ચરોતર અને મધ્ય ગુજરાતની જીવાદોરી સમાન મહી કેનાલના પાણી સૌરાષ્ટ્રને અપાતા ગળતેશ્વરમાં વિરોધના સૂર ઉઠયા છે. મહી કેનાલના પાણી સરકાર અને નર્મદા જળ સંપત્તિ દ્વારા ખેડૂતો માટે બંધ કરાયા છે. જયારે આ જ પાણી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતને નર્મદા નહેરમાં મહી કેનાલથી અપાય છે.વણાકબોરી આડબંધના પડાલ ખાતે પાણી માટે પ્રોજેક્ટ ઉભો કરાયા છે. પ્રોજેક્ટ મારફતે 7 પંપ દ્વારા 210 કયુસેક રોજીંદું પાણી આપવામાં આવી રહ્યું છે. અને તેમાય હજુ બીજા 10 પંપ વધારી કુલ 17 પંપથી રોજીંદુ 600 કયુસેક પાણી અપાય છે. આ પાણી નર્મદા નહેરમાં નાખવાની તૈયારી કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે વણાકબોરી આડબંધ દ્વારા પાણી મહીસાગર મારફતે ખેડા આણંદ પંચમહાલ વડોદરા જિલ્લાના અનેક સ્થળોએ પીવાના પાણી પહોંચાડવામાં આવે છે. GEB થર્મલ સેવાલિયા રેલવે વનોડા પાણી પુરવઠા જૂથ તરસંગ પાણી પૂરવઠા જૂથ થઇને છેક વાસદ બ્રિજ પાસેથી વડોદરા મનપાને પીવા માટે પાણી પહોંચાડાય છે.
મધ્યગુજરાત અને ચરોતરની જીવાદોરી સમાન વણાંકબોરી ડેમ (આડબંધ)ને વર્ષ ૧૯૫૬માં મુંબઈ રાજ્યના ફાઇનાન્સ મંત્રી ડૉ. જીવરાજ મહેતાને હસ્તે નિર્માણધીન કરવામાં આવ્યો હતો જે આડબંધ બનાવવા પાછળનું મુખ્ય કારણ હતું કે મહીં નદીમાં ચોમાસાની ઋતુ દરમિયાન વહી જતું પાણી રોકી વર્ષભર ખેડૂતો પીવાનાં પાણી તેમજ ખેતી માટે સિંચાઈમાં ઉપયોગ કરી શકે પરંતુ મધ્યગુજરાત અને ચરોતરના છેવાડાના ગામ સુધી મહીકેનાલોના નિર્માણ કરી પાણીનો પુરવઠો પહોંચાડવામાં આવતો હતો.
પરંતુ હાલ સરકાર અને નર્મદા જળ સંપત્તિ વિભાગ દ્વારા ખેડૂતોને મહીં સિંચાઇ માટેના વપરાશનું પાણી બંધ કરવાનું અલ્ટીમેટમ આપીને બંધ કરાવવામાં આવ્યું છે. જ્યારે આ જ પાણી ગુજરાતના છેવાડાના સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતને નર્મદા નહેરમાં મહિકેનાલના અને વણાંકબોરી આડબંધના પાણીને હાલ પડાલ ખાતે ઉભા કરેલા પ્રોજેકટ મારફતે ૭ પમ્પ દ્વારા ૨૧૦ ક્યુસેક રોજીંદું પાણી આપવામાં આવી રહ્યું છે અને તેમાંય હજુ બીજા ૧૦ પંપ વધારી કુલ ૧૭ પંપ દ્વારા રોજીંદું ૬૦૦ ક્યુસેક પાણી નર્મદા નહેરમાં ઉપાડીને નાખવાની તૈયારી કરવામાં આવી રહી છે ચરોતર અને મધ્યગુજરાતના ઉપર પીવાના પાણી નો ખતરો તોળાઈ રહ્યો છે અને ઠેર ઠેર કુવાના સ્તર ઊંડા જવાની ભીતિ સેવાઇ રહી છે.
વણાકબોરી ડેમ વિસ્તારનો તાલુકો પીવાનાં પાણી માટે વલખાં મારે છે.પીવાનાં પાણી માટે ઠેર ઠેર રસ્તા રોકો આંદોલન કરી દેખાવો કરવામાં આવે છે. તો નર્મદા જળ સંપત્તિ અને સરકાર દ્વારા પોતાના હકના ચરોતરના પાણી બીજાને આપીને કરવામાં આવી રહ્યો છે અન્યાય! તો ચરોતરને મહિકેનાલ મારફતે પાણી મળશે કે કેમ? તેવું ખેડૂત આગેવાનો વિચારી રહ્યા છે. શું ચરોતરના વણાંકબોરીના પાણી હક ઉપર તરાપ થશે? જો આમ થશે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન થશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.