ખેલ મહાકુંભમાં અમદાવાદ ઝોનના અધિકારીઓ વિરૂદ્ધ વિદ્યાર્થિની ક્રિનલ વાઘેલાનો ગંભીર આક્ષેપ. ઝોન લેવલે પ્રથમ નંબર મેળવ્યા બાદ પણ પુરસ્કાર નથી મળી રહ્યો.
ખેલ મહાકુંભના સ્પર્ધકનો અમદાવાદ ઝોનના અધિકારીઓ સામે આરોપ
વિજેતા ખેલાડીઓને હજુ સુધી પુરસ્કાર નથી મળ્યો હોવાનો આક્ષેપ
PM કાર્યાલય તરફથી નોંધ લેવાયા બાદ મળ્યું માત્ર સર્ટિફિકેટ
હાલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની કોમનવેલ્થ ગેમ્સ ચાલી રહી છે. જેમાં ભારતના ખેલાડીઓએ સિલ્વરથી માંડીને બ્રોન્ઝ અને ગોલ્ડ મેડલો મેળવી દેશને ગૌરવ અપાવ્યું છે. ત્યારે આ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં વધુમાં વધુ ભારતીયો અને ગુજરાતના ખેલાડીઓ ભાગ લઈ શકે એ હેતુસર દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલિન CM નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો. એની સાથે 'રમશે ગુજરાત, જીતશે ગુજરાત' નામનું સૂત્ર પણ આપ્યું હતું.
ત્યારે આ ખેલ મહાકુંભ 2022ના માર્ચ મહિનામાં યોજાયો હતો. જેમાં ગુજરાતના અનેક ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેની સામે ખેલ મહાકુંભના સ્પર્ધકે આયોજકો પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે.
અમદાવાદ ઝોનના અધિકારીઓ વિરૂદ્ધ ખેલ મહાકુંભના સ્પર્ધકે હજુ સુધી પુરસ્કાર નહીં મળ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. અમદાવાદની વિદ્યાર્થિની ક્રિનલ વાઘેલાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, 'ઝોન લેવલે પ્રથમ નંબર મેળવ્યા બાદ પણ પુરસ્કાર નથી મળી રહ્યો.' તમને જણાવી દઇએ કે, ક્રિનલ વાઘેલા 400 મીટરની દોડમાં ઝોન લેવલે પ્રથમ નંબરે આવી હતી.
આ સ્પર્ધામાં વિજેતા ઉમેદવારોને ઇનામ તો ઠીક પરંતુ સર્ટિફિકેટ પણ ન હોતા આપવામાં આવ્યા. આ અંગે કરાયેલી રજૂઆત જિલ્લા કક્ષાએ પણ કોઈએ ધ્યાને ન આપતા સ્પર્ધકે છેક દેશના વડાપ્રધાન સુધી ફરિયાદ કરવાની ફરજ પડી હતી. આથી, PM મોદીને પત્ર લખ્યા બાદ અમદાવાદના રમત-ગમત અધિકારીએ સર્ટિફિકેટ આપ્યું હતું. એમાંય પાછું સર્ટિફિકેટમાં તારીખ તો લખી જ નથી. આ સિવાય વિદ્યાર્થિનીને જિલ્લા લેવલની દોડ માટે પણ જાણ નહોતી કરાઈ. દોડ સ્પર્ધામાં ભાગ લિધા વિના જ વિદ્યાર્થિનીને 20મો નંબર આપી દેવાયેલો. હજુ સુધી ઝોન લેવલમાં મળવાપાત્ર પુરસ્કારની 3 હજાર રૂપિયાની રકમ પણ નથી અપાઈ.
વધુમાં તમને જણાવી દઇએ કે, અમદાવાદ શહેર દ્વારા સંચાલિત 11મા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાકુંભમાં વોર્ડકક્ષા બાદ ઝોનકક્ષા અને ઝોનમાં વિજેતા ઉમેદવારો જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. ત્યારે ઝોનકક્ષાની યોજાયેલી ઓપન એઇજ ગ્રુપની 400 મીટર એથ્લેટિક ( દોડ ) સ્પર્ધામાં ક્રિનલ કલ્પેશસિંહ વાઘેલા પ્રથમ વિજેતા બની હતી. ત્યાર બાદ તેને જિલ્લાકક્ષાની સ્પર્ધાની જાણ જ કરવામાં આવી ના હોવાથી તે બીજી સ્પર્ધાઓમાં ભાગ નહોતી લઇ શકી. ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં શરૂ થયેલ ખેલ મહાકુંભ મે મહિનામાં સમાપ્ત થઈ ગયો છે.
સળગતા સવાલ
શું આવી રીતે `રમશે' ગુજરાત?
શું આવી રીતે મળશે ઓલમ્પિક અને કોમનવેલ્થમાં મેડલ?
શા માટે ખેલાડીઓની મનોસ્થિતિ સાથે `રમત' રમો છો?
અમદાવાદ ઝોનના અધિકારીઓ ક્રિનલ વાઘેલાને ક્યારે પુરસ્કાર આપશે?
ક્રિનલ વાઘેલાને હજુ સુધી પુરસ્કાર નથી મળ્યો તે માટે કોણ જવાબદાર?
શા માટે હજુ સુધી વિજેતા ખેલાડીઓને પુરસ્કાર નથી મળ્યો?
ઝોન લેવલે પ્રથમ ક્રમાંકે આવેલી ખેલાડી જોડે અન્યાય કેમ?
આમ કેવી રીતે નેશનલ અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર થશે?