રાજ્યમાં લોકસભા ચૂંટણી યોજાવાને હવે થોડાં દિવસ બાકી રહ્યાં છે ત્યારે એક તરફ નેતાઓ પ્રચારકાર્યમાં વ્યસ્ત બન્યાં છે તો સામે પક્ષે જનતાને તેમની સમસ્યા યાદ આવવા લાગી છે. કેમ કે, આ ચૂંટણી જ તો એક એવી મોસમ છે જેમાં જનતાને નેતાનાં વાયદાઓ યાદ આવે છે અને નેતાઓને જનતા યાદ આવે છે. યાદગીરીનો આ જ સુયોગ જનતાને નેતાઓને બાનમાં લેવા માટે મદદગાર થઈ પડે છે. કેમ કે ચૂંટણી સમયે નાગરિકો પાસે બે પ્રકારનાં હથિયાર હોય છે એક હોય છે મતદાનનું અને બીજું હોય છે ચૂંટણી બહિષ્કારનું.
હાં અરવલ્લી જિલ્લાનાં એ ગામનાં લોકોનો આક્રોશ મતદાનનો બહિષ્કાર કરવા સુધી પહોંચી ગયો છે. કેમ કે ગામ ભલે નાનું છે. પરંતુ તેમની સમસ્યા ઘણી મોટી છે. અરવલ્લી જિલ્લાનાં ભિલોડા તાલુકામાં આવેલાં ખેરાડી ગામમાં 3000 હજાર લોકો વસવાટ કરે છે. ખેરાડી જવા માટે નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલાં નાદીસન પાટીયાથી જવાય છે. જેમાં ખીલોડાથી ખેરાળી સુધીનો 5 કિલોમીટરનો રસ્તો છેલ્લાં ઘણાં વર્ષોથી જર્જરિત થઈ ગયો છે.
અન્ય ગામ સાથે કનેક્ટ રાખતો આ એક માત્ર રસ્તો બિસમાર બની જતાં ગ્રામજનો પરાવાર મુશ્કેલી ભોગવી રહ્યાં છે. આ ઉપરાંત ગામમાં મોટું તળાવ આવેલું છે જે પણ ઉનાળામાં સૂકું બની જતાં ગામમાં સિંચાઈની મોટી સમસ્યા સર્જાય છે ત્યારે આ તળાવમાં સરકાર દ્વારા 5 કિલોમીટર જેટલાં અંતરે આવેલાં મેશ્વો ડેમ અને ઇદ્રાસી ડેમમાંથી પાણી ઠાલવવામાં આવે તેવી માંગ ગ્રામજનો વર્ષોથી કરી રહ્યાં છે.
તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવાયાં નથી. આથી અનેક રજૂઆત કરી થાકી ચૂકેલાં ખેરાડીનાં ગ્રામજનોએ અંતે આગામી લોકસભાની ચૂંટણી વખતે મતદાનનો બહિષ્કાર કરવાનું મન બનાવી લીધું છે. આ ગામનાં લોકોએ અત્યારથી જ ગામમાં કોઈ પણ રાજકીય પક્ષોએ પ્રવેશ કરવો નહીં તેવાં બેનરો લગાવી દીધાં છે. લોકો એકી સાથે મક્કમ અવાજે કહી રહ્યાં છે કે રોડ નહીં તો વોટ નહીં.
જિલ્લાનાં ખેરાડીનાં ગ્રામજનો સાથે અરવલ્લી જિલ્લાનાં ભિલોડા તાલુકામાં આવેલાં અન્ય 10 ગામોનાં લોકો છેલ્લાં કેટલાંય વર્ષોથી પોતાનાં ગામોમાં રોડ અને પીવાનાં પાણી તેમજ સિંચાઈનાં પાણીની સમસ્યાઓથી પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યાં છે. વારંવાર તંત્રમાં અનેક રજૂઆતો તેમજ સ્થાનિક નેતાઓને રજૂઆતો કરવા છતાં આ ગામોનાં લોકોની સમસ્યાઓ જેમની તેમ રહી છે.
જેનાં કારણે આગામી લોકસભાની ચૂંટણી ટાણે જ આ 10 ગામોનાં લોકોએ પોતાની સમસ્યાઓને લઇ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ વાતને ગામનાં મહિલા સરપંચ પણ સમર્થન આપી રહ્યાં છે. રાજકીય નેતાઓ ઉપર પ્રવેશબંધીનાં બેનરો લગાવીને મતદાનનો બહિષ્કાર કરવા સુધી ઉતરી આવેલાં નાગરિકોની સમસ્યાને હજુ પણ નેતાઓ કાને ધરે છે કે નહીં અને રાજકીય પાર્ટીઓ આ અંગે કેવાં પગલાં ભરે છે તે જોવું રહ્યું.