સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહી છે. સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાનોની ખોડલધામ ખાતે ખાનગી બેઠક મળી હતી. ભાજપ-કોંગ્રેસના પાટીદાર આગેવાનોની બેઠકમાં સૂચક હાજરી જોવા મળતા ગણગણાટ અને તર્ક વિતર્ક શરૂ થઈ ગયા હતા.
ખોડલધામમાં પાટીદાર આગેવાનોની બેઠક પૂર્ણ
ભાજપ-કોંગ્રેસના લેઉવા પાટીદાર અગ્રણીઓની યોજાઈ હતી બેઠક
નરેશ પટેલની પણ બેઠકમાં હતી હાજરી
ગુજરાતમાં આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે તેને લઈને રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ખોડલધામના સાનિધ્યમાં લેઉવા પાટીદાર આગેવાનોની બેઠક મળી હતી. તેમાં લેઉવા પાટીદાર સમાજના તમામ રાજકીય પાર્ટીઓના નેતાઓ,સામાજિક આગેવાનો વગેરે મોટી સંખ્યામાં ભેગા થયા હતા. આમ તો ખોડલધામના નરેશ પટેલ આ બેઠકને સામાજિક ગણાવી રહ્યા છે.
પરંતુ રાજ્યમાં આવતી દરેક મહત્વની ચૂંટણીઓ પહેલા નરેશ પટેલ સામાન્ય રીતે સક્રિય થઈ જતા હોય છે. ત્યારે અત્યારે એક તરફ સતાધારી પક્ષ ભાજપમાં પાટીદારોની થતી સતત અવગણના કહેવાય છે કે અત્યારે ઘણા લાંબા સમય બાદ પ્રથમ વખત એવું બન્યુ છે કે સંગઠન કે સરકાર બંન્નેમાંથી કોઈ પણ શિર્ષ નેતૃત્વમાં કોઈ પાટીદાર નેતા નથી તો બીજી તરફ કોંગ્રેસ પણ 8 પેટાચૂંટણીના રકાસ પછી પરેશ ધાનાણીને બદલવાની વેતરણમાં છે ત્યારે રાજ્યની રાજનીતિમાં પાટીદારોના ઘટતા કદના સમયમાં આ સામાજિક બેઠક ચોક્કસથી સૂચક બની રહેશે. અને આ બેઠકના પરિણામ શું આવશે એ તો આવનારો સમય જ બતાવશે.
સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાનોની ખોડલધામ ખાતે ખાનગી બેઠક મળી હતી જેમાં રાજ્યભરના લેઉવા પટેલ સમાજના રાજકીય,સામાજિક આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ગોપાલ ઇટાલિયા અને ખોડલધામના ટ્રસ્ટીઓ પણ બેઠકમાં હાજર હતા. સૂત્રોનું કહેવું છે કે આ બેઠકમાં ગોંડલના નિખિલ દોંગા અને જામનગરના જયેશ પટેલ મુદ્દે ચર્ચા થઈ હતી અને એ જ મુદ્દે કાયદાકિય સંકજો પાટીદારો ઉપર ઝકડાઈ રહ્યો હોવા મુદ્દે ચર્ચાઓ થઈ હોવાની વાતો પણ સંભળાઈ રહી છે.
કોણ કોણ રહ્યું હાજર?
પરેશ ધાનાણી, નરેશ પટેલ, જયેશ રાદડિયા, ગોરધન ઝડફિયા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા એટલું જ નહીં પરંતુ લલિત વસોયા, કિરીટ પટેલ,ગોપાલ ઇટાલિયાની પણ હાજર રહેતા લોકો એક વત્તા એક બરાબર બે એમ કરીને તડજોડના રાજકારણની ચર્ચાએ વળગ્યા હતા.
આ બેઠકને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી -રાદડિયા
જયેશ રાદડિયાએ આ અંગે સ્પષ્ટતા કહ્યું કે, આ બેઠકને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી. સમાજના પ્રશ્નોને લઇ ચર્ચા કરવામાં આવી રહી હતી. પાટીદાર સમાજ માટે આ બેઠક હતી.
સમાજના પ્રશ્નોને લઈને અમે ભેગા થયા હતા-નરેશ પટેલ
ખોડલધામ નરેશ પટેલે પણ બચાવ કરતા જણાવ્યું હતુ કે, આ બેઠક મળી તેનો કોઈ રાજકીય હેતુ નથી. ચૂંટણીને લઇને કે રાજકીય બાબતો મુદ્દે ચર્ચા નથી કરાઇ. દર 3 મહિને બેઠક કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
તો આજ મુદ્દે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન પણ સામે આવ્યું હતુ તેમણે પણ રાજકારણ અંગેની ચર્ચા ન કરાઈ હોવાનું જણાવ્યું હતુ. સમાજના મજબૂત બને તે માટે ચર્ચા કરાઈ હોવાનો કિરિટ પટેલે પણ રાગ આલાપ્યો હતો.