આપણામાંથી ઘણાં બધાં લોકો જરુરિયાતમંદોને ઘણી બધી વસ્તુઓની મદદ કરતાં હોઇએ છીએ. ઘણીવાર મદદ દરમિયાન આપણે કોઇની જાણે અજાણે તેમની સેલ્ફ રિસ્પેક્ટને પણ ઠેસ પહોંચાડતાં હોઇએ છીએ. ત્યારે વડોદરાનું આ ટ્રસ્ટ જરુરિયાતમંદોનાં સ્વાભિમાનને જાળવીને મદદ કરે છે. જરુરિયાતમંદો માટે તેમણે ખુશીયોનો કબાટ નામની નેકીની ચેઇન શરુ કરી છે. અહીં મદદ લેનાર પણ મદદ કરે છે. કેવી રીતે ભરાય છે આ ખુશીયોનો કબાટ.
સ્વાભિમાન સાથે મદદ કરવાનો પ્રયાસ કરતી સંસ્થા
અહીં એક વખત મદદ લેનાર જ બીજાને અનેક વખત મદદ કરે છે
અહીં ખુશીઓની વસ્તુઓનું આખુ બજાર ભરાય છે
ખુશીયોનાં કબાટમાં શું છે?
વડોદરાનું અનંતા ચેરીટેબલ ટ્રસ્ટ વર્ષ 2017થી ખુશીયોનું કબાટ શરુ કર્યું છે. જેને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આ ટ્રસ્ટે નક્કી કર્યું કે લોકોને મદદ પણ કરવી છે અને તેમનું સ્વાભિમાન પણ જળવાય. જેથી તેમણે શહેરમાં અલગ અલગ જગ્યાએ મોટા ડ્રમ મુક્યાં જેમાં લોકો જેને જે વસ્તુનું દાન આપવું હોય અથવા તેમનાં માટે નક્કામી તેવી કોઇ પણ વસ્તુ તેમાં નાંખી શકે. આ રીતે તેઓ વસ્તુઓ કલેક્ટ કરે છે. આ વસ્તુઓને તેઓ જરુરિયાતમંદો સુધી પહોચાળે છે.
અહીં વસ્તુઓનું નહીં ખુશીયોનું બજાર ભરાય છે
ખુશીયોનાં કબાટમાં આવેલી ગિફ્ટને જરુરિયાતમંદો સુધી પહોંચાડવાં આ ટ્રસ્ટ વડોદરાનાં અકોટા અતિથિગૃહમાં ખુશીયોનું બજાર સજાવે છે. એટલે કે અહીં દાનમાં આવેલી વસ્તુઓને મોલની જેમ દરેક કેટેગરી પ્રમાણે ગોઠવણી કરે છે. જેમાં જરુરિયાતમંદ લોકો તેને જે વસ્તુની જરુર હોય તે પસંદ કરે છે. કોઇ પણ એક વસ્તુનો ભાવ રૂ. 10 રાખવામાં આવે છે. વધુમાં વધું 5 વસ્તુ લોકો ખરીદી શકે છે. જેનું બિલીંગ મોલની જેમ એક કાઉન્ટર પર કરવામાં આવે છે. ખરીદી કરનારે વસ્તુનાં ચુકવેલા પૈસાનાં બદલામાં ડોનેશન સ્લીપ આપવામાં આવે છે.
કિંમત ચુકવતા બીલ નહી દાતા તરીકેની સ્લિપ અપાય છે
વસ્તુનાં વેચાણથી મળેલા પૈસાનો ઉપયોગ આ ટ્રસ્ટ દ્વારા ચાલતી એકલવ્ય પ્રોજેક્ટમાં વાપરવામાં આવે છે. એકલવ્ય પ્રોજેક્ટમાં આર્થિક રીતે નબળા અને ભણવામાં હોંશિયાર બાળકોને ભણવું હોય ત્યાં સુધી ભણાવવાનો તમામ ખર્ચ ઉપાડવામાં આવે છે. જેમાં ખુશીયોના કબાટમાં જરુરિયાતમંદોએ કરેલા દાનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે નેકીની ચેઇન આ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે.
15 હજારથી વધારે લોકોને મળ્યો છે લાભ
3 વર્ષમાં 3 વખત ખુશીયોનું કબાટ ભરાયું છે. જેનો લાભ 15 હજારથી વધારે લોકોએ લીધો છે. જ્યારે એકલવ્ય પ્રોજેક્ટમાં 62 જેટલા બાળકોને આનો લાભ મળી રહ્યો છે. આવી અનેક એક્ટીવીટી આ ટ્ર્સ્ટ દ્વારા કરવામાં આવે છે. જ્યારે 13 ઓક્ટોબરનાં રોજ આ ખુશીયોનું કબાટ ઇવેન્ટ વડોદરામાં ચોથી વખત થવા જઇ રહી છે.
સ્વાભિમાન જાળવવા લેવાય છે ટોકન અમાઉન્ટ
કોઇને મફતમાં વસ્તુ આપીએ તો તેમને એમ થાય તે મારી પરિસ્થિતી આવી છે એટલે આ લોકો મને મફત આપે છે. એની મજબુરી છે એટલે પણ તે બોલ્યાં વગર લઇ પણ લે છે, પણ અમે ટોકન અમાઉન્ટ એટલા માટે લઇએ છીએ જેથી તેને વસ્તુ ખરીદ્યાનો અને સ્વાભિમાન સચવાયાનો ભાવ થાય. બીજુ કે એ પૈસાની અમે દાતા તરીકેની રસીદ આપીએ છીએ. તેમને આપેલા પૈસાનો ઉપયોગ જરુરીયાદમંદ બાળકોને ભણાવવા કરીએ છીએ. - જીતુભાઇ પટેલ એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર, અનંતા ચેરીટેબલ ટ્રસ્ટ