રાજ્યમાં આજે પણ હવામાન વિભાગની આગાહી મુજબ ક્યાંય ધોધમાર તો કયાક ધીમી ધારે વારસાદ ખાબક્યો હતો જેને લઇને અનેક સ્થળોએ અધોગતિના પૂર પણ ઉમટ્યા હતા.
દ્વારકામાં નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા
અરવલ્લીના શામળાજી મેશ્વો નદી પરનો કોઝવે ફરી ધોવાયો
વલસાડ જિલ્લામાં વરસાદથી જંગલ વિસ્તારમાં નદી-નાળા જીવંત થયા
રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડમાં આજે લગભગ મોટાભાગના વિસ્તારોમાં ધીંગી મેઘમહેર થઇ છે. જે ને લઇને ખેડૂતોમાં કયાક ખુશી તો ક્યાંક ચિંતાના વાદળો છવાયા છે. આજે આજે રાજ્યના આશરે 120 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ભુજ અને બારડોલીમાં સવા 4 ઈંચ તેમજ વેરાવળ અને વાસંદામાં 3-3 ઈંચ, જ્યારે વાપીમાં પોણા 3 ઈંચ અને કોડીનાર, પલસાણામાં, ધરમપુરમાં સવા 2 ઈંચ વરસાદ પડ્યો છે. તો ઉપલેટા, લિલિયા અને નાંદોદ સહીતના અનેક વિસ્તારોને આજે મેઘરાજાએ ધમરોળ્યા છે.
દ્વારકામાં ખેતરોમા પાણી ભરાતા પાક નુકસાનીની ભીતિ
બીજી તરફ આજે દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ ત્રાટક્યો હતો. જેને લઇને ભાટીયાના નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. આથી ઘરવખરી અને અનાજ સહીતનો જથ્થો પલડી ગયો હતો. વધુમાં મુક્તેશ્વર મહાદેવ મંદિરનું વિશાળ તળાવ છલોછલ ભરાયુ હતું. તો દ્વારકામાં ભારે વરસાદથી ખેડુતો ચિંતામાં છે. કારણ કે ભાટીયા, ગોકલપર, ભોગાત સહિતના ગામોમાં ખેતરોમા પાણી ભરાયા હોવાથી પાકને નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે. ઉપરાંત ખેડબ્રમ્હા અને ઉપલેટાના પાનેલીમાં 6 ઈંચ જેટલો વરસાદ થતા ફૂલજર ડેમ ઓવરફ્લો થયો હતો. વધુમમાં વલસાડ જિલ્લામાં અવિરત વરસાદથી જંગલ વિસ્તારમાં નદી-નાળા ફરી જીવંત થયા હતા. ધરમપુરનો શંકર ધોધ જિવંત થતા આસપાસ પ્રાકૃતિક સોંદર્ય ખીલી ઉઠ્યું હતું.
વાઘણીયાની પ્રાથમિક શાળાના પટાંગણમાં પાણી ભરાયા
આ ઉપરાંત અમરેલીના લીલીયામાં ધોધમાર વરસાદ પડતાં વાઘણીયાની પ્રાથમિક શાળાના પટાંગણમાં પાણી ભરાયા હતા. એજ રીતે વરસાદને લઇને અરવલ્લીના શામળાજી મેશ્વો નદી પરનો કોઝવે ફરી ધોવાયો હતો. અગાઉ પણ કોઝવે પર ગાબડૂં પડતા રીપેરીંગ કરાયો હતો. બાદમાં ફરી કોઝવે ધોવાતા માર્ગ બંધ કરાયો હતો. ગીર-ગઢડાનો રાવલ ડેમ ઓવરફ્લો થતાં 6માંથી 4 દરવાજા બે ફૂટ ખોલાયા હતા અને નીચાણવાળા ખત્રીવાડા, સનખડા, ચિખલ, ધોકડવા સહિત 12 ગામને અલર્ટ કરાયા હતા. નવસારી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ બાદ મંકોડિયા, જૂનાથાણા, ગોલવાડ, ચારપુલ વિસ્તારમાં પાણી ભરાતા વાહનચાલકો, સ્થાનિકોને પરેશાનીમાં મુકાયા હતા.
હવામાન વિભાગની વધુ એક આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં બે દિવસ મેઘરાજા તૂટી પડશે. નોંધનીય છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ત્રણ દિવસ સુધી સાર્વત્રિક વરસાદી વાતાવરણ રહેશે.