ચાલુ ખરીફ સીઝનમાં મહદ અંશે સૌરાષ્ટ્ર વિસ્તારમાં અગત્યનાં ખેતી પાક-મગફળીમાં ધૈણ નામની જીવાતનો ઉપદ્રવ સામાન્ય રીતે જોવા મળતો હોય છે. આ ધૈણની ઇયળો પહેલાં તંતુમૂળ અને ત્યારબાદ મુખ્ય મુળને કાપીને નુકશાન કરે છે. તેનું નુકશાન ચાસમાં આગળ વધતા મગફળીના છોડ સુકાવાથી ખેતરમાં મોટા ખાલા પડે છે અને મોટા પ્રમાણમાં નુકશાન કરે છે, જો ધૈણનો ઉપદ્રવ વધુ પડતો જોવા મળે તો સંકલિત જીવાત નિયંત્રણ અંતર્ગત પાક અને જીવાતની પરિસ્થિતિ અનુસાર જરૂરી પગલાં લેવા સંબંધિત ખેડૂતોને ગુજરાત રાજ્ય કૃષિભવનના ખેતી નિયામક દ્વારા ભલામણ કરવામાં આવે છે.
મગફળીના પાકમાં સફેદ ધૈણનો ઉપદ્રવ અટકાવવાનાં ઉપાયો
ચોમાસાનો સારો વરસાદ થયા પછી જમીનમાં પડી રહેલ સુષુપ્ત ઢાલિયા સંધ્યા સમયે જમીનમાંથી બહાર નીકળીને ખેતરના શેઢા-પાળા પર આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના પાન ખાવા આવતા ઢાલિયાને ઝાડના ડાળા હલાવી નીચે પાડી વીણાવી લઇ કેરોસીનવાળા પાણીમાંનાખી નાશ કરવો. ખેતરની ચારે બાજુ આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના બધા પાન ઉપર સારીરીતે છંટાય તે પ્રમાણે ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિલિ અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિલિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. દીવલીનો ખોળ ૫૦૦ કિ.ગ્રા. હેક્ટર પ્રમાણે વાવેતર પહેલા ચાસમાં આપવાથી ધૈણ ઉપરાંતમગફળીના પાકમાં ડોડવાને નુકશાન કરતી જીવાતો સામે રક્ષણ આપી શકાય. ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉપદ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજરગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. બ્યુવેરિયા બેસિયાના અને મેટારિઝિયમ એનિસોપ્લિયા નામની ફુગનો પાઉડર ૨૫ ગ્રામ એક કિગ્રાબીજને માવજત આપી વાવેતર કરવુ. ઉગવાના ૩૦ દિવસ પછી આ કુગ ૧ કિગ્રા ૩૦૦ કિગ્રાદિવેલી ખોળ સાથે ભેળવી છોડની હરોળમાં આપવી.
સામુહિક ઉપાયોની સાથે સાથે વ્યક્તિગત ધોરણે પણ પોતાનો પાક બચાવવા દરેક ખેડૂતે ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૫ મિલિ અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 3 મિલિ અથવા ક્લોથીયાનિડીન ૫૦ ડબલ્યુડીજી ૨ ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૬૦૦એફએસ ૬.૫ મિલિ પ્રતિ કિગ્રા બીજ પ્રમાણે બીજ માવજત વાવતા પહેલા ત્રણ કલાકે આપી છાંયડામાં સુકવી વાવેતર તરીકે ઉપયોગ કરવો.મીથોક્સી બેન્ઝીન નામનું રસાયણ બજારમાં ઉપલબ્ધ છે, જે આ જીવાતના એગ્રીગેશન એટલે કે બધા પુખ્ત એકઠા કરવાના ફેરોમોન તરીકે કામ કરે છે. તેનો ઉપયોગ કરી ઢાલિયાની વસ્તીને કાબૂમાં રાખી શકાય. તેનો ઉપયોગ કરવા૫ ૫ સે.મી. ના વાદળી (સ્પોંજ)ના ટુકડા કરવા, જેને ૪૫-૫૦ સે.મી. લાંબા લોખંડના પાતળા તારના એક છેડે વચ્ચેથી દાખલ કરી તારની આંટી મારવીઅને બીજા છેડે નાનો પથ્થર બાંધવો. આ તૈયાર થયેલ ફેરોમોન ટ્રેપને વચ્ચેથી વાળી ઝાડની ડાળી પર લટકે તેવી ગોઠવણ કરવી.વાદળીના ટૂકડા પર ટપકણીયામાંથી ૩ મિલિ જેટલું મીથોક્સી બેન્ઝીન ટીપે ટીપે રેડવું.
કિસાન કોલ સેન્ટર ટોલ ફી નંબર
ઉભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ૨૫ ઇસી અથવા કલોરપાયરીફોસ ૨૦ ઈસી હેક્ટરે ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપેટીપે આપી શકાય. જો પિયત આપવાનું થતુ ન હોય અને સમયાંતરે વરસાદ પડતો હોય તો કીટનાશક છાંટવાના પંપમાં દ્રાવણ ભરી તેની નોઝલ કાઢી લઈ ચાસમાં પુરતા પ્રમાણમાં આપવી. આ કીટનાશકને રેતી સાથે ભેળવી વરસાદ પહેલા ચાસની બાજુમાં રેડવાથી પણ સારા પરિણામમેળવી શકાય.આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, કે.વી.કે., ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(વિ.), નાયબ ખેતી નિયામક (તાલીમ)અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફી નંબર–૧૮૦૦ ૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા ગુજરાત રાજ્ય કૃષિભવનના ખેતી નિયામકની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
રાજ્ય સરકાર હરહંમેશ જગતના તાતની પડખે રહી છે. ખેડૂતો માટે વાવણીથી લઈ લણણી ખેડૂતોના હિત માટે જરૂરી સૂચનો સમયાંતરે કરવામાં આવે છે. કપાસનું વાવેતર કરતાં ખેડૂતો માટે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરીને કપાસના પાકમાં ગુલાબી ઇયળ અને સફેદ માખીના નિયંત્રણ માટેના પગલાં સૂચવવામાં આવ્યાં છે. કપાસના પાકમાં ગુલાબી ઇયળ (Pactiophora gossypiella) ના નિયંત્રણ માટેના પગલા નાયબ ખેતી નિયામક, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે કે, મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ફેરોમોન ટ્રેપ ગોઠવવા અને ટ્રેપમાં સતત ત્રણ દિવસ સુધી ફેરોમોન ટ્રેપ દીઠ ૮ ફુદાં પકડાય તો કીટનાશકનો છંટકાવ કરવો જોઈએ. તેમજ ઉપદ્રવની શરૂઆતથી લઈ કપાસની છેલ્લી વિણી સુધી હેક્ટરે ૪૦ પ્રમાણે ગુલાબી ઈંચળની નર ફુદીને આકર્ષતા ફેરોમોન ટ્રેપ કપાસ ઉગાડતા ખેડૂતોએ સામુહિક ધોરણે ગોઠવવા સૂચન કરવામાં આવ્યું છે.
ગુલાબી ઈંચળને રોકવા શું કરવું?
લીંબોળીના મીંજનો ભૂકો પાંચ ટકા, ૫૦ મિલી. લીબોળીનું તેલ તથા ૧૦ ગ્રામ ધોવાનો પાવડર ૧૦ લીટર પાણીમાં મીક્ષ કરી વાવણીના ૫૦-૬૦ દિવસ પછી છંટકાવ કરવો. જૈવિક નિયંત્રણ માટે ઈંડાની પરજીવી ટ્રાઇકોગ્રામા ભમરી @૧ થી ૧.૫ લાખ પ્રતિ હેકટરે ૧૫ દિવસના આંતરે ચારથી પાંચ વખત પાનની નીચેની બાજુએ ચીપકાવી વાપરી શકાય. ગુલાબી ઇયળના ઉપદ્રવ શરૂ થયા બાદ બીવેરીયા બેસીયાનાનો ૨૫ કિલો પ્રતિ હેકટર પ્રમાણે છંટકાવ કરવો. કીટનાશકોના છંટકાવની જરૂરિયાત ઉપસ્થિત થાય તો પરજીવી ભમરી છોડ્યા બાદ ૭ દિવસનો ગાળો રાખી છંટકાવ કરવો. દવાઓનો છંટકાવ કરતા પહેલાં કપાસના છોડ ઉપરથી વિકૃત થઇ ગયેલ ફૂલ/ભમરી તોડી લઇ ઇયળ સહિત નાશ કરવો. કપાસનાં પાકમાં ફૂલ-ભમરી, જીંડવાની શરૂઆત થતા અસ્ત-વ્યસ્ત પદ્ધતિથી ૧૦૦ ફૂલ ભમરી/જીંડવા તપાસવા અને તે પૈકી પાંચમાં ગુલાબી ઇયળની હાજરી જોવા મળે તો કીટનાશક દવાનો છંટકાવ કરવો એમ યાદીમાં જણાવ્યું છે.
ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૫ મિલિ અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૨૦ મિલિ અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિલિ અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી ૨૦ ગ્રામ અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૪.૫ એસસી અથવા એમામેક્ટીન બેનઝોએટ ૫ એસજી ૫ ગ્રામ અથવા ડેલ્ટામેથ્રીન ૧.૮ ઈસી અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૧૦ મિલિ અથવા કલોરપાયરીફોસ ૫૦% + સાયપરમેથ્રીન પ% ઈસી ૧૦ મિલિ અથવા પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથીન ૪% ઈસી ૨૦ મિલિ પૈકી કોઇપણ એક કીટનાશક દવા ૧૦ લિટર પાણીમાં ભેરવી છંટકાવ કરવો.
કપાસના પાકમાં સફેદ માખી (Bemisia tabaci)ના નિયંત્રણ માટેના પગલા
સફેદ માખીની વસતિ પર દેખરેખ રાખવા માટે એકર દીઠ ૪૦ ના દરે પીળી સ્ટીકી ટ્રેપ ગોઠવવી. તેમજ કપાસના ખેતરોમાં ઉપલબ્ધ કુદરતી દુશ્મનો જેવા કે એન્કાર્લીયા ફોર્મેસા, એન્કાર્લીયા sp., કરોળિયા, સિર્ફિડ ફ્લાય, ક્રાયસોપરલા, ઢાલીયા, ડ્રેગન ફ્લાય, મેન્ટિસ, શિકારી કીડીઓ, ભમરી વગેરેને ઓળખવા, જાળવવા અને વધારવા કે જે સફેદ માખીની વસ્તીને ડામવામાં મદદરૂપ થાય છે. વર્ટીસિલિયમ લેકાની ૧.૧૫ ટકા ડબલ્યુપી ૫૦૦ લિટર પાણીમાં ૨.૫ કિગ્રા પ્રતિ હેક્ટર પ્રમાણે ઉપયોગ કરી શકાય છે. સફેદ માખીના ઉપદ્રવ વખતે લીંબોળીની મીંજ ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૫૦ મિલિ અથવા લીમડા આધારિત કિટનાશકનો ૧૦ મિલિ (૫ ઇસી)થી ૬૦ મિલિ (૦.૦૩ઇસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઈએ.
કપાસની સફેદ માખીના નિયંત્રણ માટે ભલામણ કરેલ જંતુનાશકો થાયાક્લોપ્રિડ ૪૮ એસસી ૫ મિલિ, ફ્લોનિકામાઇડ ૫૦ ડબલ્યુજી ૩ ગ્રામ, ડાયફેન્ચ્યુરોન ૫૦ ડબલ્યુપી ૧૦ ગ્રામ, ડીનોટેફ્યુરાન ૨૦ એસજી ૧૦ ગ્રામ, ક્લોથીઆનિડીન ૫૦ ડબલ્યુડીજી ૪ ગ્રામ, ફીપ્રોનિલ ૫ એસસી ૨૦ મિલિ, એસીફેટ ૫૦% + ઇમિડાક્લોપ્રીડ ૧.૮% એસપી ૧૦ મિલિ, એસીફેટ ૫૦% ફેનવેલરેટ ૩% ઇસી ૧૦ મિલિ ફીપ્રોનીલ ૪% + એસીટામીપ્રીડ ૪% એસસી ૪૦ મિલિ પૈકી કોઇપણ એક કીટનાશક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો એમ નાયબ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે. આ અંગે વિસ્તૃત જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, કે.વી.કે વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), નાયબ ખેતી નિયામક (તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર - ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧નો સંપર્ક કરવો.