ગુજરાતમાં ખેડૂતોને પૂરતો પાક વીમો ન મળવા મામલે કિસાન સંઘ મેદાને આવ્યું હતું અને બાદમાં રાજકોટ બહુમાળી ભવન ચોકથી કલેક્ટર સુધી રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. જોકે આ ખેડૂતોની રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચે તે પહેલા જ ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે.
ગુજરાતમાં ખેડૂતોને પૂરતો પાક વીમો ન મળવા મામલે કિસાન સંઘે રાજકોટ બહુમાળી ભવન ચોકથી કલેક્ટર સુધી રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં પડધરી અને મોરબીના માળિયા મિયાણાના ખેડૂતો રેલીમાં જોડાયા હતા. જોકે હવે ખેડૂતોની અને આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી છે. સમગ્ર અહેવાલ વિશે જણાવીએ તો, રાજકોટમાં ખેડૂતોએ પોતાના માંગણી સાથે સરકાર સામે બાથ ભીડવાનો પ્રયત્નો કર્યા છે. ગુજરાત સહિત આખા દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે રાજકોટ સહિત આસપાસના ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં દેખાઇ રહ્યા છે.
આજે રાજકોટ સહિત ખેડૂતોએ પાક વિમા મુદ્દે કિસાન સંઘ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બાદ તમામ ખેડૂતો સભા સ્થળે ભેગા થયા હતા, ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સરકારની જોહૂકમી સામે 36 ખેડૂતોએ ઈચ્છામૃત્યુંની માંગણી કરી છે. ખેડૂતોની માંગણી હતી કે, કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને ખેડૂતો પ્રિમિયમ ભરતા હોવા છતાં, તાલુકા અછતગ્રસ્ત થયા હોવા છતાં વીમા કંપનીઓ ખેડૂતોને કહે છે કે ક્રોપ કટિંગ થયું છે અને વીમો નહીં મળે આમ સરકારે કોઈ પણ ભોગે આ વીમો અપવવો જોઈએ. રાજ્યમાં અગાઉ પણ ખેડૂતોએ રેલી કરી સરકાર સામે બાંયો ચઢાવી હતી, ત્યારે પોલીસ અને ખેડૂતો દ્વારા ઘર્ષણના અહેવાલો જોવા મળ્યા હતા. ખેડૂતોની સરકાર તરફથી મળતો પાક વિમા મળ્યો નહોતો, જેના કારણે ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે.
રાજકોટના ખેડૂતોને રેલી કાઢવા માટે સરકારે પરમિશન આપી નહોતી, ત્યારે રેલી અને સભા સ્થળે પોલીસની મોટી ફોજ ઉભી કરી દેવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે, અમને સરકાર તરફથી રેલી કે સભાની મંજૂરી આપવામાં આવી નથી, તેમ છતાં અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા જઇશું. અમને આજે કોઇ રોકી શકે તેમ નથી. ખેડૂતોએ વધુમાં કહ્યું હતું કે, અમારો આક્રોશ પાક વીમા કંપનીઓ સામે છે.
ક્રોપ કટિંગમાં મોટા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે તેવું ખેડૂતો કહી રહ્યા છે. ખેડૂતોએ પાક વીમા કંપનીઓ પર આક્ષેપો કર્યા છે કે, ગુજરાતમાં માત્ર 1.25 લાખ ખેડૂતોનો પાક વીમો મંજૂર થયો છે. દર 100માંથી 6.82 ખેડૂતોનો જ પાક વીમો મંજૂર થયો છે. વીમા કંપનીઓએ 2305 કરોડ રૂપિયાનું પ્રિમિયમ ખંખેર્યુ છે. જંગી પ્રિમિયમ સામે માત્ર રૂ.325 કરોડનો વીમો જ મંજૂર કરી ખેડૂતો સાથે અન્યાય કર્યો છે.
વીમા કંપનીઓએ માત્ર 142.7 કરોડ રૂપિયાનો વીમો ચૂકવ્યો છે. વીમા કંપનીઓએ માત્ર ગુજરાતમાંથી 2000 કરોડનો નફો કરી લીધો છે. રાજ્યમાં 18 લાખ 42 હજાર ખેડૂતોએ ખરીફ પાક માટે વીમો લીધો હતો. ગુજરાતમાં હેક્ટર દીઠ સરેરાશ રૂપિયા 8980 પ્રિમિયમ ચુકાવાયું હતું. પાક વીમાના મુદ્દે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે, પોલીસે મંજૂરી ન હોવાથી ખેડૂતોને કોર્ડન કરી લીધા છે. પોલીસની છ ટુકડીઓએ ખેડૂતોની ફરતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કિશાન સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે એક બાજુ અનેક તાલુકા અછતગ્રસ્ત જાહેર થયા છે, બીજી બાજુ સરકારે પાક વીમો નથી આપ્યો સરકારે પાક વીમો આપવાનો જ રહ્યો.