શું તમે ઈચ્છો છો કે એકવાર તમે પૈસાનું રોકાણ કરી લો, પછી તમારે આમ તેમ ભટકવું ન પડે અને તમારા રોકાણ પર વધુ સારું વળતર મળતુ રહે. જો તમે યોગ્ય જગ્યાએ રોકાણ કરશો તો તમારું રોકાણ સુરક્ષિત રહેશે અને તમને સારું વ્યાજ પણ મળશે.
યોગ્ય જગ્યા પર કરો રોકાણ, તો મળશે સારૂ વ્યાજ
પોસ્ટની આ સ્કીમમાં રોકાણ કરી મેળવો બેસ્ટ રિટર્સ
જાણો સ્કીમ વિશે બધુ જ
દરેક વ્યક્તિ ઓછા પૈસાનું રોકાણ કરીને સારો નફો મેળવવા ઈચ્છે છે. લોકો ક્યારેક આ માટે ખોટી વસ્તુઓનો આશરો લે છે. આના કારણે તેઓને નુકસાન થવાની સાથે કાયદાકીય મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે. બેંક એફડી અને શેરબજાર પણ રોકાણના સારા માધ્યમો છે. પરંતુ જ્યાં બેંક એફડીમાં વ્યાજ દરો હવે વધારે આકર્ષક નથી રહ્યા એવામાં જોખમી ઈન્સ્ટ્રૂમેન્ટ્સ હોવાના કારણે મોટાભાગના લોકોમાં શેરબજાર વિશે ખચકાટ છે.
પોસ્ટની સેવિંગ સ્કીમ્સમાં કરો રોકાણ
જો તમે એકવાર પૈસાનું રોકાણ કરીને ઘરે બેસીને સારો નફો મેળવવા માંગતા હોવ તો તમારે પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ્સમાં રોકાણ કરવું જોઈએ. સલામત રોકાણ તરીકે, પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ સામાન્ય લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.
હાલમાં જ સરકારે તેમના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. જે જમાઓમાં વ્યાજદરમાં વધારો થયો છે તે પોસ્ટ ઓફિસમાં 2 અને 3 વર્ષની ફિક્સ ડિપોઝીટ, સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS), કિસાન વિકાસ પત્ર (KVP), પોસ્ટ ઓફિસ માસિક આવક ખાતું વગેરે છે.
સુરક્ષિત રોકાણની રીત
પોસ્ટ ઓફિસ સ્કીમ્સ એવી વ્યક્તિઓને રોકાણની ઉત્તમ તકો આપે છે જેઓ ઊંચા જોખમ લેવાનું પસંદ કરતા નથી. ઈન્ડિયા પોસ્ટની યોજનાઓ સરકારના સમર્થનથી ચલાવવામાં આવે છે. તેઓ વધુ સુરક્ષિત છે. આ સિવાય તેમાં રોકાણ કરવા પર પણ આવકવેરાની કલમ 80C હેઠળ ટેક્સમાં છૂટ મળે છે.
હવે તમને પહેલા કરતા મળશે વધુ વ્યાજ
અગાઉ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરોમાં સુધારો કરવામાં આવ્યો હતો. તે સમયે સરકારે આ યોજનાઓ પરના વ્યાજમાં ઘટાડો કર્યો હતો. પરંતુ આ વખતે વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે. નવા દરો 1 ઓક્ટોબરથી લાગુ થઈ ગયા છે.
કઈ યોજનામાં કેટલું વ્યાજ મળી રહ્યું છે
પોસ્ટ ઓફિસની 2 વર્ષની FD પરના વ્યાજમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે અને હવે વ્યાજ દર વધીને 5.7 ટકા થઈ ગયો છે. અગાઉ તેમને 5.5 ટકા વ્યાજ મળતું હતું.
પોસ્ટ ઓફિસ 3 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 30 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે. તેના પર વ્યાજ 5.5 ટકાથી વધીને 5.8 ટકા થયું છે.
સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ હેઠળ હવે તમને 7.4 ટકાના બદલે 7.6 ટકા વ્યાજ મળશે.
માસિક આવક યોજના (MIS) પર હવે 6.7 ટકા વ્યાજ મળી રહ્યું છે, જે અગાઉ 6.6 ટકા હતું. તેમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પર વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કિસાન વિકાસ પત્રની સ્થિતિ શું છે?
સરકારે કિસાન વિકાસ પત્ર (KVP) યોજનામાં મોટો ફેરફાર કરીને આ યોજનાની પાકતી મુદત અને વ્યાજ બંનેમાં ફેરફાર કર્યો છે. પહેલા જ્યાં આ યોજનાની પાકતી મુદત 124 મહિના હતી. હવે તેને ઘટાડીને 123 મહિના કરી દેવામાં આવી છે. વ્યાજ દરમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને તે પહેલા 6.9 ટકાથી વધીને હવે 7 ટકા થઈ ગયો છે.