ભારતીય સૈન્યના ઘણા કિસ્સા છે કે જે તમે સાંભળો એટલે છાતી ગજ ગજ ફૂલે અને તમને ભારતીય હોવા પર ગર્વ થાય. ભારતને આઝાદી અપાવવાથી લઇને આજ સુધી સૈનિકો દેશની રક્ષા કરે છે અને કેટલાય સૈનિકોએ પોતાના જીવ મા ભારતી માટે આપી દીધા છે. આજે અમે એક એવા સૈનિકની કહાની જણાવીશું જે હયાત ન રહીને પણ દેશની સેવા કરે છે.
300 ચીની સૈનિકોને ઉતાર્યા મોતને ઘાટ
જશવંત સિંહ શહીદ નહી અમર છે
1962ના ભારત-ચીનના યુદ્ધમાં લડનારા જશવંત સિંહ રાવત શહીદ નહી પરંતુ અમર છે. આ સૈનિકે ચીની સૈનિકોને ધૂળ ચટાવી હતી અને આપણા અરુણાચલ પ્રદેશ પર હુમલો કરવાથી રોક્યા હતા. આજે પણ અરુણાચ પ્રદેશના નુરાનાંગમાં બનેલા જશવંતગઢ મેમોરિયલમાં પાંચ સૈનિક તેમની સેવામાં હાજર છે. રોજ તેમના જૂતા પોલિશ કરવામાં આવે છે અને રોજ તેમના કપડાને ઇસ્ત્રી પણ કરવામાં આવે છે.
માથુ નમાવ્યા વગર કોઇ સિપાહી નથી જતા જંગ પર
એવુ માનવામાં આવે છે કે કોઇ ફણ સૈનિક અહીં આવે બાદમાં માથુ નમાવ્યા વગર આગળ નથી જતા. તેમના નામની આગળ આજે પણ સ્વર્ગીય લગાવવામાં આવ્યું નથી અને આજે પણ તેમને પ્રમોશન મળે છે.
ઉત્તરાખંડના બાંદયુમાં 19 ઓગસ્ટ 1941ના રોજ જશવંત સિંહનો જન્મ થયો હતો, નાનપણથી જ દેશ માટે અજબ પ્રેમ ધરાવતા જશવંત 17 વર્ષની ઉંમરમાં જ સેનામાં ભરતી થવા ગયા હતા પરંતુ ઉંમર નાની હોવાના કારણે તેમને સેનામાં લીધા ન હતા. બાદમાં જ્યારે તે 19 વર્ષના થયા ત્યારે સેનામાં ભરતી થઇ ગયા હતા.
14 સપ્ટેમ્બર 1961ના રોજ જશવંતની ટ્રેનિંગ પૂરી થઇ અને 17 નવેમ્બર 1962ના રોજ ચીની સેનાએ અરુણાચલ પ્રદેશ પચાવી પાડવાના ઇરાદે હુમલો કર્યો હતો. તે દરમિયાન નુરનાંગ માટે એક બટાલિયન તૈનાત કરવામાં આવી હતી તેમાં જશવંત સિંહ પણ હાજર હતા. આ બટાલિયનને વધુ ગાળીબાર થવાથી પાછા બોલાવી લેવામાં આવ્યા હતા પરંતું જશવંત સિંહ, લાંસ નાયક ત્રિલોકી સિંહ નેગી અને ગોપાલ ગુસાઇ પાછા આવ્યા ન હતા.
ચીનને ચટાવી ધૂળ
ત્રણે જવાન ચીની સૈનિકોથી બચીને દુશ્મનના બંકર પાસે જઇ ચડ્યા અને લગભગ 15 યાર્ડ દૂરથી હેન્ડ ગ્રેનેટ ફેંકીને ચીની સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા અને તેમની મશીનગન છીનવી લીધી. જેનાથી લડાઇની દિશા જ બદલાઇ ગઇ હતી, બાદમાં થયેલા ગોળીબારમાં ત્રીલોકી અને ગોસાઇ શહીદ થયા હતા, સાથે જશવંત સિંહ એકલા સતત 72 કલાક લડતા રહ્યાં અને 300 સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. બાદમાં ચીની સૈનિકોએ જશવંત સિંહને ઘેરી લીધા હતા અને તેમનુ મસ્તક કાપીને લઇ ગયા હતા, 20 નવેમ્બર 1962ના રોજ યુદ્ધ વિરામની ઘોષણા થઇ હતી.
જશવંતસિંહની આત્મા જીવે છે
ત્યાના સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમની આત્મા હજૂ પણ જીવે છે, અને આજે પણ તે ભારતીય પૂર્વી સીમાની રક્ષા કરી રહ્યાં છે. તેમના સામાનને આજે પણ સાચવી રાખાયો છે, જે જશવંત સિંહ મેમોરિયલમાં રાખવામાં આવ્યો છે. રોજ સવારે અને સાંજે પહેલી થાળી તેમની પ્રતિમા પાસે પીરસવામાં આવે છે. તેમના જૂતા પણ પોલિશ કરીને રાખવામાં આવે છે અને સાંજે તે કીચડ વાળા જોવા મળે છે તેમજ તેમની પલંગની ચાદર પણ સવારે કરચલી વાળી જોવા મળે છે.
પ્રમોશન અને રજા પણ મળે છે
ભારતના તે પહેલા એવા સૈનિક છે કે જેમને મૃત્યુ બાદ પણ પ્રમોશન અને રજાઓ મળે છે. તેમને રજા મળે ત્યારે તેમના સામાન સહિત તેમના ગામ લઇ જવામાં આવે છે અને જે દિવસે રજા પૂર્ણ થાય ત્યારે પરત અરુણાચલ પ્રદેશ લઇ આવવામાં આવે છે.