ગઇકાલે ભાગવત સપ્તાહની પોથી યાત્રા દરમિયાન નરેશ પટેલ, વરુણ પટેલ, અલ્પેશ ઠાકોર એક જ રથમાં સવાર જોવા મળ્યા હતા. આજે નરેશ પટેલે ભાજપના 4 ધારાસભ્યો સાથે મુલાકાત કરી છે.
નરેશ પટેલ ફરીવાર ભાજપના નેતાને મળ્યા
ભાજપના ચાર ધારાસભ્ય સાથે નરેશ પટેલની મુલાકાત
ગઇકાલે જામનગરમાં પૂર્વ મંત્રીને ત્યાં કાર્યક્રમાં રહ્યા હતા હાજર
ગુજરાત વિધાનસભાની ચૂ્ંટણી માટે દરેક રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને લઈને હાલ રાજકારણ ગરમાયું છે. નરેશ પટેલના રાજકારણમાં જોડાવા મામલે હજુ સસ્પેન્સ યથાવત છે. આ વચ્ચે હવે નરેશ પટેલ અને ભાજપ નેતાઓ વચ્ચેની મુલાકાતો વધી છે. ગઇકાલે નરેશ પટેલ, વરુણ પટેલ, અલ્પેશ ઠાકોર એક સાથે જોવા મળ્યા હતા. ત્યારે આજે નરેશ પટેલને ફરીવાર ભાજપના નેતા મળ્યા છે. જેને લઈને ગુજરાતના રાજકારણમાં ભારે હલચલ મચી જવા પામી છે. ખોડલધામમાં ધારાસભ્ય વલ્લભ કાકડિયા સહિત ભાજપના 4 ધારાસભ્યોએ નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. કાકડિયાએ નરેશ પટેલ ભાજપમાં જોડાઇ તેવી ઇચ્છા વ્યક્ત કરી છે.
મહત્વનું છે કે, એક અમદાવાદના અને ચાર ડિસાના ધારાસભ્યો ખોડલધામ પહોંચ્યા હતા. જ્યાં મંદિરે દર્શન કર્યા બાદ તેઓ નરેશ પટેલને મળ્યા હતા. જોકે આ મુલાકાત બાદ રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઇ ચૂકી છે. કારણ કે છેલ્લા થોડા દિવસોથી નરેશ પટેલની ભાજપ નેતાઓ સાથે મુલાકાત વધી છે.
ગઇકાલે નરેશ પટેલ, વરુણ પટેલ, અલ્પેશ ઠાકોર એક જ રથમાં સવાર હતા
જામનગરમાં ગઇકાલથી(1લી મે) ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ્ઞાન સપ્તાહની પોથી યાત્રામાં નવા રાજકીય સમીકરણના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોથી યાત્રા દરમિયાન ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, ભાજપ નેતા વરુણ પટેલ અને ભાજપ નેતા અલ્પેશ ઠાકોર એક જ રથમાં સવાર જોવા મળતાં રાજકારણ ગરમાયું છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે આર.સી.ફળદુ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
અગાઉ તેઓ કહી ચૂક્યા છે કે, હાલ હું અવઢવમાં છું અને આગામી 15 મે સુધીમાં મારો નિર્ણય જાહેર કરીશ.
હું એ પક્ષમાં જોડાઇશ, જે સમાજ અને લોકો માટે કામ કરશે: નરેશ પટેલ
ગઇકાલે નરેશ પટેલે રાજનીતિને લઇને કહ્યું કે, આગામી દિવસોમાં રાજનીતિમાં જોડાઇશ. હું એક સામાજિક કાર્યકર્તા છું. રાજનીતિમાં જોડાવવા અનેક સમીકરણો ધ્યાને લેવા પડે. હું એ પક્ષમાં જોડાઇશ, જે સમાજ માટે કામ કરશે, લોકો માટે કામ કરશે.
આ મહિનાના અંતમાં હું રાજકારણમાં જોડાવાનો સમય જણાવીશ: નરેશ પટેલ
27 એપ્રિલ 2022ના રોજ ખોડલધામની બેઠક બાદ નરેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હું ટૂંક સમયમાં જ મારો નિર્ણય જાહેર કરી દઈશ. મારે પણ હવે આ મામલે લાબું નથી ખેચવું. પ્રશાંત કિશોરના નિર્ણયને લઈને નરેશ પટેલે કહ્યું કે, પ્રશાંત કિશોરનો નિર્ણય તેમનો વ્યક્તિગત છે. આ મહિનાના અંતમાં હું રાજકારણમાં જોડાવાનો સમય જણાવીશ. બહેનો અને યુવાઓ ઈચ્છે કે હું રાજકારણમાં જોડાઉં. વડીલો હું રાજકારણમાં ન જઉ તે માટે મારી ચિંતા કરે છે. હું રાજકારણમાં જઈશ તો પ્રશાંત કિશોર મારી સાથે ઉભા રહેશે.