ખોડલધામ, ઉમિયાધામ અને પાટીદાર આંદોલન(PAAS)ના નેતાઓએ આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મહત્વની બેઠક કરી હતી.
ગાંધીનગરમાં CM સાથે પાટીદાર આગેવાનોની થઇ બેઠક
આંદોલન સમયના થયેલા કેસ પરત ખેંચવા અંગે બેઠકમાં થઇ ચર્ચા
મુખ્યમંત્રીએ કેસ પરત ખેંચવાની આપી બાંહેધરીઃ દિનેશ બાંભણિયા
અગાઉની સરકારમાં ઘણા કેસ પરત ખેંચાયા છેઃ દિનેશ બાંભણિયા
ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, PAAS નેતા અને અન્ય પાટીદારોએ ગાંધીનગર મુખ્યમંત્રી આવાસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. જેમાં આંદોલનના સમયના બાકી રહેલા પ્રશ્નોની તથા પાટીદાર સમાજના સામે કરાયેલ કેસો ફરી પાછા લેવા મામલે ચર્ચા કરવામાં આવી છે. આ બેઠકમાં નરેશ પટેલ, અલ્પેશ કથીરિયા અને દિનેશ બાંભણિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ગાંધીનગરમાં CM સાથે પાટીદાર આગેવાનોની મળેલી બેઠક 45 મિનિટ સુધી ચાલી હતી. ત્યારે CM અને પાટીદારો વચ્ચે શું ચર્ચા થઇ? આ અંગે પાસ આગેવાન દિનેશ બાંભણિયાએ માહિતી આપી હતી.
મુખ્યમંત્રીએ કેસ પરત ખેંચવાની આપી બાંહેધરીઃ દિનેશ બાંભણિયા
આ બેઠક અંગે PAAS આગેવાન દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, નરેશ પટેલની હાજરીમાં બેઠક થઈ છે. કેસ પરત ખેંચવા બાબતે ચર્ચા થઈ છે. કેસ પરત ખેંચવામાં આવશે. મુખ્યમંત્રીએ કેસ પરત ખેંચવા બાંહેધરી આપી છે. યુવાનોને હેરાનગતિ કરવામાં નહીં આવે. CM દુબઇથી પરત આવશે એટલે અધિકારીઓ સાથે બેઠક કરશે. શહિદ પરિવારના એક સભ્યને નોકરી આપવાની ખાત્રી આપી છે. તો રાજદ્રોહના કેસ પરત ખેંચવાની પણ ખાત્રી આપી છે.
અગાઉની સરકારમાં ઘણા કેસ પરત ખેંચાયા છેઃ દિનેશ બાંભણિયા
બાંભણિયાએ કહ્યું કે, CM સાથે 45 મિનિટ બેઠક ચાલી છે. અગાઉની સરકારમાં ઘણા કેસ પરત ખેંચાયા છે. હવે પછીની બેઠકમાં સમયમર્યાદા વિશે ચર્ચા કરીશું. 28 જેટલી એફઆઈઆરમાં સમાધાન થયું છે. રાજદ્રોહના 3 કેસ છે. 9 શહીદ પરિવારને નોકરી આપવાની ખાત્રી આપી છે. અમને વિશ્વાસ છે કે, મુખ્યમંત્રીના આશ્વાસન બાદ કેસો પરત ખેંચાશે. આવતા અઠવાડિયામાં મિટિંગ થશે ત્યારે તમામ ટાઇમલાઇન ગોઠવવામાં આવશે. 485 ફરિયાદ હતી તેમાં 228 ફરિયાદ વિડ્રોઅલ થઇ છે. બાકીના કેસો પરત ખેંચવાની પ્રક્રિયા અટવાઇ છે. 146 કેસોની યાદી અમે લઇને આવ્યા છીએ. આંદોલન સમયના 3 ઇજાગ્રસ્તોને વળતરની માંગણી કરી છે.
140 જેટલા કેસ મામલે મુખ્યમંત્રીને રજૂઆત
સરકાર સાથે બેઠક પહેલા નરેશ પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલનના મુદ્દે આજે ચર્ચા કરીશું. બને એટલા ઝડપી કેસ પાછા ખેંચવામાં આવે. 140 જેટલા કેસ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરીશું. મને કોઈએ રાજકારણ મુદ્દે ઓફર આપવામાં આવી નથી. અને આ કેસોની સ્થિતિ જોતા સરકારને 2થી 3 મહિનાનો સમય આપવો પડે. તો અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, મુખ્યમંત્રી પાસે આશા છે કે નવા કેસોનો ઉકેલ લાવવામાં આવે અને શહીદ પરિવારને નોકરી આપવામાં આવે. 200થી વધુ કેસ છે.
આ પહેલા પાટીલે કરી હતી નરેશ પટેલ સાથે મુલાકાત
ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ રાજકોટના પ્રવાસ દરમિયાન નરેશ પટેલ સાથે ચર્ચા કર્યા બાદ પાટીલે પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસો મુદ્દે કહ્યું હતું કે, જે કેસ પરત નથી ખેંચાયા તે પણ પરત ખેંચાશે. પાટીદાર આંદોલનમાં અગાઉ કેટલાક કેસો રદ કર્યા છે. 78 જેટલા કેસો પરત લેવાની કાર્યવાહી સરકાર કરી રહી છે. સરકારે જે વાયદો કર્યો તેના પર અડગ છે. ચોક્કસપણે તેનું પાલન થશે. ત્યારે આજે સીએમ સાથે નરેશ પટેલ તેમજ અગ્રણીઓની થયેલી બેઠક બાદ આ કેસમાં ઝડપથી પાછા લેવાય તેની રજૂઆત કરી છે.