પોતાની માંગણીઑના ઉકેલની માંગ સાથે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ કેટલાય સમયથી આંદોલન સહીતના વિરોધનાત્મક કાર્યક્રમો ચાલી રહ્યા છે. જેનો ઉકેલ આવે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. આજે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કિસાન સંઘના આગેવાનોએ બેઠક યોજી હતી. જેમાં વિજબીલ, MSP સહિતના ખેડૂતોની પડતર માંગણીઓની રજૂઆત કરવામાં આવી હતી અને બે દિવસની અંદર કોર કમિટી સાથે બેઠકમાં ચર્ચા કરી પ્રશ્નના ઉકેલ અંગેની હર્ષ સંઘવીએ ખાતરી આપી હતી.
20 દિવસમાં નિરાકરણ લાવવાનું અપાયું આશ્વાસન
કિસાન સંઘના આગેવાનો અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચેની બેઠકમાં સકારાત્મક દિશામાં ચર્ચા થઇ હોવાની કિસાન સંઘના આગેવાનોએ સૂર પુરવ્યો હતો. મોટા ભાગની માંગણીઓનું નિરાકરણ લાવવાનું આશ્વાસન અપાયું હોવાનો ખેડૂત આગેવાનોએ દાવો કર્યો હતો. હર્ષ સંઘવીએ નિવેદન આપીને જણાવ્યું હતું કે, ખેડૂતોના પ્રશ્નોને લઈને પ્રદેશ લેવલ પર ઉંડાણ પૂર્વક ચર્ચા ચાલી રહી છે અને બે દિવસ અંદર કોર કમિટીની બેઠકમાં ચર્ચા કરાયા બાદ 20 દિવસમાં નિરાકરણ લાવવાનું આશ્વાશન અપાયું છે. વધુમાં વિચાર માંગી લે તેવા પ્રશ્નો માટે થોડા સમયની માંગ કરાઇ છે. વધુમાં સરકાર ખેડૂતોની સાથે જ હોવાનું હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું.
શું છે ખેડૂતોની માંગ?
મીટર – હોર્સ પાવર સમાન વીજદર કરવો, મીટર આધારીત બોરવેલનું વીજ બીલ દર બે મહીને બીલીગ કરવું, બાકી રહેતા મીટર ટેરીફમાં ફિક્સ ચાર્જમાં રાહત બોરવેલ પર જો વીજ મીટર બળી જાય તો તેની જવાબદારી વીજ કંપનીની રહેશે, વધુમાં કિસાન સૂર્યોદય યોજના સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અમલ કરવો, પશુપાલકોના તાબેલા પર વીજ કનેક્શન કોમર્શીયલ ભાવ ન ગણાતા રાહત દરે વીજળી આપવી, ખેતીવાડીમાં ૬૫૭ પરિપત્ર મુજબ જે ખેડૂતોએ લોડ વધારો કરેલ છે જે 100 કિલો વોટથી ઉપર છે તેવા ખેડૂતોને 200 નું ટીસી ખેતીવાડી ભાવે મંજુર કરવું,જમીન રિ સર્વે રદ કરવો અથવા ખેડૂતોના જમીન માપણીના વિવાદ ઝડપથી ઉકેલ લાવવો સહીત 20થી વધુ માંગ કરવામાં આવી રહી છે.