છેલ્લા ઘણા દિવસથી દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ચાલી રહેલા આંદોલનની વચ્ચે ખેડૂતોની સંખ્યા હવે ઘટવા લાગી છે.
બોર્ડર પર ઘટી ખેડૂતોની સંખ્યા
દેશભરમાં આંદોલનને ફેલાવવાની રણનીતિ
સરકારના વલણને જોતાં ખેડૂત આગેવાનોએ બદલી રણનીતિ
ખેડૂતો ઘટયા પણ સરકારનું ટેન્શન વધશે
કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી અને આસપાસની બોર્ડર પર છેલ્લા 80થી પણ વધારે દિવસોથી આંદોલન ચાલી રહ્યું છે પણ હવે ધીમે ધીમે સિંઘુ અને ગાજીપુર બોર્ડર પર ખેડૂતોની સંખ્યા ધીમે ધીમે ખૂબ ઘટી રહી છે. ઘણા બધા ખેડૂતો પોતાના ગામ પરત ફરી રહ્યા છે અને છેલ્લા મહિનામાં જેટલા ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા હતા તેટલા હવે ધરણાસ્થળ પર નથી બચ્યા. જોકે આની પાછળ ખેડૂતોની એક અલગ જ રણનીતિ હોવાનું સામે આવી રહ્યું છે.
દેશભરમાં આંદોલનને વ્યાપ કરાશે
નોંધનીય છે કે સરકારના વલણને જોતાં ખેડૂતોને ખબર પડી ગઈ છે કે હવે આ લડાઈ લાંબી ચાલવાની છે ત્યારે હવે મુખ્ય ઉદ્દેશ આ આંદોલનને દેશભરમાં ફેલાવવાનો થઈ ગયો છે.
રાકેશ ટીકૈત જુદા જુદા રાજ્યમાં જશે
નવી રણનીતિ હેઠળ દેશના બધા રાજ્યોમાં મોટી સંખ્યામાં સભાઓ કરીને આંદોલન માટે સમર્થન ઊભું કરવામાં આવશે. ખેડૂતોના આગેવાન રાકેશ ટીકૈતે પહેલા જ દેશભરમાં અલગ અલગ જગ્યાઑ પર મહાપંચાયતનું આયોજન કરવાનું મન બનાવી લીધું છે. આગામી દસ દિવસમાં તે હરિયાણા, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત કેટલાય રાજ્યોમાં પંચાયત કરી શકે છે.
નોંધનીય છે કે સરકાર અને ખેડૂતો વચ્ચે ગયા મહિને આંદોલન પર ચર્ચા કરવામાં આવી હતી. જોકે વારંવાર ચર્ચા વિચારણા બાદ પણ કોઈ રસ્તો નીકળી શક્યો નથી. છેલ્લે સરકારે દોઢ વર્ષ સુધી કાયદાને રોકી દેવાનો પ્રસ્તાવ પણ આપ્યો હતો. પીએમ મોદીએ પણ કહ્યું છે કે ખેડૂતોને જે પ્રસ્તાવ આપ્યો હતો તે આજે પણ છે જ.
જરૂર પડી તો એક જ દિવસમાં એક લાખ ખેડૂતો ભેગા કરી દેવાનો દાવો
ગાજીપુર પ્રોટેસ્ટ કમિટીના પ્રવક્તા જગતાર સિંહ બાજવાએ કહ્યું છે કે શરૂઆતમાં આ આંદોલન પર બોર્ડર પર કેન્દ્રિત હતું પરંતુ હવે ખેડૂતો નેતાઓ રણનીતિ બદલી રહ્યા છે જેથી આ આંદોલન ગામડાઑ અને લોકોના ઘરો સુધી પહોંચાડી શકાય. અમે અલગ અલગ જગ્યાઑ પર મહાપંચાયત કરવા જઈ રહ્યા છે. બાજવાએ દાવો કર્યો કે જો અમારે ભીડ ભેગી કરવી હોય તો ગાજીપુર બોર્ડર પર જ એક દિવસમાં એક લાખ ખેડૂતો અહિયાં આવી શકે છે.