પ્રમુખ બૃજભૂષણસિંહની ધરપકડ કરવામાં નહિ આવે ત્યાં સુધી જંતર-મંતર મેદાન પર વિરોધ ચાલુ રહેશે. તેવું જણાવતા વધુ એક વખત આ પ્રકરણ દેશમાં ગાજયુ છે.બીજી તરફ ભોગ બનેલા 7 મહિલા કુસ્તીબાજોએ કનોટ પ્લેસ પોલીસ મથકમાં બૃજભૂષણસિંહ સામે ફરિયાદ દાખક કરી છે જોકે આ મામલે હજુ એફઆઈઆર નોંધાઈ નથી. આથી મહિલા કુસ્તીબાજોએ મહિલા આયોગને ફરિયાદ દ્વારા રાવ કરી હતી કે 2 દિવસ અગાઉ ફરિયાદ છતાં એફઆરઆઈ દાખલ થઈ નથી.જેને લઈને દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ દ્વારા જાતીય સતામણીના આ મામલામાં FIR નોંધવા માટે દિલ્હીને નોટિસ મોકલી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહની રવિવારે (23 એપ્રિલ) પંજાબના મોગા જિલ્લાના રોડે ગામમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ લગભગ 35 દિવસથી ફરાર હતો. પોલીસ મહાનિરીક્ષક સુખચૈન સિંહ ગિલે જણાવ્યું કે 30 વર્ષીય અમૃતપાલની સવારે 6:45 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓએ તેને રોડે ગામમાં ઘેરી લીધો, ત્યારબાદ તેની પાસે બચવાનો કોઈ રસ્તો બચ્યો ન હતો. ધરપકડ પર પ્રતિક્રિયા આપતા અમૃતપાલ સિંહની માતા બલવિંદર કૌરે કહ્યું કે અમે સમાચાર જોયા અને જાણ્યું કે તેણે આત્મસમર્પણ કર્યું છે. તેને તેના પુત્ર પર ગર્વ છે કારણ કે તે સિંહ છે, અને તેણે યોદ્ધાની જેમ આત્મસમર્પણ કર્યું. અમે કાનૂની લડાઈ લડીશું અને શક્ય તેટલી વહેલી તકે તેમને મળીશું. બીજી તરફ અમૃતપાલ સિંહના પિતા તરસેમ સિંહે દાવો કર્યો કે તેમનો પુત્ર ડ્રગ્સ સામે લડી રહ્યો છે.
કેરળ પોલીસે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આત્મઘાતી બોમ્બની ધમકી લખવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. વડાપ્રધાન મોદી આવતીકાલથી બે દિવસના કેરળ પ્રવાસ પર રવાના થવાના છે. કોચી શહેરના પોલીસ કમિશનર સેતુ રમણે જણાવ્યું હતું કે, "જે વ્યક્તિએ વડા પ્રધાન વિરુદ્ધ ધમકીભર્યો પત્ર મોકલ્યો હતો તેનું તેનું નામ ઝેવિયર છે જે કોચીમાં કેટરિંગનું કામ કરે છે. ઝેવિયર તેના પડોશીને ફસાવવા માટે પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર લખ્યો હતો. પોલીસે ફોરેન્સિક એક્સપર્ટની મદદથી આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝેવિયર અંજનીકલની ઉંમર 53 વર્ષની છે જે કલૂર-કથિરકદાવુ રોડ, ફિફ્થ ક્રોસ રોડ પર ભાડાના મકાનમાં રહે છે અને કોચીમાં કેટરિંગ ફર્મ ચલાવે છે. જે ગયા અઠવાડિયે ભાજપ કાર્યાલયને પહોંચાડવામાં આવ્યો હતો. જોની અને ઝેવિયર એક જ ફ્લેટ પર રહે છે અને પડોશીઓ છે.અને ઝેવિયરે ત્રણ વર્ષ પહેલાં પેરિશ કાઉન્સિલમાં કેટલાક વિવાદ બાદ જ્હોની વિરુદ્ધ એક અનામી પત્ર લખ્યો હતો.
મહારાષ્ટ્રની રાજનીતિને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ઉદ્ધવ ઠાકરે આજે જલગાંવ જિલ્લાના પચોરામાં જાહેર સભા કરશે. આ દરમિયાન ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. સંજય રાઉતે દાવો કર્યો છે કે, આગામી 15 દિવસમાં મહારાષ્ટ્રમાં શિંદે-ફડણવીસ સરકાર પડી જશે. રાઉતે કહ્યું છે કે, આ સરકારનું 'ડેથ વોરંટ' જારી કરવામાં આવ્યું છે. રાઉતના આ દાવાએ ફરી એકવાર રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે.સંજય રાઉતે કહ્યું કે, દરેક વ્યક્તિ પોતપોતાનું ગણિત રજૂ કરે છે. પરંતુ અમે પરિણામની રાહ જોઈ રહ્યા છીએ. રાઉતે કહ્યું કે, મુખ્યમંત્રી અને તેમના 40 લોકોનું વર્તમાન શાસન આગામી 15 થી 20 દિવસમાં તૂટી જશે. મેં એકવાર કહ્યું હતું કે, ફેબ્રુઆરી સુધીમાં સરકાર પડી જશે. પરંતુ કોર્ટનો નિર્ણય મોડો આવી રહ્યો છે. પરંતુ આ સરકાર ટકવાની નથી, આ સરકારનું 'ડેથ વોરંટ' બહાર પાડવામાં આવ્યું છે. રાઉતે કહ્યું છે કે, હવે નક્કી થઈ ગયું છે કે કોણ ક્યારે સહી કરશે.
ચેન્નાઈ સુપર કિંગ્સ આ સિઝનમાં પાંચ મેચ જીતનાર પ્રથમ ટીમ બની ગઈ છે. આ સાથે જ કોલકાતાએ સતત ચોથી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. અજિંક્ય રહાણે અને ડેવોન કોનવેની વિસ્ફોટક ઈનિંગ્સના રમી ચેન્નાઈ સુપર કિંગ્સે આ સીઝનનો સૌથી મોટો સ્કોર બનાવીને કોલકાતા નાઈટ રાઈડર્સને આસાનીથી પરાજય આપ્યો હતો. જ્યાં ઈડન ગાર્ડન્સમાં કોલકાતાના અનુભવી બોલરોનો પરાજય થયો હતો, ત્યાં ચેન્નાઈ સુપર કિંગ્સના યુવા બોલરોએ કેપ્ટન એમએસ ધોનીના આત્મવિશ્વાસને સાચો સાબિત કરીને 49 રનથી જીત મેળવી હતી. આ સાથે ચેન્નાઈએ સતત ત્રીજી મેચ જીતી છે, જ્યારે કેકેઆરની સતત ચોથી હાર છે.
A convincing 4️⃣9️⃣-run win for @ChennaiIPL in Kolkata 🙌🏻
કપૂર પરિવાર બોલિવૂડનો સૌથી મોટો પરિવાર છે અને ફેન્સ આ પરિવારના તમામ સભ્યોને સારી રીતે જાણે છે. જો કે કપૂર પરિવારના ઘણા સ્ટાર્સે બોલિવૂડમાં પોતાનું સ્થાન જમાવ્યું છે, પરંતુ જેમણે બોલિવૂડમાં કામ કર્યું નથી તેઓને પણ તેમના ફેન્સ સારી રીતે ઓળખે છે. કપૂર પરિવાર તરફથી એક સારા સમાચાર જાણવા મળ્યા છે. રાજ કપૂરની દીકરી રીમા જૈન દાદી બની ગઈ છે. તેમના પુત્ર અરમાન જૈનની પત્ની અનીસા મલ્હોત્રાએ પુત્રને જન્મ આપ્યો છે.આ ખુશીના અવસર પર કપલને ચારે બાજુથી અભિનંદન મળી રહ્યા છે. અરમાનની બહેન કરીના કપૂરે કપલને શુભેચ્છા પાઠવી છે. આ સિવાય નીતુ કપૂર પણ આ અવસર પર ઘણી ખુશ દેખાઈ રહી છે. કરીના કપૂરે અરમાન અને અનીસા સાથેનો એક થ્રોબેક ફોટો શેર કર્યો છે. આ ફોટો સાથે તેણે કેપ્શનમાં લખ્યું- પ્રાઉડ પેરેન્ટ્સ, માય ડાર્લિંગ્સ.