શ્રાવણ મહિનામાં લોકો ભગવાન શિવની આરાધના કરતાં હોય છે. તમે ઘણા શિવલિંગના દર્શન કર્યા હશે પરંતુ સૂતેલી અવસ્થામાં શિવજીના દર્શન કર્યા છે?
વિશ્વનું એકમાત્ર અનોખુ શિવજીનું મંદિર
સૂતેલી અવસ્થામાં શિવજીના દર્શન
દર્શન કરીને ધન્ય થઇ જશો
કોઇ પણ દેવી-દેવતાના મંદિરમાં ઘુમ્મટનું અનોખુ મહત્વ છે પરંતુ વિશ્વનું આ એક માત્ર મંદિર છે જેમાં ઘુમ્મટ નથી. તડકેશ્વર મહાદેવ કે જે વલસાડ શહેરમાં આવેલું છે, તેની સાથે લોકવાયકા પણ જોડાયેલી છે.
મંદિરની ખાસિયત
વલસાડ શહેર એટલે આરામ અને શાંતિ નું શહેર, આ શહેર રીટાયર્ડ પ્લાન માટે શ્રેષ્ઠ શહેર માનવામાં આવે છે. કદાચ શિવજી એ પણ પોતાના આરામ માટે વલસાડ શહેર ને પસંદ કર્યું અને પોતાની આરામ ફરમાવતી એટલે કે સુતેલી પ્રતિમાનું સ્થાપન કરાવ્યું. 800 વર્ષ પહેલા વલસાડમાં આ મંદિરની સ્થાપના થઇ અને આજે આ મંદિર અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક બન્યું છે. મંદિરની ખાસિયત એ છે કે મંદિર ઉપર કોઇ છત નથી તેમજ સૂર્યના કિરણો શિવલિંગ ઉપર પડે છે. જેના કારણે સૂર્યના કિરણો સતત શિવલિંગને સ્પર્શ કરતા હોવાથી તે તડકેશ્વર મહાદેવના મંદિર તરીકે પ્રસિધ્ધ છે. 1994માં જીર્ણોદ્ધાર કરી 20 ફૂટના ગોળાઈનો ઘુમ્મટ ખુલ્લો બનાવાયો. સ્વયંભૂ પ્રગટેલા શિવલિંગના દર્શનાર્થે લોકોની ભારે ભીડ રહે છે. શ્રાવણમાસ અને મહાશિવરાત્રિએ તો ભક્તો દૂર દૂરથી દાદાના દર્શનાર્થે આવે છે.
તડકેશ્વર મહાદેવની ગાથા
વલસાડના પરા વિસ્તાર અબ્રામા ગામે વાંકી નદીના કિનારે તડકેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન શિવાલય આવેલું છે. આશરે 800 વર્ષ પુરાણા આ શિવાલયની પૌરાણિક ગાથા અનોખી અને અલૌકિક છે. વર્ષો પહેલાં અહિંના જંગલમાં ગાયો ચરાવતા નિર્દોષ ગોવાળિયાએ એક ગાયને સ્વયંભૂ દૂધની ધારા વહાવતી જોઈ તો તે વિસ્મય પામ્યો હતો. ગામલોકોને જાણ કરતાં તેઓએ તે જગ્યા પર તપાસ કરતાં એક મોટી પથ્થરની શિલા નજરે પડે હતી. ત્યારબાદ આ શિલા પર એક ભક્ત રોજ આવીને દૂધનો અભિષેક કરી જતો હતો. ભોળા શિવજીએ તેને સ્વપ્નમાં આવી જણાવ્યું કે, તું રોજ આ ઘોર જંગલમાં આવીને મારી પૂજા-અર્ચના કરે છે, તારી નિષ્ઠા અને અનન્ય ભક્તિ થી હું પ્રસન્ન થયો છું. હવે મને આ કાદવકીચડમાંથી બહાર કાઢી યોગ્ય જગ્યાએ લઈ જઈ પૂજન કરજે. ભક્તની લાગણીને માન આપી ગામલોકોએ શિલાની આસપાસ ખોદકામ કરતાં સૌના આશ્ચર્ય વચ્ચે 6થી7 ફૂટ લંબાઈ ઘરાવતું પોઢેલા શિવ જેવા આકારનું લિંગ નજરે પડ્યું હતું. ખૂબ જ સાવચેતી પૂર્વક લિંગ ખંડિત ન થાય તે રીતે ખોદકામ પૂર્ણ કરાયું હતું. બળદગાડામાં શિલાને લાવી આજના સ્થળે તેમની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી.
શા માટે મંદિર પર નથી કોઈ છત?
શિવલિંગના રક્ષણ માટે કામચલાઉ દિવાલ અને ઉપર ઘાસનું છાપરું બનાવાયું હતું. પરંતુ થોડા દિવસમાં આ છાપરું અચાનક સળગી ગયું હતું. બાદમાં નળિયાવાળું છાપરું બનાવાયું તો તે વાવાઝોડાથી ઉડી ગયું હતું. વારંવાર બનતી આ ઘટના બાદ શિવભક્તને સ્વપ્ન આવ્યું કે ‘હું તડકેશ્વર છું,’ મારા શીરે કોઈ છાપરું બાંધવાનો પ્રયત્ન ન કરશો. ગામલોકોએ ભક્તની વાત સાચી ગણીની ચારેબાજુ દિવાલ કરી દરવાજા બનાવ્યા પણ ઉપરથી ખૂલ્લું જ રાખ્યું હતું.
ઋતુ પ્રમાણે રંગ બદલે છે મંદિર
આ મંદિર માં રહેલ શિવલિંગ ઋતુ પ્રમાણે પોતાના રંગ બદલે છે ચોમાસામાં કાળો રંગ શિયાળામાં ભૂરો રંગ તો ઉનાળાની ઋતુમાં શિવલિંગ લાલાશ પડતું થઇ જાય છે , મંદિર સાથે લોકોની શ્રદ્ધા દેશવિદેશ થી જોડાયેલી છે. માનવામાં આવે છે કે અહી માનેલી માનતા પૂરી થાય જ છે.