દિલ્હી પોલીસે દિલ્હી ખેડૂત ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસાના પગલે અત્યાર સુધીમાં 22 ફરિયાદ દાખલ કરી છે. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી છે કે હિંસામાં 300થી વધારે પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે. એ સાથે પોલીસે 9 ખેડૂત નેતાઓની સામે ફરિયાદ દાખલ કરી છે. દિલ્હી હિંસાને લઈને જે ફરિયાદ કરવામાં આવી છે તેમાં આરોપ છે કે પોલીસ દ્વારા ટ્રેક્ટર રેલી માટે એનઓસી જારી થઈ હતી તેનું પાલન કરવામાં આવ્યું નથી.
અનેક સીસીટીવી ફુટેજ તથા તમામ વીડિયોને તપાસવામાં આવી રહ્યા
આ મામલામાં તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે
પોલીસે 200 લોકોની કરી ધરપકડ
FIRમાં ભારતીય ખેડૂત યુનિયન પ્રવક્તા રાકેશ ટિકૈતનું પણ નામ
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવની વિરુદ્ધ પણ દિલ્હી પોલીસે કેસ દાખલ કર્યો છે. સમાચાર એજન્સી એએનઆઈના અનુસાર દિલ્હી પોલીસની એફઆઈઆરમાં ખેડૂત ટ્રેક્ટર રેલી અંગેની એનઓસીનું ઉલંઘન માટે ખેડૂત નેતા દર્શન પાલ, રાજિંદર સિંહ, બલવીર સિંહ રાજેવાલ, બુટા સિંહ બુર્જિલ અને જોગિંદર સિંહ ઉગ્રાહાના નામનો ઉલ્લેખ છે. FIRમાં ભારતીય ખેડૂત યુનિયન પ્રવક્તા રાકેશ ટિકૈતનું નામ પણ છે. જો કે આ FIR કઈ કલમો અંતર્ગત દાખલ કરવામાં આવી છે તે અંગે જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી માહિતી મળી શકી નથી.
200 લોકોની કરી ધરપકડ
બીજી તરફ દિલ્હી પોલીસે શહેરમાં ખેડૂત ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસક ઘટનાના સંદર્ભમાં 200 લોકોની ધરપકડ કરી લીધી છે. દિલ્હી પોલીસે કહ્યું કે જલ્દી બાકીનાની પણ ધરપકડ કરાશે. તેમજ દિલ્હી વેસ્ટર્ન ઝોનમાં 93 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
આ મામલામાં તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે.
આ પહેલા બુધવારે દિલ્હી પોલીસે હિંસાને લઈને IPCની ધારા 395 (ડકૈતી), 397 (ડકેતી, ચોરી અથવા કોઈ વસ્તુને નુકસાન પહોંચાડવાની ઈસ્છાથી હુમલો કરવો), 120 બી (ગુનાના ષડયંત્રની સજા) અને અન્ય ધારાઓ અંતર્ગત એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન દિલ્હીમાં લાલ કિલ્લા પર થયેલી હિંસાના સંબંધમાં FIR નોંધવામાં આવી છે. આ મામલામાં તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે.
લાલ કિલ્લા પર ધાર્મિક ધ્વજ લગાવ્યો
ટ્રેકટર રેલી દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ હિંસા ભડકાવી હતી. તેમજ પોલીસ સાથે અથડામણ થઈ હતી. તોફાની તત્વોએ લાલ કિલ્લા પર એક ધાર્મિક ધ્વજ લગાવ્યો હતો.
અનેક સીસીટીવી ફુટેજ તથા તમામ વીડિયોને તપાસવામાં આવી રહ્યા
ઈન્ચાર્જ પીઆરઓ( દિલ્હી પોલીસ) અનિલ મિત્તલે જણાવ્યું કે મંગળવારે થયેલી હિંસાના મામલામાં અત્યાર સુધી 22 ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે હિંસામાં 300થી વધારે પોલીસકર્મી ઘાયલ થયા છે. અધિકારીએ જણાવ્યું કે મંગળવારે થયેલી હિંસામાં સામેલ લોકોની ઓળખ કરવા માટે અનેક સીસીટીવી ફુટેજ તથા તમામ વીડિયોને તપાસવામાં આવી રહ્યા છે અને ગુનેગારોની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. રાષ્ટ્રીય રાજધાનીમાં અનેક સ્થળો પર સુરક્ષાને મજબૂત કરવામાં આવી છે. ખાસ કરીને લાલ કિલ્લા અને ખેડૂતોના પ્રદર્શન સ્થળો પર અતિરિક્ત અર્ધ સૈનિક દળોને તૈનાત કરવમાં આવ્યા છે.