ખોડલધામ ટ્રસ્ટમાં ત્રણ-ચાર દિવસથી ઉથલપાથલ થઇ રહી છે. ટ્રસ્ટના આજીવન ચેરમેન નરેશ પટેલે રાજીનામું આપ્યા બાદ લેઉઆ પટેલ સમાજ દ્વારા હોબાળો મચી ગયો હતો. જેના પગલે આ ઘટના જાહેર થયાના બીજા જ દિવસે તેમણે રાજીનામુ પાછું ખેંચ્યાની અટકળો થઇ રહી હતી .આ અંગે નરેશ પટેલે પત્રકાર પરિષદ યોજીને સ્પષ્ટતા કરી હતી.
નરેશ પટેલે જણાવ્યું કે ''રાજીનામું વ્યક્તિગત બાબત હતી મેં કોઇના લીધે રાજીનામું આપ્યું નથી. મારે કોઇની સાથે અદાવત નથી. વડીલોના દબાણના કારણે રાજીનામું પરત ખેંચ્યું હતું.'' આ ઉપરાંત નરેશ પટેલે જણાવ્યું હતું કે ''પરેશ ગજેરા ઉપર થયેલા આક્ષેપો ખોટા છે. પરેશ ગજેરા વિરૂદ્ધ થયેલા સુત્ર્ત્રોચાર અને પોસ્ટરની હું નિંદા કરૂં છું. ખોડલધામનાં તમામ હોદ્દેદારો યથાવત્ રહેશે.''
આ સાથે જ હાર્દિક પટેલ પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે ''લોકશાહીમાં કોઇ પણ વ્યકિત નિવેદન આપી શકે છે.''
ઉલ્લેખનીય છે કે સંસ્થાના સ્થાપક અને સંવર્ધક નરેશ પટેલે રાજીનામું આપ્યાનું જાહેર થયા બાદ ત્રણ દિવસ પછી પ્રમુખ પરેશ ગજેરા સામે હાય-હાયના નારા લગાવવામાં આવ્યા હતા. નરેશ પટેલે શરૂઆતથી જ કોઈ સત્તાવાર ટિપ્પણી ન કરતા રહસ્ય ઘેરું બન્યું હતુ એવા સમયે રાજીનામું પરત ખેંચાતા આંદોલનોના એલાન તો પરત ખેંચાઈ ગયા પરંતુ ટ્રસ્ટમાં શું ચાલે છે તે સવાલ ઉભો રહી ગયો છે જેનો જવાબ કાલે ટ્રસ્ટ દ્વારા મળે તેવું મનવામાં આવી રહ્યુ છે.