ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલા પાક નુકસાન અંગે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. જેને ભાજપ અને કોંગ્રેસ બંનેએ આવકાર્યું છે. સાથે જ કાર્યકર્તાઓ અને અધિકારીઓને ખેડૂતોને મદદ કરવા માટે અપીલ પણ કરી છે. જોકે આ જાહેર કરેલી સહાય પર કિસાન કોંગ્રેસ સેલના પ્રમુખ પાલ આંબલિયાએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કૃષિમંત્રી અને મુખ્યમંત્રીએ કરેલા આંકડાને લઇને આકરા પ્રહાર કર્યા છે.
સરકારે પાક નુકસાન અંગે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું
કૃષિમંત્રી અને મુખ્યમંત્રીએ કરેલા આંકડાને લઇને આકરા પ્રહાર
કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ ઉઠાવ્યા સવાલ
3700 કરોડના પેકેજ પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપી હતી. પાલ આંબલિયાએ કહ્યું કે, ચાર દિવસ કૃષિ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, 13 લાખ હેક્ટર નુકસાન થયું છે. જ્યારે આજે મુખ્યમંત્રી વિધાનસભામાં કહે છે કે, 37 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે. તેમણે કહ્યું હતું કે, કૃષિમંત્રી અલગ કહે મુખ્યમંત્રી અલગ કહે આમાં વાત કોની માનવી. મુખ્યમંત્રી કૃષિમંત્રીના સ્ટેટમેન્ટનું પોતાનું એક વજૂદ હોય. આ સરકાર છે કે ગામને જાપે ભજવાતી ભવાઈ મંડળ. કૃષિમંત્રી કહે 13 લાખ હેક્ટરમાં નુકશાન છે મુખ્યમંત્રી કહે 37 લાખ હેક્ટરમાં નુકશાન છે. મુખ્યમંત્રીની જાહેરાત મુજબ રૂપિયા આપવાના હોય તો કૃષિમંત્રીની જાહેરાતનું વજૂદ શુ?
SDRF મુજબ વળતર ન આપવું હોય તો SDRF મુજબ સર્વે શા માટે?: પાલ આંબલિયા
પાલ આંબલિયાએ કેટલાક સવાલો કરતા કહ્યું હતું કે, SDRF મુજબ વળતર ન આપવું હોય તો SDRF મુજબ સર્વે શા માટે? રાજ્ય નિયમો મુજબ ચાલે છે કે મુખ્યમંત્રીશ્રીના મન મરજી મુજબ? 20 દિવસથી કૃષિમંત્રી ખેડૂતો પાસે ફોર્મ ભરાવડાવે છે અને હવે મુખ્યમંત્રી કહે 1 ઓક્ટોબરથી ફોર્મ ભરાશે. કૃષિમંત્રીના કહેવાથી જે ખેડૂતોએ પાક નુકશાની ફોર્મ ભર્યા એમને હવે ફરીથી ફોર્મ ભરવા પડશે? રાજ્યમાં કૃષિમંત્રી અને મુખ્યમંત્રીના ખેતીવાડી અધિકારીઓ અલગ અલગ છે? 1 ઓક્ટોબરથી ખેડૂતો ઓનલાઈન ફોર્મ ભરશે એનું સર્વે ક્યારે કરાશે? જો ઓનલાઈન ફોર્મના આધારે સીધા ખાતામાં જ જમા કરવાના હોય તો સર્વે કરવાનું નાટક શા માટે? ગયા વર્ષે 3795 કરોડની જાહેરાત કરી હતી ખેડૂતોને 1200 કરોડ ચૂકવ્યા હતા. ગયા વર્ષ જેવું જ આ વર્ષે સરકાર સહાય આપવા માંગે છે? જોકે, આજની પ્રેસ કોન્ફરન્સમાં આર.સી. ફળદુએ 37 લાખ હેક્ટરમાં સહાય આપવાની વાત કરી છે.
દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં નાણા જમા કરાવીશુંઃ આર.સી. ફળદુ
ખેડૂતોને સહાય અંગે કૃષિમંત્રી આર.સી ફળદુએ કહ્યું હતું કે અગાઉ સરકારે સર્વે કર્યો હતો. આ સર્વેના આધારે સહાયનો નિર્ણય કર્યો છે. ઓગસ્ટમાં વરસાદથી પાકને વિપરિત અસર પડી છે. સર્વેના અહેવાલો આધારે નિર્ણય લેવાયો છે. સર્વે અને સ્થિતિને ધ્યાને રાખવામાં આવી છે. અમે જે કહ્યું હતું તેનું પાલન કર્યુ છે. મુખ્યમંત્રીએ મોટુ મન રાખીને નિર્ણય કર્યો છે. સરકારી આફતના સમયે સરકાર ખેડૂતોની પડખે છે. ફળદુએ કહ્યું કે, રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી ઉમેરો કર્યો છે. પ્રતિ હેક્ટર 10 હજારની સહાયનો નિર્ણય કર્યો છે. ખેડૂતોવતી CM અને DyCMને અભિનંદન. ભૂતકાળમાં પણ ભાજપ સરકાર ખેડૂતોની પડખે રહી. ખેડૂતોની આર્થિક ઉન્નતી માટે સરકાર પ્રતિબદ્ધ છે. રાષ્ટ્ર સેવામાં ગુજરાતનો ખેડૂત મહેનત કરી રહ્યો છે. સર્વેના અહેવાલ આવશે તે પ્રમાણે વિસ્તારોનો ઉમેરો થશે. દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં નાણા જમા કરાવીશું. હજુ પણ સર્વેના અહેવાલોની કામગીરી ચાલુ. એકપણ ખેડૂતને વંચિત રાખવામાં નહીં આવે.
અંદાજીત 51 લાખ હેક્ટર પૈકી 37 લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્રઃ CM વિજય રૂપાણી
મુખ્યમંત્રીએ કહ્યું કે, 3700 કરોડની ખેડૂતોને સહાય કરવામાં આવશે. વધુમાં વધુ ખેડૂત ખાતેદારોને સહાય મળશે. જેમાં 27 લાખ ખેડૂતોને સહાય કરવામાં આવશે. 20 જિલ્લાના 123 તાલુકાને સહાય કરવામાં આવશે. અંદાજીત 51 લાખ હેક્ટર પૈકી 37 લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર. 1 ઓક્ટોબરથી ખેડૂત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે.